રોજયમાં કોરોના સામે સરકાર અને પોલીસ લોકોની સુરક્ષા માટે ખડપગે જોવા મળી રહી છે અને લોકોને આ વાયરસ સામે સાવચેતી રાખવા માટે પણ વારવાલ સૂચનાઓ આપતા નજરે ચઢે છે. ત્યારે આજ રોજ ગુજરાતના ડીજીપીએ બીજો એક મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં તેમણે જણાવ્યું છે કે, ડ્રોનના પેટ્રોલિંગ દરમિયાન જાણવા મળ્યું કે, સોસાયટીના અંદરના ભાગમાં લોકો બેસે છે, લોકડાઉનના ઉલ્લંઘન પર બે વર્ષની સજા કરવામાં આવશે. નિઝામુદ્દીન કેસ અંગે તપાસ કરવામાં આવી રહી છે. જ્યાં છો ત્યાં જ રહો અને મુસાફરી ન કરો.
ગુજરાતીઓ માટે આજે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં કોરોનાનો એકપણ પોઝિટિવ કેસ સામે આવ્યો નથી. આ અગે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, ગુજરાત માટે રાહતના સમાચાર છે કે, ગઇકાલ પછી એકપણ નવો પોઝિટિવ કેસ નોંધાયો નથી. જો કે આગામી 4થી પાંચ દિવસ ગુજરાત માટે મહત્વના છે.
રાજ્યમાં 753 જાહેરનામા ભંગના ગુના નોંધાયા છે. કવોરન્ટીન કરેલા વ્યક્તિઓ દ્વારા કાયદાભંગના (IPC 269, 270, 271) 361 અને અન્ય 42 ગુનાઓ (રાયોટીંગ/ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટના ) નોંધાયા છે. તેમજ 1989 આરોપીની અટકાયત અને 5707 વાહનો જપ્ત કર્યાં છે.
ગુજરાતમાં અત્યારસુધીમાં 1789 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 1693 નેગેટિવ આવ્યા છે. જ્યારે 87 ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે અને 9 ટેસ્ટ પેન્ડિંગ છે. 87 પોઝિટિવ કેસમાં 2 દર્દી વેન્ટિલેટર પર છે, 71 દર્દી સ્ટેબલ છે. 7 દર્દી સાજા થયા છે અને 7 દર્દીના મૃત્યુ થયા છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છેકે, રાજ્યમાં ગરીબોને અનાજનું વિતરણ વ્યવસ્થિત રીતે થઇ રહ્યું છે. અત્યારસુધીમાં રાજ્યમાં 15.16 લાખ લાભાર્થીઓને અનાજનું વિતરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં દૂધની પણ અછત સર્જાશે નહીં. દૂધ સહકારી મંડળીના સભ્ય ન હોય તેઓ પણ સહકારી મંડળીમાં દૂધ આપી શકશે.