તુંવર મુજાહિદ, ગુજરાત એક્સક્લૂઝિવ: ગુજરાતમાં શિક્ષણને લઇને પાછલા વર્ષથી યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી હોવાનો ઉલ્લેખ વારેઘડીએ થઇ રહ્યો છે. પીએમ મોદી દેશના સૌથી મોટી શાળાકીય શિક્ષણ વ્યવસ્થાનો પાયો નાંખવા જઈ રહ્યાં છે. પરંતુ જ્યારે એક સામાન્ય ગુજરાતીને “ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા કેવી છે” પર પ્રશ્ન કરીએ તો તેનો જવાબ નકારાત્મક મળે તેની પૂરેપૂરી શક્યતા છે. ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં શિક્ષણ ક્ષેત્રે હજારો કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. તેમજ માળખાકીય અને શાસકીય વ્યવસ્થામાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. પરંતુ દેશમાં ચર્ચા ફક્ત દિલ્હી શિક્ષણ મોડલની જ ચાલે છે.
Advertisement
Advertisement
દિલ્હી શિક્ષણ મોડલના ઘોંઘાટ વચ્ચે દેશના બીજા શૈક્ષણિક મોડલોને યોગ્ય સ્થાન ન મળતું હોવાનું જીવંત ઉદાહરણ ઉપલબ્ધ છે. વર્ષોથી કેરલની શિક્ષા વ્યવસ્થાએ દેશની અનેક સરકારો માટે દ્રષ્ટાંતરૂપ રહી છે, છતાંયે મત માંગવાની પ્રથા દિલ્હી શિક્ષણ મોડલથી જ શરૂ કરાઇ છે. છેલ્લા થોડા સમયથી ગુજરાત સરકાર પણ શિક્ષણ વ્યવસ્થાને લઇને આમૂલ પરિવર્તન કરાયા હોવાનો ઉલ્લેખ કરી રહી છે. જેનું સ્વતંત્ર મૂલ્યાંકન ગુજરાત એક્સક્લૂઝિવ કરશે અને પોતાના પાઠકોને સુધી પહોંચાડશે.
ગુજરાત એક્સક્લૂઝિવ ગુજરાતના શિક્ષણમાં આવેલા ટેકનિકલ અને ફિજિકલ ટ્રાન્સફોર્મેશન અંગે વિસ્તૃત રિપોર્ટ પ્રકાશિત કરશે, જેથી દરેક સમજદાર વ્યક્તિ જાતે ગુજરાતમાં શાળાકીય શિક્ષણ વ્યવસ્થાનું સ્વમૂલ્યાંકન કરી શકે. રાજકીય પ્રોપગેન્ડા અને પાર્ટીના એજન્ડાથી અલગ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા અને વ્યવસ્થાપનમાં ચાલી રહેલ પરિવર્તન પર વિસ્તૃત રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવશે.
ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થામાં સુધારા લાવવા માટે પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંગે કહેવામાં આવી રહ્યું છે કે, તે આગામી દિવસોમાં ગુજરાતના પાયાના શિક્ષણને વધારે મજબૂત કરશે. આ પ્રોજેક્ટ શું છે તે અંગેની માહિતી રિપોર્ટમાં વિસ્તારપૂર્વક રજૂ કરાશે.
આ પણ વાંચો : #બેઠકપુરાણ મહુધાઃ એકપણ વખત અહીં ન જીતેલું ભાજપ આ વખતે નવી રણનીતિના શરણે
મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ
ગુજરાતના વિદ્યાર્થીઓ દુનિયા સાથે કદમ મિલાવીને ચાલી શકે તે માટે એક પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનું નામ છે- મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ… આ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતભરના તમામ એટલે 1.15 કરોડ બાળકોને આવરી લેવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ થકી પ્રતિદિવસ ગુજરાતના નાનામાં નાના ગામડામાં બેસેલા વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરવામાં આવે છે.
મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ હેઠળ ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા એવી સિસ્ટમ ડેવલપ કરવામાં આવી છે, જે રાજ્યની તમામ શાળાઓ અને રાજ્યભરના વિદ્યાર્થીઓનો ડેટા એક ક્લિક કરવાથી આપી દે છે. દાખલા તરીકે તમારે કચ્છ જિલ્લાના છેવાડે આવેલા ગુનેરી ગામના વિદ્યાર્થીના અભ્યાસનું મૂલ્યાંકન કરવું હોય તો તમે ગાંધીનગરમાં બેસીને કરી શકો છો. ગુનેરી ગામનો ફલાણા વિદ્યાર્થીને ક્યા વિષયમાં વધારે મહેનત કરવાની જરૂરત છે, તેની માહિતી તમને સરળતાથી મળી જશે.
આ પ્રોજેક્ટ થકી ગુજરાતની તમામ એટલે કે 54000 શાળાઓમાંથી પ્રતિદિવસ દરેક બાળકના ભણતરનો ડેટા ઓનલાઇન મંગાવવામાં આવે છે. આ ડેટાનો ઉપયોગ વિદ્યાર્થીઓના પરિણામમાં સર્જનાત્મક વૃદ્ધિ લાવવામાં લેવામાં આવે છે. આ ડેટા થકી તેની જાણકારી મળી જાય છે કે, ક્યું બાળક ક્યાં વિષયમાં નબળું છે. તેથી બાળકનું જે વિષયમાં નબળું પરિણામ આવતું હોય તેમાં વિશેષ ધ્યાન અપાવવામાં આવે છે.
વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં 1000 કરોડ કરતાં વધારે ડેટા સેટને એકત્ર કરવાની ક્ષમતા છે. વિદ્યાર્થીઓના ધોરણ અનુરૂપ અભ્યાસનું પરિણામ વધારે સારું બને તે માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ જેવી આધુનિક તકનિકનો ઉપયોગ કરીને ડેટાનું વિશ્લેષણ કરવામાં આવે છે. સ્વભાવિક છે કે, ડેટાના વિશ્લેષણ પછી દરેક વિદ્યાર્થીની નબળાઇ સામે આવી જ જાય છે. તે પછી વિદ્યાર્થીઓની નબળાઇઓને દૂર કરવા માટેના પગલાઓ ભરવામાં આવે છે.
જણાવી દઇએ કે, વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે રાજ્યના 1.15 કરોડ વિદ્યાર્થીઓની તેમજ તમામ શિક્ષકોની દૈનિક ઑનલાઇન હાજરી નોંધવામાં આવે છે. મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ થકી રાજ્યના 1.15 કરોડ વિદ્યાર્થીઓના રિપોર્ટ કાર્ડ પણ તૈયાર કરવામાં આવે છે. આ રિપોર્ટ કાર્ડમાં વિદ્યાર્થીઓના વિષય દીઠ અભ્યાસના પરિણામોના કેન્દ્રીયકૃત સારાંશ તેમજ સમયાંતરના મૂલ્યાંકન દર્શાવવામાં આવ્યા છે. દેશભરમાં માત્ર ગુજરાત જ એક એવું રાજ્ય છે, જે પોતાના તમામ વિદ્યાર્થીઓના આટલા જીણવટભર્યા રિપોર્ટ કાર્ડ તૈયાર કરે છે.
બાળકો આપણું ભવિષ્ય છે તેથી તેમને યોગ્ય રીતે અને પદ્ધતિસર શિક્ષણ આપવામાં આવે તો તેઓ એક નવું સર્જન કરી શકે છે. ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરીને ગુજરાતના બાળકોનું શિક્ષણ સ્તર કેવી રીતે વધારવું તેના પાછળ શિક્ષણ વિભાગના અનેક અધિકારીઓ રાત-દિવસ એક કરી રહ્યા છે.
ગુજરાત સરકારે આખા ગુજરાતના તમામ બાળકોનું મૂલ્યાંકન કરે તેવી સિસ્ટમ ઉભી કરી છે, જેને આપણે એક આગવી સિદ્ધી ગણીએ તો ખોટુ નહીં. ગુજરાતના બાળકોનું ભવિષ્ય માટે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે સ્કૂલ ઓફ એક્સલન્સ માટે રાત-દિવસ અથાગ મહેનત થઇ રહી છે. ઉલ્લેખનિય છે કે, આ પ્રોજેક્ટને લીલી ઝંડી પીએમ નરેન્દ્ર મોદી આપશે.
વિદ્યા સમીક્ષા કેન્દ્રએ રાજ્યના શિક્ષણ સ્તરને વધારવા માટે એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. ગુજરાતના બાળકોનું પ્રતિદિવસ થતું મૂલ્યાંકન તેમના પરિણામોને એક નવી ઉંચાઇ પર લઇ જઇ શકે છે. ગુજરાતના શિક્ષણ વ્યવસ્થામાં સ્થાપિત કરાયેલ તકનિકીય માળખું શિક્ષણ ક્ષેત્રે સીમાચિહ્ન બની શકે છે.
મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ હેઠળ આગામી દિવસોમાં શું કામગીરી કરવામાં આવશે, તે અંગે બીજા લેખમાં માહિતી આપીશું. તે પહેલા જણાવી દઇએ કે, 19 ઓક્ટોબર 2022ના રોજ મિશન સ્કુલ્સ ઓફ એક્સેલેન્સનો વિધિવત શુભારંભ તથા ખાતમુહૂર્ત કાર્યક્રમ PM મોદીના હસ્તે કરવામાં આવશે.
ક્રમશ:
Advertisement