ટેકનોલોજીનો અધ્યતન વિકાસ થયો છે પરંતુ દિવ્યાંગ વ્યક્તિઓ જે વાંચે છે તે બ્રેઈલ લિપિમાં વૈવિધ્યસભર વાંચન સામગ્રીવાળા પુસ્તકો મેળવવા એ આજે પણ એક પડકાર છે.
પોરબંદર ખાતે લાધીબેન વાલજીભાઈ લોઢિયા અંધજન પુસ્તકાલય નામક બ્રેઈલ લાયબ્રેરી રાજ્યભરના પ્રજ્ઞાચક્ષુઓ માટે જ્ઞાનનો સેવા યજ્ઞ વર્ષોથી ચલાવાઈ રહ્યો છે.
પોરબંદરના પ્રજ્ઞાચક્ષુ સ્વ.કાનજીભાઈ જમનાદાસ પોપટે આ પુસ્તકાલયની સ્થાપના કરી હતી. આ સંસ્થાનો હેતુ દેશભરમાં વસતા અંધજનોને તેમને ઘરે બેઠા બ્રેઈલ પુસ્તકો વાંચવા માટે પૂરાં પાડવાનો છે.
આ વાચકો પાસેથી કોઈપણ જાતની ફી લેવામાં આવતી નથી. સંસ્થાના ટ્રસ્ટી કહે છે કે, આ પુસ્તકાલયમાં આજે 15 લાખની કિંમતના 12 હજારથી વધુ બ્રેઈલ પુસ્તકો બન્યા છે, જેમાં બાળવાર્તા, નવલકથાઓ, સામાજિક, ધાર્મિક, ઐતિહાસિક, સંગીતના તેમજ શૈક્ષણિક પુસ્તકોનો સમાવેશ થાય છે.
અંધજન પુસ્તકાલયના સંચાલક અનિલભાઈ જણાવે છે કે, બ્રેઈલ પુસ્તકો મોંઘા હોવાથી દરેક અંધ વ્યક્તિ પોતાના અંગત બ્રેઈલ પુસ્તકો વસાવી શકે નહીં ઉપરાંત દરેક ગામ કે નાના ટાઉનમાં બ્રેઈલ પુસ્તકો મળે નહીં. આથી આ પુસ્તકાલયના સભ્ય ધનારને ઘરે બેઠા પુસ્તકો વાંચવા મળી જાય છે, જેને માટે સંસ્થા તરફથી એક આવેદનપત્ર મેળવી તે ભરી સભ્ય થવાનું રહે છે. આ પુસ્તકાલયનો 1500 અંધ ભાઈઓ-બહેનોએ લાભ લીધો છે.
આ પુસ્તકાલયમાંથી અંધજનને પોસ્ટ દ્વારા પુસ્તકો મોકલવામાં આવે છે. બ્રેઈલ પુસ્તકનું કદ સામાન્ય પુસ્તક કરતા ઘણું મોટું હોવાના કારણે તેની જાળવણી માટે તેને ખાસ થેલીમાં પેક કરીને મોકલવામાં આવે છે. અંધજનોના સાહિત્ય ટપાલ દ્વારા મોકલતા કોઈપણ પ્રકારનો પોસ્ટ ચાર્જ ભરવો રહેતો નથી.
Advertisement