ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તમામ રાજકીય દળ જોર શોરથી પ્રચાર કરી રહ્યા છે. ઉમેદવારોની સાથે કાર્યકર્તા પણ રસ્તા પર ઉતરીને મતદારોને લુભાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગુજરાતમાં એક ગામ એવુ પણ છે જ્યા સન્નાટો જોવા મળે છે. રાજકોટ જિલ્લાના સમઢિયાળા ગામમાં રાજકીય દળોના ચૂંટણી પ્રચાર કરવાની પરવાનગી નથી. ગામના લોકોએ આ પ્રતિબંધ મુક્યો છે.
Advertisement
Advertisement
જો ગામનો કોઇ વ્યક્તિ મતદાન નથી કરતો તો તેની પર દંડ ફટકારવામાં આવે છે. રાજકોટથી 21 કિલોમીટર દૂર આવેલા રાજસમઢિયાળા ગામની બહાર એક નોટિસ બોર્ડ લગાવવામાં આવ્યુ છે જેમાં ચૂંટણી પ્રચાર પર રોક સહિત કેટલાક પ્રતિબંધ છપાયેલા છે.
આ ગામમાં કોઇ પણ પાર્ટીના નેતા કે ઉમેદવાર ના તો રેલી કરી શકે છે અને ના તો ઘરે ઘરે જઇને મત માંગી શકે છે. જોકે, પ્રચાર વગર પણ અહી રેકોર્ડ સ્તરે વોટિંગ થાય છે. જો આ ગામનો કોઇ રહેવાસી મતદાન નથી કરતો તો તેની પર 51 રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. ગામના સરપંચે જણાવ્યુ કે અહી 1983થી જ રાજકીય દળના ચૂંટણી પ્રચાર પર રોક લગાવી છે.
ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધનું કારણ
ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ લગાવવાનું કારણ ગામના લોકોનું માનવુ છે કે રાજકીય દળના આવવાથી ગામનો માહોલ ખરાબ થાય છે, જેની અસર ગામના લોકો પર પડે છે. અહીના વર્તમાન સરપંચનું માનવુ છે કે આ અનોખા નિયમને અહીના એક જૂના સરપંચ હરદેવ સિંહે બનાવ્યો હતો, તેમણે એક મુહિમ ચલાવી હતી જેને ગામ લોકોનું સમર્થન મળ્યુ હતુ. જે બાદ ગામનો માહોલ હંમેશા સારો રાખવા માટે અહી રાજકીય દળના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.
ગામમાં RO પ્લાન્ટ જેવી આધુનિક સુવિધાઓ
રાજ સમઢિયાળા ગુજરાતનું આદર્શ ગામ પણ છે. અહી ઇન્ટરનેટ કનેક્શન, સીસીટીવી કેમેરા, પાણી માટે આરઓ પ્લાન્ટ જેવી અત્યાધુનિક સુવિધા છે. આ ગામની વસ્તી લગભગ 1700ની છે અને લગભગ 995 મતદાર છે. અહી કોઇ પણ પોતાના ઘર કે દુકાનમાં તાળુ લગાવતુ નથી. અહીની દુકાનો પરથી લોકો પોતાની જરૂરતનો સામાન લઇ જાય છે અને પૈસા દુકાન પર મુકી જાય છે. આ ગામમાં ચોરી થતી નથી. સાથે જ ગામમાં ગુટખા પર પણ પ્રતિબંધ છે. અહી લોકોની સહમતિથી જ સરપંચ ચૂંટવામાં આવે છે.
Advertisement