ગુજરાત એક્સક્લૂઝિવ: ગુજરાતમાં ચૂંટણી જીતવા માટે મુસ્લિમો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતો એક શબ્દ પણ બોલવો નહીં, તે પ્રકારની તમામ પક્ષોની માનસિકતા વર્ષોથી છતી થઇ રહી છે. બીજેપી તો પોતાના સ્ટેન્ડ પર કાયમી છે. તેને ક્યારેય મુસ્લિમોના ભલાની વાત કરી નથી, પરંતુ તેને ક્યારેય મુસ્લિમોનું ખોટું કરવાની પણ વાત કરી નથી. જોકે, જે પાર્ટીને વર્ષોથી મુસ્લિમો મત આપી રહ્યાં છે, તે પાર્ટી એટલે કે કોંગ્રેસ પણ મુસ્લિમો પ્રત્યે સહાનૂભુતિ દર્શાવવાનું બંધ કરી દીધું છે.
Advertisement
Advertisement
પાછલા 27 વર્ષથી કોંગ્રેસ ગુજરાતમાં હારી રહી છે, તે છતાં પણ કોંગ્રેસ પોતાની રાજકીય વ્યૂહનીતિ બનાવવામાં નિષ્ફળ રહી છે. કોંગ્રેસને લાગી રહ્યું છે કે, મુસ્લિમોના હક્ક માટે લડીશું તો હિન્દૂ નારાજ થઇ જશે. ગુજરાતમાં તો કોંગ્રેસ મુસ્લિમ જ નહીં પોતાના હક્ક અને હિન્દુઓના હક્ક માટે પણ આક્રમક રીતે લડી શકી રહી નથી. કોંગ્રેસ પોતાના માપદંડોને વળગી રહીને સર્વ ધર્મ સમભાવની નીતિથી ચાલી હોત તો તેને આટલા વર્ષો સુધી ગુજરાતમાં સત્તામાંથી બહાર રહેવું પડ્યું ના હોત. કેમ એકમાત્ર મુસ્લિમ કે એકલા હિન્દુના હક્કોની વાત કરવી… તમામ નાગરિકોના હક્કોની વાત કરવી જ સાચી લોકશાહી છે. જ્યારે રાજ્યના તમામ નાગરિકોના સમસ્યાઓ પર વાત કરવામાં આવે તો જ વિકાસ થાય તે સર્વસામાન્ય વાત છે.
બીજેપી સ્પષ્ટ વાત કરે છે. પહેલા તેને હિન્દૂત્વની વાત કરી, તે પછી વિકાસ પર શિફ્ટ થઇ. વિકાસની વાત કર્યા છતાં પણ તે સતત પોતાને હિન્દૂઓની જ પાર્ટી ગણાવી રહી છે. ભલે રાજ્યના હિન્દૂ લોકો મોંઘવારી સામે લડી રહ્યાં હોય, ભલે તેમને રોજગાર મળી રહ્યો ન હોય અને ગમે તેટલી જ સમસ્યાઓ ભલે ને રહી. બીજેપી પોતાના ચૂંટણી પ્રચારમાં સ્પષ્ટતા રાખે છે. કોંગ્રેસે શું કર્યું? ગુજરાત કોંગ્રેસના નેતાઓ તો હવે તેમને વોટ આપતા મુસ્લિમો પ્રત્યે બોલતા પણ અચકાય છે? તેમને ડર છે કે, તેઓ હારી જશે? પરંતુ તેઓ તે ભૂલી ગયા છે કે, તેઓ પાછલા 27 વર્ષથી હારતા જ આવ્યા છે? પરંતુ કેમ? આ પ્રશ્નનો જવાબ શોધવાની તેમને કોશિશ પણ કરી જ નથી.
કોંગ્રેસને પોતાના માપદંડો પર ઉભા રહીને આક્રમકતા સાથે બીજેપીની હિન્દૂવાદી નીતિ સામે લડવાની જગ્યાએ તે પોતે જ સેકન્ડ નબંરની હિન્દૂ પાર્ટી બનવા નિકળી પડી. માત્ર હિન્દૂવાદી થઇ જવાથી રાજ્યના લોકોનું ભલુ ન થઇ જાય તે સ્વભાવિક છે. રાજ્યના લોકોના જીવન ધોરણ અને આવક ઉપર લાવવા માટે મોટા અર્થશાસ્ત્રીઓ અને સમજદાર, હોશિયાર લોકોની મદદની જરૂરત પડે.
ગુજરાતમાં તો પાર્ટીઓ માત્ર હિન્દૂત્વના નામે જ જીતવા માંગે છે, એટલે જીત્યા પછી પણ લોકોની આવકમાં વધારો કરવા કે તેમના જીવન ધોરણને સુધારવાની કોઈ જરૂરત રહેતી નથી. સત્તામાં આવ્યા પછી જે-તે પાર્ટીના નેતાઓ પોતાની સાત પેઢી ખાય તેટલું ધન ભેગુ કરી નાંખે છે.
કોંગ્રેસમાં મોટા ભાગના નેતાઓ હિન્દૂ જ છે, તો તેઓ કેવી રીતે હિન્દૂ ધર્મના વિરોધી હોઇ શકે. જોકે બીજેપીનો પ્રચાર એટલો સ્ટ્રોંગ છે કે કોંગ્રેસના હિન્દૂ નેતાઓ સાચા હિન્દૂ નથી તેવું સાબિત કરી દીધું છે. જોકે કોંગ્રેસના નેતાઓએ પોતે સાચા હિન્દૂ હોવા પુરવાર કરવા સોફ્ટ હિન્દુત્વવાદ ઉપર ઉતરી આવ્યા. અરે ભઇ.. તમે હિન્દૂ જ છો.. તમારે તે સાબિત કરવાનું જ ક્યાં આવે છે. તમારે તમારી રાજનીતિને હિન્દુત્વવાદીમાંથી શિફ્ટ કરીને વિકાસની રાજનીતિ કરવાની જરૂરત છે.
કહેવાનો અર્થ તે છે કે ગુજરાતમાં ચૂંટણી ટાણે વિકાસને અભરાઇ ઉપર ચઢાવી દેવામાં આવે છે અને જ્ઞાતિ-ધર્મ-જાતિ વગેરે જેવા મુદ્દાઓ પર ચૂંટણી લડવામાં આવે છે. રાજ્યના લોકોને પાછલા 27 વર્ષમાં વિકાસના નામે ઢગલાબંધ બેરોજગારી-મોંઘવારી અને ગરીબી તો પહેલાથી જ મળી ગઇ છે. ગણ્યા ગાંઠ્યા લોકો પોતાના સ્વાર્થ માટે હિન્દુઓના હિતેચ્છુ ગણાવીને હિન્દુત્વ અંગે ગર્વ લેવડાવીને તેમના મતોને સેરવતા આવ્યા છે.
જે રીતે ભક્તોને ધાર્મિક ભુવાઓ ધર્મના નામે લૂંટી લે છે, તેવી જ રીતે ગુજરાતમાં નેતાઓ જનતાને ધર્મના નામે સરળતાથી ઉલ્લૂ બનાવીને મત લઇ રહ્યાં છે. હવે તો કોંગ્રેસ-બીજેપી બંને ધર્મના નામે જ મત લેવા નિકળી પડે છે. પહેલા તો માત્ર બીજેપી જ ધર્મના નામે વોટ માંગતી હતી પરંતુ તેને વચ્ચે તો વિકાસનો પણ સહારો લીધો હતો. જોકે કોંગ્રેસે તો સોફ્ટ હિન્દુત્વવાદી બનવાની નીતિના કારણે પોતાના કરેલા કામો ઉપર પર પાણી ફેરવી નાંખ્યું છે.
કેમ હારી રહી છે કોંગ્રેસ
અમદાવાદના એનજીઓ હ્યુમન ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ સેન્ટર (એટડીઆરસી)એ છ એપ્રીલ 2016માં કેટલાક સફાઇ કર્મચારીઓની ભરતીની એક જાહેરાત બહાર પાડી હતી.
આ વિજ્ઞાપનમાં લખ્યું હતુ કે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વાણિયા, પટેલ અને જેન સમુદાય સાથે જોડાયેલા લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે. વિજ્ઞાપન નીચે એનજીઓના નિર્દેશક પ્રસાદ ચાકોના હસ્તાક્ષર હતા.
સફાઈકર્મચારીઓની નોકરીનો આ વિજ્ઞાપન વાયરલ થઇ ગયું હતું. આ વિજ્ઞાપનમાં ઉંચી જાતિઓને પ્રાથમિકતા આપવાની વાત કહેવામાં આવી હતી.
આને લઈને ખુબ જ વિવાદ થયો અને એનજીઓની ઓફિસ પર લોકોએ હલ્લો બોલી દીધો. હુમલો કરનારાઓમાં અનેક દક્ષિણપંથી સંગઠનો સાતે કોંગ્રેસ પાર્ટીના વિદ્યાર્થી વિંગ એનએસયૂઆઈના લોકો પણ સામેલ હતા. પ્રસાદ ચાકોને અંડરગ્રાઉન્ડ થવું પડ્યું હતું.
જ્યારે પ્રસાદ ચાકોને પૂછવામાં આવ્યું કે તેમને આવી જાહેરાત કેમ બહાર પાડી? તો ચાકોએ તેમને જવાબ આપ્યો કે- “મેં પૂરી ઈમાનદારીથી જાહેરાત નિકાળી હતી. અપર કાસ્ટમાં અનમાતને લઇને વિરોધ છે. એવામાં તે જોવા માંગી રહ્યો હતો કે જે કામ દલિત સદીઓથી કરતો આવ્યો છે, તે કામ માટે ઉંચી જાતિઓને નિયુક્ત કરવાની વાત કરવામાં આવે તો કેવું રિએક્શન હશે. રિએક્શન અંગે તો જાણકારી મળી ગઈ”
અમદાવાદના વરિષ્ઠ પત્રકાર રાજીવ શાહે બીબીસીને આ અંગે જણાવ્યું હતુ કે, પીસી ચાકોનો પ્રયોગ ખુબ જ રસપ્રદ હતો અને તેમની જાહેરાતે સ્વર્ણોની પોલ ખોલી દીધી
રાજીવ શાહ કહે છે કે, એનએસયૂઆઈના લોકોનું એચડીઆરસી ઓફિસ પર હુમલો કરવો તે દર્શાવે છે કે ગુજરાત કોંગ્રેસમાં જાતિવાદી અને સાંપ્રદાયિક સ્વર્ણ ભરેલા પડ્યા છે. ગુજરાત ચૂંટણીમાં 2002ના રમખાણો પછી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, કોંગ્રેસ બીજેપીથી ડરીને ચૂંટણી લડતી આવી છે. કોંગ્રેસ બીજેપીના હિન્દુત્વ અને બહુમતીવાદની રાજનીતિનો ખુલીને પડકાર આપવાથી ડરે છે. તેને લાગે છે કે, જો તેઓ ચૂંટણીમાં 2002ના રમખાણો પર વાત કરશે તો તેને નુકશાન થઇ જશે.
શું હિન્દૂ 2002ની વાત કરવા પર નારાજ થઇ જશે?
શું ખરેખર એવું છે કે 2002ના રમખાણો પર કોંગ્રેસ વાત કરશે તો ગુજરાતના હિન્દૂ નારાજ થઇ જશે અને બીજેપી સાથે જોડાઇ જશે?
એક સર્વસામાન્ય મત એવો બનાવી દેવામાં આવ્યો છે કે, ગુજરાતભરના હિન્દૂઓ 2002માં થયેલી તમામ હત્યાઓને યોગ્ય ગણી રહી છે. જોકે, એવું નથી, ગુજરાતના તમામ હિન્દૂઓએ ક્યારેય 2002ના રમખાણોને યોગ્ય ગણ્યા નથી. માત્ર રાજકીય ફાયદો ઉઠાવવા માટે તે અંગે એવો પ્રચાર કરવામાં આવ્યો છે. તેથી તે પ્રચારના કારણે જ કોંગ્રેસ પણ તેના મતદાતાઓ અંગે બોલતા પણ ખચકાવવા લાગી હતી.
તો તે વાતને પણ નજર અંદાજ કરવી જોઈએ નહીં કે, કદાચ કોંગ્રેસનો ડર યોગ્ય પણ ઠરી શકે છે. પરંતુ એક વાત તે પણ સત્ય છે કે, બીજેપીને કોંગ્રેસ સોફ્ટ હિન્દુત્વની રણનીતિથી ક્યારેય હરાવી શકે નહીં. બીજેપીને હરાવવી છે તો તેના સાથે સીધી ટક્કર લેવી જોઈએ. બીજેપીને હરાવવા માટે બીજેપી જેવું બની જવાથી કોણે ફાયદો થશે?
સેન્ટર ફોર સોશિયલ નોલેજ એન્ડ એક્શન અમદાવાદના નિર્દેશક અને જાણિતા સમાજ વિજ્ઞાની અચ્યુત યાગ્નિકે બીબીસીને જણાવ્યું હતુ કે, કોંગ્રેસના નેતાઓ માને છે કે કંઇ જ કરવામાં ના આવે તો પણ મોટી સંખ્યામાં લોકો પાર્ટીને વોટ કરે છે. તેથી કોંગ્રેસ તે નીતિ પર ચાલવા લાગી કે મુસ્લિમો અથવા રમખાણો અંગે વાત કરવી નથી.
અચ્યુત યાગ્નિક કહે છે, “એક ચૂંટણીમાં કોંગ્રેસની હારના વિશ્લેષણના આંકડા સોનિયા ગાંધી સામે રજૂ કરવામાં આવ્યા તેમાં સામાન્ય રીતે તે વિસ્તારોમાં કોંગ્રેસને હાર મળી હતી, જ્યાં મુસ્લિમોની વસ્તી 25000થી વધારે હતી. કોંગ્રેસના ઉમેદવાર મુસલમાનોના વિસ્તારોમાં વોટ માંગવા પણ ગયા નહતા. પાર્ટીએ સોફ્ટ હિન્દુત્વનો રસ્તો અપનાવ્યો પરંતુ કોંગ્રેસને આનાથી ગુજરાતમાં મજબૂરી મળી નથી. ગુજરાતમાં હિન્દુત્વની રાજનીતિનો જવાબ હિન્દુત્વ વિરોધી રાજનીતિ હોવી જોઇએ પરંતુ પાર્ટીએ સોફ્ટ હિન્દુત્વને અપનાવી અને તે અત્યાર સુધી તેમાં નિષ્ફળ છે. આ વખતે તો તેવી સ્થિતિ બની ગઈ છે કે કોંગ્રેસ બીજા નંબરની લડાઇ લડી રહી છે.”
મુસ્લિમાનોનું પ્રતિનિધિત્વ
અચ્યુત યાગ્નિક કહે છે કે કોંગ્રેસે પહેલા તો પોતાના નેતાઓની સૈદ્ધાંતિક સમજ વધારવી જોઈએ. કોંગ્રેસના મોટાભાગના નેતાઓને ખ્યાલ જ નથી કે હિન્દુત્વનો અર્થ હિન્દૂ ધર્મ નથી.
હિન્દુત્વના વિરૂદ્ધ બોલવું હિન્દૂ ધર્મ વિરૂદ્ધ બોલવું નથી. યાગ્નિક કહે છે કે, કોંગ્રેસમાં મોટાભાગના નેતા રાઇટ વિંગના ભરેલા છે. બીજેપી ગુજરાતમાં મુસ્લિમોને ટિકિટ આપતી નથી, જ્યારે રાજ્યમાં લગભગ 10 ટકા મુસ્લિમ છે. તેના જવાબમાં કોંગ્રેસે પણ મુસલમાનોની ઉમેદવારીમાં કાપ શરૂ કરી દીધો છે.
કોંગ્રેસે પાછલી વિધાનસભા ચૂંટણીમાં માત્ર છ મુસ્લિમોને ટિકિટ આપી હતી, જેમાં ત્રણને જીત મળી હતી.
દરમિયાપુરમાં કોંગ્રેસ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે હાલમાં જ માંગ કરી હતી કે આબાદી પ્રમાણે મુસલમાનોને ઓછામાં ઓછી 18 ટિકિટ મળવી જોઈએ, પરંતુ પાર્ટી તેટલી આપી શકી રહી નથી તો ઓછામાં ઓછી 10-11 તો આપી દે.
રઘુ શર્માને પૂછ્યું કે કોંગ્રેસ મુસલમાનોને આબાદીના પ્રમાણે ટિકિટ કેમ આપવામાં આવી રહી નથી? આ પ્રશ્નના જવાબમાં તેમને કહ્યું, પાર્ટી ટિકિટ જીતનારા ઉમેદવારને આપે છે. મુસલમાનોને ટિકિટ ના આપવાના પ્રશ્ન પર અત્યાર સુધી બીજેપી પણ આવું જ તર્ક આપતી હતી.
ઓક્ટોબર મહિનામાં ગરબા દરમિયાન કથિત રીતે પથ્થર ફેકવાના કેસમાં કેટલાક મુસ્લિમ યુવકોને સાર્વજનિક રીતે થાંભલા સાથે બાંધીને માર મારવામાં આવ્યો હતો. કોંગ્રેસની પ્રદેશ એકમ આ બાબતે મૌન રહી હતી, પરંતુ જમાલપુર ખાડિયાથી કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને દરિયાપુરથી પાર્ટીના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે તેનો વિરોધ નોંધાવ્યો હતો.
ખેડાવાલાએ કહ્યું હતુ કે, આ બાબતે કોંગ્રેસનું મૌન લઘુમતીઓના મનમાં ચિંતા વધારી દીધી છે.
સત્તા મેળવવા માટે કોંગ્રેસ પોતાના માપદંડોની હત્યા કરી રહી છે અને સાચાને સાચું અને ખોટાને ખોટું કહેવાની હિંમત પણ કરી શકી રહી નથી. માત્ર મુસ્લિમો કે હિન્દુઓનું ભલુ કરવાથી વિકાસ થઇ જવાનો નથી. તમામ લોકોનું વિકાસ થશે ત્યારે જ ખરો વિકાસ થશે તે વાત કહેવાથી કોંગ્રેસ ડરી રહી છે અને તે કારણે જ તે આટલા વર્ષોથી સત્તાથી દૂર રહેલી છે.
ભલે હિન્દુત્વ અંગેનો નેરેટિવ ગુજરાતમાં સ્ટ્રોંગ હોય પરંતુ તેને તોડવાની કોશિશ કરીને અડીગતાથી કોંગ્રેસને આગળ વધવું જોઈએ. कौन कहता है कि आसमां में सुराख नहीं हो सकता, एक पत्थर तो तबीयत से उछालो यारों…! આ પંક્તિને યાદ રાખીને કોંગ્રેસને આગળ વધવું જોઈએ.
આમ આદમી પાર્ટી પણ કોંગ્રેસના રસ્તે ચાલીને ખોદી રહી છે પોતાની કબર
આમ આદમી પાર્ટી તે ભૂલી રહી છે કે, તેને લોકોએ જીત તેના વિકાસના કાર્યોના થકી અપાવી છે. દિલ્હી પછી પંજાબમાં આમ આદમી પાર્ટીને સત્તા મેળવવામાં મળેલી સફળતા પાછળ દિલ્હીમાં કરેલા સારા કાર્યોનું પરિણામ છે. ગુજરાતમાં પણ અરવિંદ કેજરીવાલને તેમના સારા કાર્યોને કારણે જ પસંદ કરવામાં આવે છે.
જોકે, આમ આદમી પાર્ટી પણ બિલકીસ બાનો કેસમાં સંપૂર્ણ રીતે મૌન રહી છે. બિલકીસ બાનોના બળાત્કારીઓને રાજ્ય સરકારની સહમતિથી રિહા કરી દેવામાં આવ્યા છે. આ અંગે આમ આદમી પાર્ટી કે ગુજરાત એકમના તેમના નેતાઓએ એકપણ શબ્દ ઉચ્ચાર્યો નહતો. તો બીજી તરફ અરવિંદ કેજરીવાલ સોફ્ટ હિન્દુત્વની રાજનીતિ કરવા લાગ્યા છે.
ગુજરાતમાં હિન્દુત્વવાદી પાર્ટીને જ રાખવી છે તો પછી બીજેપી શું ખોટી છે. તે ખુબ જ સારી રીતે હિન્દુત્વ અંગે વાત કરી રહી છે. તેવામાં સોફ્ટ હિન્દુત્વ કરતી પાર્ટીને જીત અપાવીને ગુજરાતનું શું ભલું થવાનું છે, જો હિન્દુત્વવાદી પાર્ટીને જ સત્તામાં રાખવી છે તો?
કોંગ્રેસ પાછલા 27 વર્ષથી સોફ્ટ હિન્દુત્વની રાજનીતિ કરીને સત્તામાંથી બહાર છે. તેવામાં અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં પોતાને બીજી કોંગ્રેસ બનાવવાની ભૂલ કરવા જઇ રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે.
નફરતને હરાવવા માટે એકતાની વાત ખુબ જ આક્રમકતાથી ઉપાડવી પડશે તો જ દેશની અખંડિતતા ટકી રહેશે. નફરતને હરાવીશું તો જ આપણી આગામી પેઢી ખુલ્લામને સ્વતંત્ર રીતે ડર વગર જીવી શકશે. હિન્દુ-મુસ્લિમ વર્ષોથી સાથે રહેતા આવ્યા છે. સુરજ રહેશે ત્યાર સુધી સાથે જ રહેવાનું છે. તો પછી પાર્ટીઓ નફરતની રાજનીતિ કરવાની જગ્યાએ એકતાની વાત કરીને જીત મેળવશે તો વિકાસ કરવામાં પણ મજા આવશે.
બીજેપી હિન્દુ-મુસ્લિમ એકતાની વાત કરશે તો શું થશે?
ભારતીય જનતા પાર્ટીમાં (બીજેપી) તે શક્તિ છે કે તે એકદમ કઠિણમાં કઠિણ નિર્ણય લઇ શકે છે. કોંગ્રેસ વર્ષોથી જીએસટી લાગું કરવા માંગી રહી હતી પરંતુ તે લોકોની નારાજગી વ્હોરીને સત્તા ગુમાવવાથી ડરી રહી હતી. બીજેપીએ લોકહિત માટે જીએસટી લાગું કરી દીધી. સમસ્યા ખત્મ.. વર્ષોથી જે કામ કોંગ્રેસ કરવાનું ખાલી વિચારી રહી હતી, તે કામ બીજેપીએ એક ઝાટકે કરી નાંખ્યું.
જો તેવામાં બીજેપી એકતાની વાત કરીને દેશના તમામ ધાર્મિક લોકોને એક સ્ટેજ પર લઇ આવે તો એક નવું હિન્દુસ્તાન જોવા મળી શકે છે. હિન્દુ-મુસ્લિમની નફરતભરી રાજનીતિને ત્યજીને તેમની એકતાની રાજનીતિ કરવામાં આવે તો દેશની અનેક સમસ્યાઓ ચપટીમાં દૂર થઇ જશે.
બીજેપી ભારતમાં રાજનીતિનો ઉપયોગ નફરતની જગ્યાએ પ્રેમ-સદ્દભાવના માટે કરે તો તેના નામે એક નવો જ ઇતિહાસ લખાય તેમાં શંકાને કોઇ સ્થાન નથી. બીજેપી ગુજરાતમાં અનેક પ્રયોગ કરે છે, તો તેને એકતાનો એકાદ પ્રયોગ પણ કરી લેવો જોઈએ. જો એકતાથી જીત મળી જતી હોય તો દેશની તસવીર બદલાઇ જશે તેમાં પણ શંકાને કોઇ સ્થાન નથી.
Advertisement