ગાંધીનગર: ભાજપના પૂર્વ નેતા જયનારાયણ વ્યાસે કોંગ્રેસને ટેકો જાહેર કર્યો છે. સિદ્ધપુરમાં કોંગ્રેસના ઉમેદવારની એક જનસભામાં પહોચીને જયનારાયણ વ્યાસે ટેકો જાહેર કર્યો હતો અને ઉમેદવારને જીતાડવાની અપીલ કરી હતી. મહત્વપૂર્ણ છે કે ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ જયનારાયણ વ્યાસે રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગહેલોત સાથે બેઠક પણ કરી હતી.
Advertisement
સિદ્ધપુર વિધાનસભા પર ભાજપના દિગ્ગજ નેતા અને સ્વાસ્થ્ય આરોગ્ય મંત્રી રહી ચુકેલા જયનારાયણ વ્યાસે સિદ્ધપુર બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરની જાહેર સભામાં અચાનક પહોચીને સમર્થન જાહેર કર્યુ છે. પોતાના સમર્થકોને જ ચંદનજી ઠાકોરને મત આપવા અપીલ કરી છે. ભાજપની નેતાગીરીથી જયનારાયણ વ્યાસ નારાજ હતા. પ્રદેશ ગુજરાતની નારાજગી, કમલમના નેતાઓની નારાજગીને લઇને જયનારાયણ વ્યાસે કેન્દ્રમાં ભાજપના નેતાઓ સાથે વાત કરી હતી અને કોઇ નિકાલ આવ્યો નહતો.
સિદ્ધપુરના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરની સિદ્ધપુરના વામૈયા ખાતે જનસભા હતી. આ જનસભામાં અચાનક જયનારાયણ વ્યાસ પહોચ્યા હતા અને તેમણે ચંદનજી ઠાકોરને ટેકો જાહેર કર્યો હતો. આ દરમિયાન જયનારાયણ વ્યાસે કહ્યુ કે, ” હું એમની સાથે છું, આજે સાથે છું, અને કાલથી વધારે સાથે છું. આપણે બધા સાથે રહીને ચંદનજી ભાઇને જીતાડીશુ અને આ ભીષણીયા પાર્ટીને છોડીને હવે એક જ મતની પાર્ટીનો સહારો લીધો છે. હું તમારા વચ્ચે છુ અને રહીશ, મારે ત્યા આવનારા લોકોને કોઇ તકલીફ નથી પડતી. બધા સાથે રહીશું તો સારૂ થશે, સારૂ કરવુ છે માટે ચંદનજી ભાઇનો હાથ પકડ્યો છે.”
સિદ્ધપુર બેઠક પરથી ભાજપે બળવંતસિંહ રાજપૂતને ટિકિટ આપી છે જ્યારે કોંગ્રેસે ચંદનજી ઠાકોરને રિપિટ કર્યા છે. આમ આદમી પાર્ટીએ મહેન્દ્ર રાજપૂતને ટિકિટ આપી છે.
ગુજરાતમાં બે તબક્કામાં યોજાશે મતદાન
ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. 1 અને 5 ડિસેમ્બરે એમ બે તબક્કામાં મતદાન યોજાશે. 1 ડિસેમ્બરે 89 બેઠક જ્યારે 5 ડિસેમ્બરે 93 બેઠક પર મતદાન યોજાશે. ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.