ગુજરાત વિધાનસભા 2022માં આઈબીનો રિપોર્ટ ભારતીય જનતા પાર્ટીને ચિંતામાં નાંખી દીધી છે. રિપોર્ટ પછી ભારતીય જનતા પાર્ટીને હારનો ડર સતાવી રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે. તેથી ભાજપ તરફથી વિકાસ તરફથી શિફ્ટ થઇને હિન્દૂ-મુસ્લિમ, પાકિસ્તાન જેવા મતોનું ધ્રુવીકરણ કરતાં મુદ્દાઓ પર શિફ્ટ થઈ રહ્યાં છે. પીએમ મોદીથી લઈને અમિત શાહ સુધીના તમામ નેતાઓ 2002ના મુદ્દાનો ઉછાળી રહ્યાં છે. ભાજપના દરેક નેતાઓને એક સ્કિપ્ટ પકડાવી દેવામાં આવી છે.
જોકે, તે છતાં પણ આ વખતની ચૂંટણીમાં ગ્રાઉન્ડ પર રહેલા સમીકરણો વધારે અસરકારક હોવાનું સામે આવી રહ્યું છે. તેથી પીએમ મોદીએ પોતે જ ગુજરાતમાં ધાંમા નાંખવા પડ્યા છે. ભાજપના ગઢ સમાન સુરતમાં ગાબડૂં પડવાની ડરના કારણે પીએમ મોદી રાત્રી રોકાણ કરીને બેઠકોનો દૌર શરૂ કરવાના છે. આ દરમિયાન પાટીદારોને રિઝવવાનું કામ કરવામાં આવશે.
ભાજપાના ડર પાછળનું કારણ છે સુરતની 12માંથી છ બેઠકો પર પાટીદાર મતદારોની નારાજગી. આ નારાજગી દૂર કરવા ભાજપે પ્રદેશથી માંડીને કેન્દ્રીય કક્ષાના નેતાઓને મેદાનમાં ઉતાર્યા. પરંતુ કોઈ રીતે તેઓ માની રહ્યા નથી અને પાટીદારોમાં ભાજપનું ગોઠવાઈ રહ્યું નથી. હવે છેલ્લા પ્રયાસરુપે ખુદ વડાપ્રધાન સુરતના મેદાનમાં ઉતરી રહ્યા છે. આ અંતર્ગત ચૂંટણીટાણે પહેલીવાર સુરતમાં રાત્રિરોકાણ કરીને એક રાતમાં બાજી પલટાવવા નરેન્દ્રભાઈ માસ્ટરસ્ટ્રોક મારવા જઈ રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે સુરત એરપોર્ટ આવશે અને ત્યાંથી આશરે 30 કિ.મી. સુધી મિનિ રોડ-શો બાદ અબ્રામા મેદાન જશે. અહીં સાંજે 7:00 વાગ્યાની આસપાસ વડાપ્રધાન જાહેરસભા સંબોધશે. જો કે, એરપોર્ટથી અબ્રામા જાહેરસભા સ્થળ સુધી મોદી પહોંચે તે પહેલા રસ્તામાં અલગ અલગ પોઇન્ટ ઉપર તેમનું સ્વાગત કરવામાં આવશે. અહીં વડાપ્રધાન ચોક્કસ પોઈન્ટ પર ઉપસ્થિત જનમેદનીનું અભિવાદન ઝીલશે અને ત્યાંથી કાફલો આગળ વધશે. ઉલ્લેખનીય છે કે, આ મિનિ રોડ-શોના રૂટ દરમિયાન સુરત શહેરની 8 જેટલી વિધાનસભા બેઠકોના વિસ્તાર આવે છે.
વડાપ્રધાન મોદી આ વખતે સુરતમાં જાહેરસભા પહેલાં ડોર ટુ ડોર પ્રચાર કરે તેવી પણ શક્યતા છે. માહિતગાર સૂત્રોના જણાવ્યા અનુસાર આ કોઈ સત્તાવાર રીતે ડોર ટુ ડોર પ્રચાર નહીં હોય પરંતુ જાહેર સભાસ્થળ પાસે આવેલી ગોકુલધામ સોસાયટીની એક મુલાકાત હશે. આ સોસાયટીમાં સુરતના પાટીદાર અગ્રણીઓ રહે છે અને ઘણા પાટીદાર મતદારો પર તેમનો પ્રભાવ છે.
ગોકુલધામ સોસાયટીના કેટલાક ઘરોમાં જઈને વડાપ્રધાન પાટીદાર સમુદાયની નારાજગી દૂર કરવાની વ્યૂહાત્મક શરૂઆત પણ કરી શકે છે. જ્યારે અસલી ખેલ તો અબ્રામાની સભા પછીના રાત્રિરોકાણ દરમિયાન થનારી મિટિંગોમાં પડી શકે છે. સુરત કલેક્ટર આયુષ ઓકે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી સુરત સર્કિટ હાઉસમાં રાત્રિરોકાણ કરશે.
સુરત શહેરમાં છ એવી વિધાનસભા બેઠકો છે કે જેમાં પાટીદાર મતદારોનું સૌથી વધુ પ્રભુત્વ છે. અહીં આમ આદમી પાર્ટીની (AAP) એન્ટ્રી બાદ સમીકરણો બદલાઈ ગયા છે. આ તમામ છ બેઠક પર હવે ભાજપ અને AAP વચ્ચે સીધી ટક્કર દેખાઈ રહી છે. આવામાં ખુદ વડાપ્રધાન અબ્રામા ગામમાં આવીને જાહેરસભા કરે તો તમામ પાટીદાર પ્રભુત્વ વાળી છ બેઠકોમાં એક સાથે મેસેજ આપી શકાય.
સુરત શહેરની કુલ 12 બેઠકો છે અને આ તમામ બેઠક પરના ભાજપના ઉમેદવારોને અબ્રામાની જાહેરસભામાં બોલાવાશે. આ રીતે સુરત શહેરમાં ભાજપના તમામ ચહેરાઓને એક જ જાહેરસભામાં બોલાવીને પાટીદારોને મેસેજ અપાશે.
સુરતમાં દોઢેક વર્ષથી રાજકીય સ્થિતિ બદલાઈ છે. અહીં જે રીતે મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીમાં AAPએ નોંધપાત્ર રીતે એન્ટ્રી મેળવી અને 27 સીટ જીતી તેનાથી સહુ ડઘાઈ ગયા હતા. આવામાં વિધાનસભા ચૂંટણી આવી અને છએક મહિના પૂર્વેથી AAPએ જોરદાર તૈયારીઓ શરુ કરી. આવામાં વળી AAP અને PAAS (પાટીદાર અનામત આંદોલન સમિતિ)ના નેતાઓ વચ્ચે બેઠકો થવા લાગી.
ભાજપને ધીરે-ધીરે લાગવા માંડ્યું કે PAAS તેમજ પાટીદાર મતદારો ધીરે-ધીરે AAP તરફ ઝૂકી રહ્યા છે. બસ ત્યારથી ભાજપે પાટીદાર સમુદાયને રીઝવવા અને પોતાના મતોમાં ભેલાણ ન થાય તે માટે પહેલા પ્રદેશકક્ષાના નેતાઓ જેમકે સી આર પાટીલ, હર્ષ સંઘવીને કામે લગાડ્યા. છતાં તેના પ્રયાસોમાં નિષ્ફળતા મળી.
આમ આદમી પાર્ટીની મજબૂત પકડમાંથી પાટીદાર સમુદાયને નિકાળવા ભાજપે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાને સપ્ટેમ્બરમાં મેદાનમાં ઉતાર્યા હતા. પાટીદારોના પ્રભાવવાળી છ બેઠકો પર માંડવીયાને સંગઠન મજબૂત બનાવવા તથા સોશિયલ મીડિયાનું ગોઠવવાની જવાબદારી સોંપાઈ હતી. સાથે-સાથે સુરતના પાટીદાર વડિલોને મળીને જુવાનિયાઓને સમજાવવા પણ તેમને ભાજપે કામે લગાડ્યા હતા.
માંડવીયા સમયાંતરે સુરતના પ્રવાસ કરતા હતા અને સતત પાટીદાર અગ્રણીઓ સાથે મિટિંગ કરતા હતા. ઓક્ટોબરમાં તો માંડવીયાનો વરાછામાં પાટીદારો સાથેની મિટિંગનો વિડિયો પણ વાઈરલ થયો હતો જેમાં તેમણે સ્વીકાર્યું હતું કે, વરાછા સહિત સુરતમાં ભાજપ કરતા AAPનું સોશિયલ મીડિયા નેટવર્ક મજબૂત છે.
Advertisement