ગાંધીનગર: કેન્દ્ર સરકારના 2500 કરોડ કરતા વધુ રૂપિયાના રૂપિયાના આબુ-અંબાજી રેલ્વે પ્રોજેક્ટ માટે મહેસાણાના ખેરાલુ-સતલાસણા તાલુકામાં જમીન સંપાદનની કામગીરી હાથ ધરી છે. ખેતીની જમીન સંપાદન કરવા હાથ ધરાયેલી સુનાવણીમાં મોટાભાગના ખેડૂતોએ જમીન આપવા અસંમતિ દર્શાવી હતી. ખેડૂતોએ એક જ જવાબ આપ્યો હતો કે- ગાયકવાડ શાસનમાં દાંતા સુધી સર્વે થયેલા જૂના રેલ્વે ટ્રેકનો ઉપયોગ કરો.
Advertisement
Advertisement
ખેરાલુ-સતલાસણા તાલુકાના 14 ગામના 457 ખેડૂતોની 90 હેક્ટર ખેતીની જમીન સંપાદન કરવા સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ખેડૂતોએ નવા સર્વે થયેલા રેલ્વે ટ્રેકની જગ્યાએ આ પ્રોજેક્ટમાં ગાયકવાડે સર્વે કરેલા જૂના રેલ્વે ટ્રેકનો ઉપયોગ કરવા માંગણી કરી હતી. આબુ-અંબાજી રેલ્વે પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કરવા ખેરાલુ પ્રાંત કચેરી દ્વારા 20 ડિસેમ્બરથી રોજ જુદા જુદા ગામના ખેડૂતોએ રજૂ કરેલા વાંધાઓની સુનાવણી હાથ ધરી છે. 27મીએ સતલાસણાના નેદરડી,વજાપુર, મુમનવાસ અને બેડસ્માના ખેડૂતોને સાંભળવામાં આવ્યા હતા. જેમાં ખેડૂતોએ એક જ રજૂઆત કરી હતી કે અમે ફક્ત ખેતી અને પશુપાલન આધારિત જીવન નિર્વાહ કરીએ છીએ અને નવા સર્વે પ્રમાણે અમારી જમીન હસ્તગત કરવાના બદલે આ રેલ્વે પ્રોજેક્ટમાં મહારાજા ગાયકવાડના શઆસનમાં દાતા સુધી સર્વે થયેલી જૂના રેલ્વે ટ્રેકનો ઉપયોગ કરવામાં આવે.
અનેક ખેડૂતો જમીન વિહોણા, તો કેટલાક આવાસ, ટ્યુબવેલ અને પાણીના આવરા બંધ થવા જઇ રહ્યા છે. પ્રાંત કચેરી દ્વારા જણાવવામાં આવ્યુ કે 3 જાન્યુઆરી સુધી ખેડૂતોને સાંભળવામાં આવશે.
આ પણ વાંચો: ભારતમાં રાજ્યો વચ્ચે સરહદ કેવી રીતે વહેચાય છે? કર્ણાટક-મહારાષ્ટ્ર વિવાદ ઉકેલવો કેમ સરળ નથી
14 ગામના 457 ખેડૂતોની જમીન રેલ્વેમાં જશે
કેન્દ્ર સરકારે બહાર પાડેલા રાજપત્ર અનુસાર આબુ-અંબાજી રેલ્વે પ્રોજેક્ટમાં ડભોડાના 31, આનંદ ભાંખરીના 8, બેડસ્માના 13, ભાણાવાસના 29, મોટા કોઠાસણાના 59, નવાવાસના 30, નેંદરડીના 23, રાજપુર ગઢના 21, સરતાનપુરના 13, સતલાસણાના 27, શાહુપુરાના 22, ટીમ્બાના 86, વજાપુરના 54 અને વાવના 41 મળીને 14 ગામના 457 ખેડૂતોની 90 હેક્ટર ખેતીની જમીન રેલ્વે ટ્રેકમાં જઇ રહી છે.
2026-27માં પ્રોજેક્ટ પૂર્ણ થશે
મહેસાણા-તારંગા રેલ્વે લાઇનને વાયા અંબાજી થઇને આબુ રોડ સુધી લંબાવવાના 2798 કરોડના પ્રોજેક્ટને કેન્દ્રના રેલ્વે મંત્રાલયે લીલી ઝંડી આપી છે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 2798.16 કરોડ છે અને 2026-27 સુધીમાં આ પ્રોજેક્ટ પૂર્ણ થશે.અગાઉ કેન્દ્ર સરકારે રૂ.1695.72 કરોડના ખર્ચે વરેઠા રેલવે સ્ટેશનથી વાયા અંબાજી થઇ આબુ રોડ સુધી રેલલાઇન લંબાવવા યોજના ઘડી હતી. મહેસાણાથી તારંગા સુધી રેલ્વે લાઇન નંખાઇ ગયા બાદ આગળનું કામ શરૂ નહીં થતાં સાંસદ ભરતસિંહ ડાભીએ લોકસભામાં પ્રશ્ન ઉઠાવ્યો હતો.
અંબાજી-આબુ સુધી 116 કિલોમીટરની રેલ્વે લાઇન નાખવામાં આવશે જેમાં ગુજરાતમાં 82 કિલોમીટર અને રાજસ્થાનના સિરોહી જિલ્લામાં 34.65 કિલોમીટરની રેલ્વે લાઇન નંખાશે. તારંગા-આબુ રેલ્વે લાઇનને કારણે ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લા મહેસાણા, સાબરકાંઠા અને બનાસકાંઠાના ઉદ્યોગો તથા વેપારીઓને મોટા પાયે ફાયદો થશે. સરકારના દાવા પ્રમાણે, આ પ્રોજેક્ટને કારણે કુલ 40 લાખ લોકોને સીધી કે પરોક્ષ રીતે રોજગારી મળશે. અમદાવાદથી આબુ જતા લોકો માટે સરકારે હવે વિકલ્પ બનાવવાની શરૂઆત કરી છે.
Advertisement