આર્યન ખાન ડ્રગ્સ કેસમાં પ્રતિદિવસ અવનવા ખુલાસા થાય છે. પરંતુ હવે આર્યનના માધ્યમથી શાહરૂખ ખાન પાસેથી 25 કરોડ રૂપિયા પડાવવાના પ્લાનનો પર્દાફાશ થયો છે. આ માટે એનસીબીના મુંબઈના તત્કાલીન વડા સમીર વાનખેડેએ ખાનગી વ્યક્તિ કિરણ ગોસાવીને વચોટીયો બનાવીને શાહરૂખ પાસેથી 25 કરોડ રૂપિયા પડાવવાનો પ્લાન બનાવ્યો હતો.
Advertisement
Advertisement
તેથી ખાનગી સાક્ષી હોવા છતાં કિરણને જાણી જોઈને આર્યનનો કબજો અપી દેવાયો હતો, કિરણ ગોસાવી જ આર્યનને પોતાનાં વાહનમાં એનસીબી ઓફિસ સુધી લઈ આવ્યો હતો. તે ઉપરાંત કિરણની કસ્ટડીમાં જ આર્યનને રાખવામાં આવ્યો હતો. આ રીતે કિરણ એનસીબીનો કોઈ અધિકારી છે તેવી છાપ ઊભી કરી દેવામાં આવી હતી અને તેના થકી જ પચ્ચીસ કરોડ રૂપિયાની લાંચ લેવાનું ષડયંત્ર રચી દીધું હતું.
એફઆઈઆર નોંધવામાં આવ્યું છે કે, આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં બચાવવા માટે ગોસાવીએ વાનખેડેના કહેવા પર 25 કરોડ રૂપિયાની લાંચ માગી ધમકી આપી હતી.આ ઉપરાંત વાનખેડે તરફથી ગોસાવીએ 50 લાખ રૂપિયાની એડવાન્સ રકમ પણ લીધી હોવાનું સામે આવી રહ્યું છે. સીબીઆઈએ નોંધેલી ફરિયાદમાં 2008 બેચના આઈઆરએસ અધિકારી સમીર વાનખેડે, એનસીબીના તત્કાલીન સુપરિન્ટેન્ડન્ટ વી.વી. સિંહ, તત્કાલીન તપાસ અધિકારી આશિષ રંજન ઉપરાંત કેપી ગોસાવી અને તેના સાથીદાર ડિસોઝાને કથિત આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે.
એનસીબીના તત્કાલીન મુંબઈ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ કે.પી. ગોસાવી અને પ્રભાકર સાઈલને આરોપી સામેની કાર્યવાહીમાં સાક્ષીદાર તરીકે લેવાનો નિર્દેશ આપ્યો હતો. આર્યનને એનસીબીની ઓફિસમાં લઈ જતી વખતે ગોસાવીને તેની સાથે રહેવાની મંજૂરી આપવામાં આવી હતી. ગોસાવીની કસ્ટડીમાં આરોપી હોય એવું દર્શાવવાનો પ્રયાસ કરાયો હતો. આ દરમિયાન ગોસાવીએ આર્યન સાથે સેલ્ફી ક્લિક કરી હતી પછી તે સેલ્ફી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ હતી.
એફઆઈઆર મુજબ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)ની સ્પેશિયલ ઈન્કવાયરી ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે આર્યન ખાન સહિત અન્ય આરોપીને સાક્ષીદાર કે.પી ગોસાવીના ખાનગી વાહનમાં એનસીબીની ઓફિસમાં લાવવામાં આવ્યા હતા. આરોપીઓની આસપાસ ગોસાવીની હાજરી ઈરાદાપૂર્વક રાખવામાં આવી હતી. જેથી એવી છાપ ઉભી કરવામાં આવે કે ગોસાવી એનસીબી કર્મચારી છે.
ગોસાવીને એનસીબીની ઓફિસમાં અંદર આવવાની પણ ગેરકાયદેસર રીતે મંજૂરી આપવામાં આવી હતી. જવાસ્તવમાં ખાનગી સાક્ષીદારને એનસીબી ઓફિસમાં લાવી શકાય નહિ કે તેને આરોપીની કસ્ટડી પણ સોંપી શકાય નહી. ગોસાવી સાથે તેના સાથીદાર સાનવિલે ડિસોઝાને આર્યન ખાનના પરિવાર પાસેથી ₹25 કરોડની ખંડણી પડાવી લેવાના કાવતરામાં સામેલ થયો હતો.
છેવટે 18 કરોડ રૂપિયામાં ડીલ ફાઈનલ થઈ હતી. ગોસાવી અને ડિસોઝાએ વાનખેડે વતી 50 લાખ રૂપિયાનું એડવાન્સ પેમેન્ટ પણ લીધું હતું. જોકે, બાદમાં ગોસાવીએ આ રકમ પાછી આપી દીધી હોવાનું એફઆઈઆરમાં જણાવાયું છે.
એનસીબી દ્વારા કરવામાં આવેલી તપાસ બાદ સમીર વાનખેડે અને આશિષ રંજન સામે કથિત ભ્રષ્ટાચાર અને અન્ય આરોપ કરવામાં આવ્યા છે. તેમની આવક કરતા એમની વધુ પ્રમાણમાં હોવાનું કહેવાય છે.
એફઆઈઆરમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે ‘એનસીબીની વિજિલન્સ બ્રાન્ચે નોંધ્યું છે કે ‘સમીર વાનખેડેએ વિદેશી મુલાકાતો અંગે યોગ્ય ખુલાસો કર્યો નથી. વિદેશ પ્રવાસના ખર્ચની ખોટી માહિતી આપી છે. વિદેશ મુલાકાતનો સ્ત્રોત પણ યોગ્ય રીતે જાહેર કર્યો નથી. તેમણે કિંમતની ઘડિયાળોની ખરીદી અને વેચાણ કર્યું હતું. મોંઘી કાર અને હાઈ-ફાઈબ્રાન્ડના કપડાની જરૃરી માહિતી આપી નહતી.
હાલમાં સીબીઆઈએ વાનખેડેના ઘર અને ઓફિસ સહિત 30 જગ્યાએ દરોડા પાડયા હતા. આમ મહત્વની માહિતી મેળવવા કલાકો સુધી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન સીબીઆઈએ સમીર વાનખેડેને સમન્સ મોકલ્યા છે. તેમને નિવેદન નોંધાવવા માટે 18 મેના નવી દિલ્હીમાં સીબીઆઈની ઓફિસમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે. થોડા સમયથી વાનખેડે દિલ્હીમાં જ છે. સીબીઆઈ તેમના જવાબથી સંતુષ્ટ થાય છે કે કેમ તે ચર્ચાનો વિષય બની ગયો છે.
એનસીબીના ભૂતપૂર્વ ઓફિસર સમીર વાનખેડે સામે આર્યન કેસમાં સીબીઆઈએ નોંધેલી એફઆઈઆર સંદર્ભમાં તેમનાં પત્ની ક્રાંતિ રેડકરે એવો બચાવ રજૂ કર્યો છે કે આ તો માત્ર આક્ષેપો છે. બધાને ખબર છે કે આ આક્ષેપો સાવ ખોટા છે. અમે લોકો સીબીઆઈની કાર્યવાહીમાં સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છીએ.
Advertisement