કર્ણાટકમાં સત્તામાં આવ્યા પછી સંગઠન પર પ્રતિબંધ મૂકવાના કોગ્રેસના ચૂંટણી વચનને લઇને બજરંગ દળે કોંગ્રેસ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. બજરંગ દળના કાર્યકરોએ દિલ્હી અને કર્ણાટકના મેંગલુરુમાં કોંગ્રેસના મુખ્યમથકની નજીક વિરોધ પ્રદર્શન કરી પાર્ટીને પોતાનું વચન પાછું લેવાની માંગ કરી હતી. વધુમાં, કાર્યકરોએ કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસના ઘોષણાપત્રની નકલો સળગાવી હતી અને પાર્ટીના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં શું હતું વચન?
કોંગ્રેસે મંગળવારે જાહેર કરેલા ચૂંટણી ઢંઢેરામાં કહ્યું હતું કે જો તેઓ સત્તા પર આવશે તો તેઓ બજરંગ દળ અને પીએફઆઈ જેવા સંગઠનો પર પ્રતિબંધ લગાવશે. તેમણે વચન આપ્યું હતું કે અમારો પક્ષ જાતિ અથવા ધર્મના આધારે સમુદાયો વચ્ચે નફરત ફેલાવનારા વ્યક્તિઓ અને સંગઠનો સામે મજબૂત અને નિર્ણાયક પગલાં લેવા માટે પ્રતિબદ્ધ છે. અમે માનીએ છીએ કે કાયદો અને બંધારણ પવિત્ર છે. બજરંગ દળ અને પીએફઆઈ જેવી વ્યક્તિઓ અને સંગઠનો દ્વારા બહુમતી અથવા લઘુમતી સમુદાયો વચ્ચે દુશ્મનાવટ અથવા નફરતને પ્રોત્સાહન આપતા અન્ય લોકો તરફથી તેનું ઉલ્લંઘન કરી શકાતું નથી. અમે આવી કોઈપણ સંસ્થા પર પ્રતિબંધ મૂકવા સહિત કાયદા અનુસાર નિર્ણાયક પગલાં લઈશું.
વાસ્તવમાં બજરંગ દળ એ આરએસએસ સાથે જોડાયેલી વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી)ની યુવા પાંખ છે. દિલ્હીમાં વિરોધ કરી રહેલા VHP નેતાઓએ કહ્યું કે બજરંગ દળ એ ‘દેશનું ગૌરવ’ છે અને જો કોંગ્રેસ વચન પાછું નહીં લે અને કર્ણાટક ચૂંટણી ઢંઢેરામાં ફેરફાર નહીં કરે, તો એક વિશાળ રાષ્ટ્રવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે.
દિલ્હી VHP સચિવ સુરેન્દ્ર ગુપ્તાએ કહ્યું કે કોંગ્રેસે તેની “માનસિકતા” બદલવી જોઈએ અથવા તે “હિંદુ વિરોધી” છે તે સ્વીકારવું જોઈએ. કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વએ દરમિયાનગીરી કરવી જોઈએ અને પાર્ટીના ચૂંટણી વચનને પાછું લેવું જોઈએ. નહી તો અમે દેશભરમાં ઉગ્ર આંદોલન શરૂ કરીશું. વિશ્વ હિન્દુ પરિષદે કર્ણાટકમાં સત્તા પર આવે તો બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાના કોંગ્રેસના વચન પર પ્રહાર કર્યો છે, અને કહ્યું છે કે પાર્ટીએ ‘રાષ્ટ્રવાદી’ સંગઠનને બદનામ કર્યું છે.
પીએફઆઈ સાથે બજરંગ દળની સરખામણી દુઃખદ
VHPના સંયુક્ત મહાસચિવ સુરેન્દ્ર જૈને એક વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે બજરંગ દળ કોંગ્રેસના ચૂંટણી વચનને પડકાર તરીકે લેશે અને પાર્ટીને “લોકશાહી રીતે” જવાબ આપશે. તેમણે કહ્યું કે કર્ણાટક ચૂંટણી માટે પોતાનો મેનિફેસ્ટો બહાર પાડતી વખતે કોંગ્રેસે જે રીતે રાષ્ટ્રવાદી સંગઠન બજરંગ દળની સરખામણી કુખ્યાત રાષ્ટ્ર વિરોધી, આતંકવાદી અને પ્રતિબંધિત સંગઠન PFI સાથે કરી છે તે દુર્ભાગ્યપૂર્ણ છે. જૈને કહ્યું કે બજરંગ દળનો દરેક સભ્ય દેશ અને સમાજની સેવા કરવા માટે ‘સમર્પિત’ છે, જ્યારે સમગ્ર વિશ્વ PFIની પ્રવૃત્તિઓથી વાકેફ છે.
પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પર નિશાન સાધતા જૈને કહ્યું કે તમે દેશની જનતાને છેતરી શકતા નથી. તમે જે રીતે બજરંગ દળને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે, દેશની જનતા તેને સ્વીકારશે નહીં. બજરંગ દળના દરેક કાર્યકર્તા આને પડકાર તરીકે લેશે. તેમણે એમ પણ કહ્યું કે ચૂંટણી વચનો સાથે તેમની પાર્ટીનો ‘હિડન એજન્ડા’ સામે આવી ગયો છે. બજરંગ દળ અને દેશની જનતા આ પડકારને સ્વીકારે છે અને ‘તમામ લોકતાંત્રિક રીતે જવાબ આપશે.
Advertisement