નવી દિલ્હીઃ બ્રિટનની મુલાકાતે ગયેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દરરોજ કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધી રહ્યા છે. આ વખતે રાહુલે ગૃહમાં વિપક્ષના અવાજને મૌન કરાવી દેવાનો સરકાર પર આરોપ મૂક્યો છે.
Advertisement
Advertisement
રવિશંકર પ્રસાદનો વળતો પ્રહાર
તેમના આ નિવેદન પર ભાજપાએ શાબ્દિક હુમલો કર્યો છે. ભાજપા સાંસદ રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધીના નિવેદન પર વળતો પ્રહાર કરતાં કહ્યું કે રાહુલ ગાંધીએ કહ્યું કે યુરોપ અને અમેરિકાએ ભારતમાં લોકશાહી બચાવવા માટે હસ્તક્ષેપ કરવો જોઈએ. સરકાર કોઈની પણ હોય આપણે ભારતમાં કોઈ પણ વિદેશી સત્તા દ્વારા આંતરિક હસ્તક્ષેપના વિરોધી રહ્યા છીએ.
વધુમાં, રવિશંકર પ્રસાદે પ્રશ્ર કરતાં કહ્યું કે BJP કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂનખડગે પાસેથી જાણવા માગે છે કે શું તેઓ રાહુલ ગાંધીના આ નિવેદનનું સમર્થન કરે છે ? જો સમર્થન ન કરતા હો આ નિવેદનનો ઈનકાર કરે. તેમણે કહ્યું કે BJP સોનિયાજી પાસેથી જાણવા માગે છે કે શું તેઓ તેમના પુત્રના આ બિનજવાબદાર નિવેદનનું સમર્થન કરે છે ?
કિરણ રિજિજૂ અને અનુરાગ ઠાકુરના શાબ્દિક પ્રહાર
દરમિયાન, રાહુલ ગાંધીના આનિવેદન પર કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ કહ્યું કે રાહુલ ગાંધી હોય કે અન્ય કોઈ પણ હોય, તે સવારથી રાત સુધી સરકાર અને મોદીજી માટે અપશબ્દો બોલે છે. જેઓ સૌથી વધુ બોલે છે તે જ કહે છે કે તેમને બોલવા દેવાતા નથી. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે દેશ હોળીની ઉજવણી કરી રહ્યો છે અને રાહુલજી વિદેશયાત્રાએ છે. કોઈપણ તહેવાર હોય ત્યારે તેઓ વિદેશમાં જ હોય છે. વિદેશી મિત્રો, એજન્સીઓ અથવા વિદેશી ધરતી, તેઓ દેશ પર પ્રહાર કરવામાંથી ઉંચા આવતા જ નથી. આપણી સિદ્ધિઓને દુનિયા માની રહી છે. પરંતુ, તે વિદેશ જઈને ભ્રમ ફેલાવે છે.
રાહુલ ગાંધીના નિવેદન અંગે વળતો પ્રહાર કરતા રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સિંહે કહ્યું કે આ તદ્દન અસત્ય, પાયાવિહોણું, નિરાધાર અને આધારહીન છે. હું મારા પોતાના અનુભવથી કહી શકું છું કે આ પ્રકારની વાત આજ સુધી મને કોઈની પાસેથી સાંભળવા મળી નથી. સંસદ તો 1952થી જે પરંપરાઓ અને વ્યવસ્થા હેઠળ ચાલતી હતી તે મુજબ જ આજે પણ ચાલે છે.
Advertisement