બેંગલુરૂ: કર્ણાટકમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લઇને તમામ પક્ષે પોત પોતાની તૈયારી શરૂ કરી દીધી છે. કર્ણાટકમાં આ સમયે ભાજપની સરકાર છે અને પાર્ટી ફરી વાપસી માટે જોર શોરથી પ્રચાર કરી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કર્ણાટક પહોચ્યા હતા. ગૃહમંત્રીએ બેલ્લારીમાં એક જનસભાને સંબોધિત કરી હતી. આ રેલીમાં તેમણે કોંગ્રેસ અને જેડીએસ (JDS) પર પ્રહાર કર્યા હતા.
Advertisement
Advertisement
બેલ્લારી રેલીમાં અમિત શાહે કોંગ્રેસના આંતરિક વિખવાદ પર ટિપ્પણી કરતા કહ્યુ, “સીએમ પદ માટે ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયા બન્ને લડી રહ્યા છે, તેમની લડાઇથી કર્ણાટકનું કલ્યાણ નહી થાય.” અમિત શાહે કહ્યુ, “કર્ણાટકનું કલ્યાણ કરવુ છે તો ભાજપની સરકાર રાજ્યમાં બનાવવી પડશે, ત્યારે જ રાજ્યનો વિકાસ થશે.”
પરિવારવાદ પર અમિત શાહના પ્રહાર
કર્ણાટકમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ પરિવારવાદ પર પ્રહાર કર્યા હતા. વિપક્ષ પર પ્રહાર કરતા અમિત શાહે કહ્યુ, “કોંગ્રેસ અને જેડીએસ બન્ને પરિવારવાદી પાર્ટીઓ છે. જેડીએસને આપવામાં આવેલો તમારો એક એક મત કોંગ્રેસને જવાનો છે અને કોંગ્રેસને આપેલો એક એક મત સિદ્ધારમૈયા અને દિલ્હીના એટીએમ બનેલી તેમની સરકારને જવાનો છે.” અમિત શાહે દાવો કર્યો કે રાજ્યનો વિકાસ માત્ર ભાજપની સરકાર જ કરી શકે છે.
કોંગ્રેસ પર પ્રહાર કર્યા
કોંગ્રેસ પર સાંપ્રદાયિકતા પર ભાર આપવાનો આરોપ લગાવતા અમિત શાહે કહ્યુ, “મોદીજીએ PFI પર પ્રતિબંધ મુક્યો, જ્યારે કોંગ્રેસ પાર્ટીએ PFIના 1,700 કેસ પરત લેવાનું કામ કર્યુ હતુ. કોંગ્રેસ પાર્ટી વર્ષોથી રામ મંદિરને અટકાવવાનું કામ કરતી હતી. મોદીએ રામ મંદિરનો શિલાન્યાસ કરી દીધો છે.” કોંગ્રેસ પર પ્રહાર કરતા કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યુ કે, “પહેલા પાકિસ્તાનથી હુમલા થતા હતા તો કોઇ જવાબ આપવામાં આવતો નહતો. પાકિસ્તાને મોદીજીના શઆસનમાં હુમલો કર્યો તો તેને જડબાતોડ જવાબ મળ્યો છે.
કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ એક્ટિવ
વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે કર્ણાટકમાં પોતાની સક્રિયતા વધારી દીધી છે. દિલ્હીથી કેટલાક નેતા કર્ણાટકનો પ્રવાસ કરી રહ્યા છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા 18-19 ફેબ્રુઆરીએ કર્ણાટકના પ્રવાસે હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 27 ફેબ્રુઆરીએ કર્ણાટકનો પ્રવાસ કરશે. આ દરમિયાન પીએમ મોદી શિવમોગામાં એરપોર્ટનું ઉદ્દઘાટન પણ કરશે.
યેદિયુરપ્પાએ લીધો રાજકીય સંન્યાસ
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને સીનિયર ભાજપના નેતા બીએસ યેદિયુરપ્પાએ રાજકારણમાંથી સંન્યાસ લઇ લીધો છે. વિધાનસભામાં બુધવારે તેમણે કહ્યુ કે આ મારી ફેરવેલ સ્પીચ છે. આ એક દુર્લભ ક્ષણ છે કારણ કે હવે હું ફરી ચૂંટણી નહી લડું. મને બોલવાની તક આપવા માટે આભાર.
કર્ણાટક વિધાનસભાની સ્થિતિ
કર્ણાટક વિધાનસભાની તમામ 224 બેઠક માટે, વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જે મે 2023માં યોજાઇ શકે છે. ગત વિધાનસભા ચૂંટણી મે 2018માં યોજાઇ હતી. ચૂંટણી પછી જનતા દળ (સેક્યુલર) અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ગઠબંધનથી સરકાર બનાવી હતી, જેમાં એચ.ડી.કુમારસ્વામી મુખ્યમંત્રી બન્યા હતા.
જુલાઇ, 2019માં વિધાનસભામાં કોંગ્રેસ અને JD(S)ના કેટલાક સભ્યોના રાજીનામાને કારણે ગઠબંધન સરકાર પડી ગઇ હતી. તે બાદ ભારતીય જનતા પાર્ટીએ રાજ્ય સરકારની રચના કરી હતી અને બી.એસ.યેદિયુરપ્પાને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. 26 જુલાઇ, 2021માં યેદિયુરપ્પાએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યુ હતુ અને બસવરાજ બોમ્મઇએ 28 જુલાઇ, 2021માં નવા મુખ્યમંત્રીના રૂપમાં શપથ લીધા હતા.
Advertisement