ગાંધીનગર: ગુજરાતમાં જંત્રીના ભાવમાં સરકારે 100% વધારો કરતા બિલ્ડર લોબી અને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સરકારે બિલ્ડર અને લોકોના રોષ વચ્ચે રસ્તો કાઢવા મથામણ કરી હતી અને જંત્રીના ભાવ વધારા મામલે બેઠક કરી હતી. મુખ્યમંત્રીએ અધિકારીઓ સાથેની બેઠકમાં પ્રતિનિધિઓને આશ્વાસન આપ્યુ કે સામાન્ય પ્રજાને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય કરવામાં આવશે. આ બધા વચ્ચે શનિવાર સાંજે 7 વાગ્યા પછી બહાર પડેલા જંત્રીના ભાવ વધારાના નોટિફિકેશનની ચર્ચા થઇ રહી છે. જંત્રીના ભાવમાં રાત્રે નોટિફિકેશન બહાર પાડવામાં આવતા ગુજરાતની ભૂપેન્દ્ર સરકાર પણ કેન્દ્રની મોદી સરકારના પગલા પર ચાલી રહી હોય તેમ લાગી રહ્યુ છે. મહત્વપૂર્ણ છે કે 7 વર્ષ પહેલા 8 નવેમ્બર 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાત્રે 8 વાગ્યે 500 અને 1000 રૂપિયાની જૂની નોટને બંધ કરી દીધી હતી.
Advertisement
Advertisement
ગુજરાત સરકારે 2011 પછી 12 વર્ષ પછી અચાનક જ જંત્રીના ભાવમાં 100 ટકા વધારો કરી નાંખ્યો છે. ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે સાંજે 7 વાગ્યા પછી બહાર પાડેલા નોટિફિકેશનને આધારે રવિવાર 5 ફેબ્રુઆરીથી જ આ ભાવ વધારો લાગુ કરી દેવામાં આવ્યો છે. ગુજરાત સરકારે રાજ્યમાં જંત્રીના દરો રાતો રાત બમણા કરી દીધા છે. સરકારના આ નિર્ણયને કારણે લોકો અને બિલ્ડર લોબીમાં રોષ જોવા મળી રહ્યો છે.
જંત્રીના ભાવમાં વધારો કરવામાં આવ્યા પછી રવિવારે ધ કોન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (CREDAI) અમદાવાદ, ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઉસિંગ એન્ડ એસ્ટેટ ડેવલપર્સ (GAHAD)ની વર્ચુઅલી બેઠક યોજાઇ હતી. જેમાં જંત્રીના ભાવ બમણા કરવાની અસર અંગે ચર્ચા કરવામાં આવી હતી. જંત્રીના ભાવમાં 12 વર્ષ પછી વધારો કરવામાં આવતા ઘણા બિલ્ડરો નારાજ હતા તો ઘણાએ એમ કહ્યુ કે અમે રાતો રાત જંત્રીના ભાવમાં વધારો કરવામાં આવ્યો તેનો વિરોધ કરીએ છીએ.
ગુજરાતમાં જંત્રીના ભાવમાં 100 ટકા વધારો કરવામાં આવતા જમીન, ફ્લેટ અને કૉમર્શિયલ પ્રોપર્ટીના ભાવમાં 25 ટકાથી વધારેનો વધારો થવાની શક્યતા છે. અમદાવાદના પ્રહલાદનગર, બોડકદેવ, રાજપથ અને કર્ણાવતી ક્લબની પાછળના વિસ્તારમાં જમીનની કિંમત વધારે હોવાથી તે વિસ્તારના બંગલાઓ અને ફ્લેટની કિંમતમાં બહુ મોટો વધારો આવવાની શક્યતા છે. 50,000થી 1 લાખ કે તેનાથી વધુનો માસિક પગાર ધરાવનારાઓને આર્થિક રીતે પછાત વર્ગના લોકો જેવી જ મિલકતો ખરીદીને સંતોષ માનવો પડશે.
જંત્રીના ભાવ વધતા નાગરિકો અને બિલ્ડર પર કેવી અસર થશે
જંત્રીના ભાવમાં વધારો થતા બિલ્ડરને જમીનની પડતર કિંમત પર ડબલ સ્ટેમ્પ ડ્યૂટી ભરવી પડશે. એટલે પ્રોજેક્ટ કોસ્ટ ડબલ થઇ જશે. દસ્તાવેજની કિંમતમાં પણ વધારો થશે. દાખલા તરીકે, અમદાવાદ શહેરના ભાડજ, શીલજ સહિતના વિસ્તારમાં 100 વારનું અફોર્ડેબલ મકાન 80થી 85 લાખમાં વેચાય છે, જેમાં 35 લાખનો દસ્તાવેજ થતો હોય છે ત્યારે હવે ખરીદદારે 70 લાખનો દસ્તાવેજ ફરજિયાત કરવો પડશે.
જમીનની પડકર કિંમત સીધી ડબલ થઇ જશે. કોઇ પણ પ્રોજેક્ટ માટે જમીન ખરીદવા પર ભરવી પડતી સ્ટેમ્પ ડ્યૂટી ડબલ થઇ જશે. દાખલા તરીકે, 10 કરોડની જમીન પર 60 લાખ સ્ટેમ્પ ડ્યૂટી ભરવી પડતી હતી, જે હવે 1.20 કરોડ થશે. બિલ્ડરોને જમીનની વધુ કિંમત ચુકવવી પડશે. ઉપરાંત પરચેઝ એફએસઆઇની કિંમતમાં વધારો થશે. જેમ કે 1000 ચો.મી.નો પ્લોટ હોય અને તેમાં બેઇઝ એફએસઆઆઇ 1.2 ઉપરાંત પરચેજ એફએસઆઇ 1.5નો ઉપયોગ થાય તો તેની પર 15 હગજારની જંત્રીના 40 ટકા પ્રમાણે 90 લાખ રૂપિયા ભરવા પડતા હતા જેના હવે 1.80 કરોડ રૂપિયા ભરવા પડશે.
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે શું કહ્યું?
ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જંત્રીના ભાવમાં વધારાને લઇને કહ્યુ, ગુજરાત સરકારે રાજ્યના વિકાસ માટે અને ગરીબ લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે 11 વર્ષ સુધી જંત્રીના ભાવમાં વધારો કર્યો નહતો, જેથી અત્યારે જંત્રીમાં થયેલો ભાવ વધારો મારા મતે વ્યાજબી છે.
જંત્રીના ભાવ 100 ટકા વધારવામાં આવતા લોકોમાં ભારે રોષ
જંત્રીના ભાવમાં વધારો કરવામાં આવતા સોશિયલ મીડિયા પર લોકો સરકાર પર ગુસ્સો ઠાલવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર 156 સીટની જંગી બહુમતી અપાવનાર પ્રજાને સરકારે “8 PM” ઇફેક્ટની રિટર્ન ગિફ્ટ આપી હોવાની વાત પણ ચર્ચાઇ રહી છે.
Advertisement