દિલ્હીઃ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે શરાબ નીતિના કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના પૂર્વ ઉપ-મુખ્યમંત્રી અને આમઆદમી પાર્ટી (AAP) નેતા મનીષ સિસોદિયાને 20 માર્ચ સુધી જ્યુડિશિયલ કસ્ટડી મોકલી દીધા છે. કોર્ટના આદેશ બાદ મનીષ સિસોદિયાની હોળી તિહાડ જેલમાં જ થશે.
Advertisement
Advertisement
સિસોદિયા અત્યાર સુધી કેન્દ્રીય તપાસ બ્યૂરો(CBI)ના રિમાન્ડ પર હતા. CBIના વકીલે જણાવ્યું કે તેઓ હાલ તો સિસોદિયાના રિમાન્ડ વધારવાની માંગણી કરતા નથી. પરંતુ, 15 દિવસમાં ફરીથી રિમાન્ડની માગણી કરવાની શક્યતા છે.
અગાઉ સિસોદિયાના રિમાન્ડ બે દિવસ વધ્યા હતા
આ અગાઉની સુનાવણીમાં રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાના સીબીઆઈ રિમાન્ડ બે દિવસ વધારી દીધા હતા. સીબીઆઈએ મનીષ સિસોદિયાના વધુ ત્રણ દિવસના રિમાન્ડ માગ્યા હતા. સ્પેશિયલ સીબીઆઈ કોર્ટ એમ કે નાગપાલની કોર્ટમાં મનીષ સિસોદિયા તરફથી વરિષ્ઠ વકીલ દયનકૃષ્ણન અને સિદ્ધાર્થ અગ્રવાલ કોર્ટ સમક્ષ હાજર થયા હતા. કોર્ટમાં રિમાન્ડ વધારવાની દલીલમાં સીબીઆઈએ કહ્યું હતું કે મનીષ સિસોદિયા હજુ પણ પૂછપરછમાં સહયોગ આપતા નથી.
અગાઉ સીબીઆઈએ કરી હતી પૂછપરછ
સીબીઆઈએ દિલ્હીના ઉપરાજ્યપાલની ફરિયાદના આધારે એક્સાઈઝ પોલીસી અંગે કેસ દાખલ કર્યો હતો.આ કેસમાં મનીષ સિસોદિયા સહિત કુલ 15 લોકો સામે ફરિયાદ દાખલ કરાઈ હતી. સીબીઆઈએ આ કેસમાં મનીષ સિસોદિયા સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા તેમની જામીન અરજી ફગાવી દેવાના પગલે સિસોદિયાએ 28 ફેબ્રુઆરીએ મંત્રીપદેથી રાજીનામું આપ્યું હતું. દિલ્હીના પૂર્વ ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની લગભગ આઠ કલાક સુધી પૂછપરછ કર્યા બાદ સીબીઆઈએ 27 ફેબ્રુઆરીએ શરાબ કૌભાંડમાં તેમની ધરપકડ કરી હતી. સીબીઆઈએ આપ નેતાની ભ્રષ્ટાચાર વિરોધી કાયદાની કલમ 7 હેઠળ ગુનાઈત ષડયંત્ર રચવા અને પૂરાવાનો નાશ કરવાના આરોપમાં ધરપકડ કરી હતી. આ અગાઉ સીબીઆઈ તેમની બે વખત પૂછપરછ કરી ચૂકી છે. સીબીઆઈએ કોર્ટને જણાવ્યું કે સિસોદિયા હજુ પણ તપાસમાં સહકાર આપતા નથી.
Advertisement