મોટા ભાગના લોકો શું કરવું એ વિશે ચર્ચા કરતાં હોય છે અને વિચારતાં હોય છે પરંતુ કરિયરમાં શું ના કરવું એ પણ એટલું જ અગત્યનું છે. ધોરણ-12 પછી શું ના કરવું ?
Advertisement
Advertisement
તો આટલું ના કરવું…
ધોરણ-12 પછી ન ગમતાં ક્ષેત્રને પસંદ ના કરવું
આમ કરવાથી આખી જિંદગી તમે તમારી જાતથી અસંતુષ્ટ રહી શકો છો. કરિયર માટે પૈસા કમાવવા પૂર્તિ જ સિમિત નથી હોતી પરંતુ સારી રીતે જીવવા અને કામ કરવા માટે હોય છે. આજના સમયમાં અનેક વિકલ્પો ઊભા છે ત્યારે તમને જે ગમે તે લાઈન જ પસંદ કરો. જે ના ગમે તે લાઈન પસંદ ના કરો.
કોઈની સલાહ પર પ્લાનિંગ વિના વિદેશની સીધી વાટ ન પકડવી
તમે જ્યારે વિદેશ જવાનું વિચારતા હોવ તો બધા માટે વિદેશ જવું સફળતાભર્યું નથી હોતું. ઘણાં કિસ્સામાં એવું પણ બનતું હોય છે કે નાની ઉંમરે વિદેશ જવાથી તેની નકારાત્મક અસર પડતી જોવા મળે છે. નાની ઉંમરે વિદેશ જવાથી કોર્સ ફી પણ વધુ હોવાના કારણે ખર્ચ પણ વધારે થશે. જો તમારામાં એવી કોઈ જવાબદારી નથી તો હાલ વિદેશ ના જવું. બીજાના વાદે ચડીને વિદેશ જવાનો નિર્ણય ના લેવો.
ધોરણ-12 સાયન્સ પછી માત્ર કોલેજ કેમ્પસના આધારે કોલેજ પસંદગીનો નિર્ણય ના લેવો
આજે ઢગલાબંધ એન્જિનિયરિંગ, ફાર્મસી, ડેન્ટલ અને ફિઝિયોથેરાપી કૉલેજો છે. બધે સુંદર કેમ્પસ છે પરંતુ ઘણી એવી કૉલેજો છે જ્યાંના કેમ્પસ તો સારું છે પણ ફેકલ્ટીના ઠેકાણા નથી. તમારું ભણતર તો ફેકલ્ટી સાથે વધું જોડાયેલું છે. કેમ્પસ કરતાં સારી અને નિયમિત ફેકલ્ટી હોવી વધુ જરૂરી છે.
પરિવારના નિર્ણય સાથે તમારી રુચિ બંધબેસતી ના હોય તો તેવી લાઈન ન લેવી
ખાસ તો સારા ટકા આવે એટલે આખો પરિવાર ખુશખુશાલ થઈ જાય છે. પરંતુ ખરી કસોટી તો એ પછી થતી હોય છે. જ્યારે તમે તમારી કરિયર નક્કી કરો છો ત્યારે તમારો પરિવાર અને તમે બંને સહમત હોય ત્યારે તે કરિયર સારી કહેવાય. પરંતુ તમારી રુચિ પર તમારા પરિવારની મહત્ત્વાકાંક્ષા ક્યાંક હાવી તો નથી થતી ને ? તે જોવું ખૂબ જ જરૂરી છે. જો આમ થતું હોય તો બીજાનું કીધું ના કરવું.
કોઈપણ લાઈન લેવાય, પૈસા ના જોવા, રુચિ જોવી
મોટા ભાગના લોકો કરિયર પસંદગીને સામજિક મોભો ગણાવતા હોય છે. આ બધું કોરાણે મુકીને તમે કઈ વસ્તુ માટે સર્જાયા છો એ શોધી કાઢવું અને એ રીતે કામ કરવું. આપણી રુચિ વિશે જો આપણને ખબર ના પડતી હોય તો કંઈ નઈ પરંતુ જે વસ્તુમાં આપણી રુચિ નથી એવી લાઈનમાં માત્ર પૈસા જોઈને ઘૂસી જવું એ જાત પર જુલ્મ કર્યા બરાબર છે એટલે આવું ના કરવું.
ડુંગરા દૂરથી રળીયામણાં એટલે કોઈ કરિયરને દૂરથી જ સારી ના માની લેવી
ઘણી કરિયરને આપણે સામાજિક મોભાસર સતત સરખાવીને તેને ઉત્તમ માનીએ છીએ. પરંતુ દરેક વિદ્યાર્થીએ એ વિચારવું જોઈએ કે આ લાઈનમાં મારે પાંચ વર્ષ અને આખી જિંદગી કાઢવાની છે. આવા સમયે થોડો સમય કાઢીને એ કરિયર સાથે જોડાયેલા લોકો, તેમાં કામ કરતાં લોકો અને તે કરિયર સાથે જોડાયેલું વાતાવરણ શાંતિથી સમજી લેવું જો ગૂંચવણ હોય તો આવું ના કરવું.
સૌથી મોટી વાત કયાંય ઉતાવળ ના કરવી
બારમાનું જેવું રિઝલ્ટ આવે એટલે શિક્ષણના દલાલો અનેક પ્રાઈવેટ સિટો ભરવા માટે નિર્દોષ વાલીઓ અને વિદ્યાર્થીઓને ઉતાવળ કરાવતા જોવા મળે છે. આવા લોકો પહેલાં વિદ્યાર્થીને ટાર્ગેટ કરે છે અને એ પછી તે વાલીઓને કન્વિન્સ કરે છે. ફી ભરવામાં, ફોર્મ ભરવામાં કે પછી ઉતાવળા નિર્ણય લેવામાં ક્યાંય ઉતાવળ ના કરવી. કરિયરનો સવાલ એટલે જિંદગીનો સવાલ. થોડો સમય ચાલ્યા ગયા પછી તમે ન કરેલી ઉતાવળનો તમને ચોક્કસ ફાયદો થશે.
Advertisement