શિલોંગ: કોનરાડ સંગમા ફરી એક વખત મેઘાલયના મુખ્યમંત્રી બનશે. સૂત્રો અનુસાર 7 માર્ચે યોજાનાર શપથ ગ્રહણમાં પીએમ મોદી પણ સામેલ થશે. રાજ્યમાં 27 ફેબ્રુઆરીએ યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામ ગુરૂવારે જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં કોનરાડ સંગમાની નેશનલ પીપુલ્સ પાર્ટી (NPP) રાજ્યમાં સૌથી મોટી પાર્ટીના રૂપમાં ઉભરી છે, જેને 59 બેઠકમાંથી 26 બેઠક પર જીત મેળવી હતી. આ બહુમતનો આંકડો મેળવવાથી કેટલીક બેઠક ચુકી ગઇ હતી.
Advertisement
Advertisement
મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા નેશનલ પીપુલ્સ પાર્ટીની સરકારનો બહુમતનો દાવો કરવા માટે રાજ્યપાલ ફાગૂ ચૌહાણને મળવા તેમના ઘરે પહોચ્યા હતા. આ પહેલા કોનરાડ સંગમાએ કહ્યુ કે, ભાજપે અમને પોતાનું સમર્થન આપ્યુ છે. અમે રાજ્યપાલને મળવા જઇ રહ્યા છીએ, અમે તેમણે અનુરોધ કરીશું કે તે નેશનલ પીપુલ્સ પાર્ટીને સરકાર બનાવવા માટે આમંત્રિત કરે. ભાજપ અને અન્ય પાર્ટીઓએ પોતાનું સમર્થન આપ્યુ છે. વધુમાં કોનરાડ સંગમાએ કહ્યુ કે, અમે ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શપથ ગ્રહણ સમારંભમાં સામેલ થવા માટે અનુરોધ કર્યો છે. વડાપ્રધાન કાર્યાલયની પૃષ્ટીની રાહ જોઇ રહ્યા છીએ. જો વડાપ્રધાન સમારંભમાં સામેલ થશે તો તેમના અનુસાર કાર્યક્રમની તારીખ નક્કી થશે.
PM મોદીએ સંગમાને શુભકામના પાઠવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેઘાલય વિધાનસભા ચૂંટણીમાં સારા પ્રદર્શન માટે નેશનલ પીપુલ્સ પાર્ટી (NPP)ના પ્રમુખ કોનરાડ સંગમાને શુભકામના પાઠવી હતી, તેમણે કહ્યુ કે મેઘાલયની પ્રગતિ માટે તે NPP સાથે મળીને કામ કરવા ઉત્સુક છે. વડાપ્રધાને સંગમાના એક ટ્વીટના જવાબમાં આ પ્રતિક્રિયા આપી હતી. સંગમાના નેતૃત્વમાં સરકાર રચવા માટે ભાજપ તરફથી એનપીપીને સમર્થન પત્ર સોપવા પર તેમણે (સંગમાએ) એક ટ્વીટ કરીને ભાજપ નેતૃત્વનો આભાર માન્યો હતો.
મેઘાલયમાં એનપીપી સાથે ભાજપ ગઠબંધનની સરકાર બનાવવા પાછળ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વ સરમાનો મોટો હાથ માનવામાં આવી રહ્યો છે. હિમંતા બિસ્વ સરમાની પૂર્વોત્તરના રાજ્યમાં સારી પકડ છે. પૂર્વોત્તરના સ્થાનિક મુદ્દાથી લઇને આ રાજ્યમાં હિન્દુત્વની અલગ જગ્યા ધરાવનારા મુખ્યમંત્રી હિમંતા કોંગ્રેસમાંથી જ ભાજપમાં સામેલ થયા હતા.
Advertisement