ગાંધીનગર: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ – રાજકોટ હાઇવે પર ચાલતા વિવિધ માર્ગ વિકાસકામોનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમની સાથે ગાંધીનગરથી મુખ્ય સચિવ પંકજ કુમાર સુરેન્દ્રનગરના લીંબડી પહોંચ્યા હતા. આ તકે માર્ગ મકાન સચિવ સંદિપ વસાવાને સાથે રાખીને લીંબડી- બગોદરા વચ્ચે ચાલતા ૬ માર્ગીય રસ્તાના ડામર કામનું નિરીક્ષણ કરી જાત માહિતી મેળવી હતી.
બગોદરા તારાપુર ૦૬ લેન માર્ગ અન્વયે અરણેજ ખાતે બની રહેલા બ્રિજ ના કામોની પણ મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ-રાજકોટ ધોરીમાર્ગ ને સિક્સ લેન કરવાના પ્રગતિ હેઠળના કામોના સ્થળ નિરીક્ષણ અને ગુણવત્તા વગેરેની જાત માહિતી મેળવવાના હેતુસર મોટર માર્ગે આ રૂટ પર નીકળ્યા હતા અને જુદા જુદા સ્થળોની માર્ગ નિર્માણ કામગીરી નિહાળી હતી તથા આ કામગીરી સાથે સંકળાયેલા ઇજનેરો અધિકારીઓ સાથે કામગીરીની સમીક્ષા કરી હતી.