ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે રાજકોટમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાન કરશે. કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે સાંજે 5થી 6 વાગ્યા સુધીમાં મુખ્યમંત્રી મતદાન કરશે. હાલ મુખ્યમંત્રીની તબિયત સ્થિર છે. મહત્વપૂર્ણ છે કે મુખ્યમંત્રી રૂપાણી રાજકોટના વોર્ડ નંબર-10ના મતદાર છે.
મુખ્યમંત્રી રૂપાણી આવતીકાલે સાંજે 5 વાગ્યે વોર્ડ નંબર 10, બુથ નંબર-2, રૂમ નંબર-7 અનીલ જ્ઞાન મંદિર સ્કૂલ, જીવણનગર સોસાયટી 01, રૈયા રોડ, રાજકોટ ખાતે કોરોનાની ગાઇડલાઇન મુજબ મતદાન કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ હતા.
અમદાવાદ સહિત રાજ્યની 6 મહાનગર પાલિકાની ચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજાવાનું છે, ત્યારે છેલ્લા થોડા દિવસોથી રાજ્યમાં કોરોનાના કેસો વધતા વહીવટી તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. મનપા ચૂંટણીમાં કોરોના સંક્રમિત દર્દીઓ મતદાન કરી શકે, તે માટે ચૂંટણી પંચ દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
PPE કિટ પહેરીને મતદાન કરશે CM રૂપાણી
મુંખ્યમંત્રી પણ ડૉક્ટરની સલાહ મુજબ PPE કિટ પહેરીને રાજકોટમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે રેમડેસિવીર ઈન્જેક્શનના ડૉઝ પૂર્ણ કર્યા છે. હાલ તેમની તબીયત સુધારા પર છે. આથી ડૉક્ટરોની સલાહ મુજબ મુખ્યમંત્રી રૂપાણી PPE કિટ પહેરીને રાજકોટના અનિલ જ્ઞાન મંદિર ખાતેના તેમના મતદાન મથકે મત આપવા જશે. આવતી કાલે મતદાન કર્યા બાદ તેઓ ફરીથી હોસ્પિટલમાં એડમીટ થઈ જશે. કોરોના સંક્રમિત દર્દીએ આરોગ્ય અધિકારી પાસેથી PPE કિટ લેવાની રહેશે અને મતદાન માટે આવતા સમયે આ કિટ પહેરવી ફરજિયાત રહેશે. કોરોના સંક્રમિત દર્દીઓ માટે ચૂંટણી પંચ દ્વારા મતદાનના દિવસે સાંજે 5 થી 6 સુધીનો 1 કલાકનો ટાઈમ નક્કી કરવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી હાલ કોરોના સંક્રમિત છે અને અમદાવાદની યુએન મેહતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તાજેતરમાં વડોદરા ખાસે એક જનસભાને સંબોધવા દરમિયાન મુખ્યમંત્રીની તબીયત લથડી હતી. જે બાદ તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
આ પણ વાંચો: રાજકોટમાં EVM ફાળવણી પહેલા જ વિરોધ, કોંગ્રેસે ‘કમળ’ના ચિહ્નમાં ફેરફાર માટે કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી
મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા થકી પોતાની તબીયતની જાણકારી આપતા જણાવ્યું હતું કે, તેમની તબીયત સુધારા પર હોવાનું જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ મતદાનની જાગૃતિ અંગે સંબોધન કરતા જણાવ્યું હતું કે, કોરોના સંક્રમિત થવાને લીધે હું તમને પ્રત્યક્ષ મળવા માટે આવી શક્યો ના હોવાથી વીડિયો મારફતે અપીલ કરું છું. ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ બનાવવા માટે ભાજપાના નિશાન કમળ પર મતદાન કરીને લોકશાહીના આ પર્વની ઉજવણી કરીએ.