- અમદાવાદ માટે રૂ. 110 કરોડ – સુરતમાં ફલાયઓવર માટે રૂ. 70 કરોડ- વડોદરામાં ખાનગી સોસાયટી જનભાગીદારી કામો માટે રૂ. 63.53 કરોડ – જામનગરમાં મુખ્યમંત્રી શહેરી સડક યોજના માટે રૂ. 9.16 કરોડ
ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહાનગરો-નગરોમાં વિવિધ વિકાસ કામો તથા આઉટગ્રોથ વિસ્તારના કામો માટે ગ્રાન્ટ ફાળવવાનો આગવો અભિગમ અપનાવ્યો છે. આ સંદર્ભમાં તેમણે રાજ્યના 4 મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને જામનગર માટે કુલ મળીને 253 કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી છે.
અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારના આઉટગ્રોથ એરિયામાં 81 જેટલા રસ્તા, પેવર બ્લોક, ડ્રેનેજ લાઇન, પીવાના પાણીની પાઇપલાઇન, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇન તથા નવા હેલ્થ સેન્ટર માટે કુલ 110 કરોડ રૂપિયા ફાળવવા ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
તેમણે સુરત મહાનગરમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સહારા દરવાજા રિંગરોડ ફલાય ઓવર બ્રીજથી કરણી માતાના ચોક સુધીના ફલાય ઓવરબ્રીજના કામ માટે વધારાના 70 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. એટલું જ નહિ, વડોદરા મહાનગરમાં પણ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ખાનગી સોસાયટી જનભાગીદારીના કામો, જુદા જુદા સી.સી રોડ, સ્ટ્રીટ લાઇટ, ડ્રેનેજ લાઇન તથા પાણીની પાઇપલાઇનના મળીને 1129 કામો માટે 63.53 કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી છે.
આ ત્રણ મહાનગરો ઉપરાંત જામનગર મહાનગરમાં પણ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં મુખ્યમંત્રી શહેરી સડક યોજના માટે કુલ 9 રસ્તાના કામો માટે 9.16 કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય કર્યો છે.
આમ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક જ દિવસમાં રાજ્યના આ ચાર મહાનગરોમાં જનહિતકારી વિકાસ કામો માટે સમગ્રતયા રૂ. 250 કરોડ ઉપરાંતની રકમ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે.