નાસિક: આજે વહેલી સવારે મહારાષ્ટ્રના નાસિકમાં મુસાફરોથી ભરેલી એક લક્ઝરી બસમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે. જેમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. આ સિવાય આ અકસ્માતમાં અન્ય 38 મુસાફરો દાઝી ગયા છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસનું કહેવું છે કે તેઓ હજુ પણ મૃત્યુનો ચોક્કસ આંકડો જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે.
Advertisement
Advertisement
આ દુર્ઘટના ઔરંગાબાદ રોડ પર નાસિકના નંદુર નાકા મિર્ચી હોટલ પાસે સવારે લગભગ 5 વાગ્યે થઈ હતી. ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર કન્ટેનર સાથે અથડાવાને કારણે બસમાં આગ લાગી હતી. બસ યવતમાલથી મુંબઈ જઈ રહી હતી, જ્યારે કન્ટેનર ટ્રક નાશિકથી પુણે જઈ રહી હતી.
ઘટનાની માહિતી મળતા જ અધિકારીઓ ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત કાર્ય શરૂ કર્યું હતું. અકસ્માતના વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પેસેન્જર બસ આગનો ગોળો બની ગઈ છે અને ધુમાડાથી સળગી રહી છે.
આ પણ વાંચો : #બેઠકપુરાણ માંડવી (કચ્છ): વાસ્કો દ ગામાને જળમાર્ગ બતાવનારું માંડવી પોતે આ વખતે રસ્તો બદલશે?
નાસિકના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ અમોલ તાંબેએ જણાવ્યું હતું કે, “મૃતકોમાં મોટાભાગના બસના સ્લીપર કોચના મુસાફરો હતા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.” તેમણે કહ્યું કે કેસ નોંધવામાં આવ્યો છે અને આગનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ ચાલુ છે.
પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે અકસ્માત સવારે 5.15 વાગ્યાની આસપાસ થયો હતો ત્યારબાદ તેઓએ પોલીસ અને એમ્બ્યુલન્સને બોલાવી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો હતો અને અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારોને 2-2 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને 50,000 રૂપિયા આપવાની પણ જાહેરાત કરી છે.
Advertisement