મંગળવાર, 31 જાન્યુઆરીએ બજેટ સેશન શરૂ થઇ રહ્યું છે. વિપક્ષ અનેક મુદ્દાઓ પર સરકારને પ્રશ્ન કરવાની તૈયારીમાં છે. આ મુદ્દાઓમાં અદાણી ગ્રુપને લઈને અમેરિકન રિસર્ચ કંપની હિંડનબર્ગનો રિપોર્ટ અને ગુજરાત રમખાણો સાથે જોડાયેલી બીબીસીની ડોક્યુમેન્ટ્રી સામેલ છે. આ બંને પર ખુબ જ વિવાદ જોવા મળી રહ્યો છે. હિંડનબર્ગે પોતાના રિપોર્ટમાં અદાણી ગ્રુપ દ્વારા અત્યાર સુધીનો સૌથી મોટો ફ્રોડ કર્યા હોવાના ગંભીર આરોપ લગાવ્યા છે. જ્યારે બીબીસીની ડોક્યુમેન્ટ્રીએ ગુજરાત રમખાણોમાં નરેન્દ્ર મોદીની સીધી ભૂમિકા હોવાનું કહ્યું છે.
Advertisement
Advertisement
બજેટ સેશનથી પહેલા સોમવારે 30 જાન્યુઆરીએ સરકારે એક સર્વપક્ષીય બેઠક બોલાવી. જેમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સરકાર તરફથી આશ્વાસન આપ્યું કે તેઓ નિયમો હેઠળ દરેક મુદ્દા પર ચર્ચા કરવા માટે તૈયાર છે. મીટિંગમાં કેન્દ્રીય મંત્રી પ્રહ્લાદ જોશી, પીયૂષ ગોયલ, અર્જૂન રામ મેઘવાલ અને વી મુરલીધરણ પણ સામેલ થયા. બેઠકમાં 27 પાર્ટીઓના 37 નેતા હાજર રહ્યાં. આ દરમિયાન વિપક્ષે હિંડનબર્ગ રિપોર્ટ, બીબીસી ડોક્યુમેન્ટ્રી, મહિલા અનામત બિલ, બેરોજગારી અને મોંઘવારી જેવા મુદ્દાઓ પર ચર્ચાની માંગ કરી.
આમ આદમી પાર્ટી હિંડનબર્ગ, સોનમ વાંગચુક, એલજી દ્વારા દિલ્હી સરકારના અધિકારોનું હનન, મોંઘવારી અને બેરોજગારી પર ચર્ચા કરવાની તૈયારીમાં છે. ટીએમસીએ બેરોજગારી, મહિલા અનામત બિલ મોંઘવારી અને બીબીસી ડોક્યુમેન્ટ્રી પર ચર્ચા કરવાની માંગ કરી છે.
સૌથી મોટી વિપક્ષી પાર્ટી કોંગ્રેસ બેઠકમાં સામેલ થયું નહતું. કોંગ્રેસના નેતા ભારત જોડો યાત્રાના સમાપન કાર્યક્રમ માટે શ્રીનગરમાં હતા. જોકે, કોંગ્રેસ સંચાર વિભાગના પ્રમુખ જયરામ રમેશે ટ્વિટર પર અદાણી પર લાગેલા આરોપોની તપાસની માંગ કરી હતી. આરજેડી તરફથી બીબીસી ડોક્યુમેન્ટ્રી, અદાણી વિરૂદ્ધ આવેલ રિપોર્ટ, જ્ઞાતિ આધારિત વસ્તીગણતરી, મોંઘવારી અને બેરોજગારી પર ચર્ચાની માંગ થઇ શકે છે.
કે ચંદ્રશેખર રાવની આગેવાની હેઠળની ભારત રાષ્ટ્ર સમિતિ કેન્દ્ર સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવશે. જેમ કે અદાણીમાં LIC દ્વારા કરાયેલું રોકાણ, સરકારી કંપનીઓનું ખાનગીકરણ, મહિલા આરક્ષણ, મોંઘવારી અને બેરોજગારી. શિવસેના હિંડનબર્ગ રિપોર્ટને લઈને કેન્દ્ર સરકારને સવાલ કરશે. પાર્ટી મહારાષ્ટ્રમાં રોકાણ, સરકારી પ્રોજેક્ટ્સ, ચીનની ઘૂસણખોરીનો મુદ્દો પણ ઉઠાવી શકે છે.
બીજી તરફ જગન રેડ્ડીની પાર્ટી YSR હાઉસમાં જાતિ ગણતરીનો મુદ્દો ઉઠાવી શકે છે. શિરોમણી અકાલી દળ (SAD) પંજાબમાં કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો, ખેડૂતોની દુર્દશા અંગેનો મુદ્દો સંસદમાં ઉઠાવશે. SAD એ તમામ કેદીઓને મુક્ત કરવાની પણ માંગ કરશે, જેઓ ઘણા દાયકાઓથી જેલમાં સજા કાપી રહ્યાં છે. બીજી તરફ ડાબેરી પક્ષો બીબીસી ડોક્યુમેન્ટ્રી, હિંડનબર્ગ રિપોર્ટ અને સરકારની આર્થિક નીતિઓ પર પ્રહાર કરવાની તૈયારી કરી રહી છે.
બેઠક બાદ મીડિયાને સંબોધતા કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે,
સરકાર નિયમો મુજબ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે.
જ્યારે ભાજપના નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે,
સરકાર ગૃહમાં દરેક ચર્ચા અને ચર્ચા માટે તૈયાર છે. પરંતુ શું વિપક્ષ ચર્ચા કરવા માંગે છે કારણ કે હંગામાથી માત્ર ખર્ચો થઇ શકે છે ચર્ચા નહીં.
આ બજેટ સત્રમાં બે ભાગમાં કુલ 27 બેઠકો થશે. આજે પ્રથમ ભાગ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ભાષણથી શરૂ થશે. આ ભાગ 13 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે. બીજા ભાગ માટે, સંસદ 13 માર્ચે ફરી શરૂ થશે અને 6 એપ્રિલ સુધી ચાલશે.
Advertisement