વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: ભરૂચ જિલ્લાના ચંદેરીયા ખાતે BTP અને આમ આદમી પાર્ટીએ સંયુક્ત પણે મહાસંમેલન યોજી આવનારી 2022 ની ગુજરાત વિધાનસભા ચુંટણી માટે ગઠબંધનની જાહેરાત કરી હતી.એ ગઠબંધન ચુંટણી યોજાય એ પહેલા જ તુટી ગયુ છે. BTPના સર્વે સર્વા છોટુભાઈ વસાવાએ ગઠબંધન તોડવાની જાહેરાત કરતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જે છોટુભાઈ વસાવા આમ આદમી પાર્ટીના ગુણગાન ગાતા થાકતા નહોતા એ જ છોટુભાઇ વસાવાએ આમ આદમી પાર્ટી વિરૂદ્ધ ગંભીર આક્ષેપો લગાવતા લોકોમાં પણ આશ્ચર્ય ફેલાયું છે તો બીજી બાજુ BTP હવે કઈ રાજકીય પાર્ટી સાથે ગઠબંધન કરશે એની તરફ લોકોની મીટ મંડાઈ છે.હાલ તો એવા પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે કે BTP એ ભાજપ, કોંગ્રેસ, AIMIM અને AAP સાથે ચાર ધામની રાજકીય યાત્રા પૂરી કરી, હવે ફરી પાછો BTP નો કોંગ્રેસ પ્રેમ છલકશે કે કેમ???
Advertisement
Advertisement
ગઠબંધન વખતે જેને છોટુભાઇ વસાવા દેશની સૌથી પ્રમાણિક પાર્ટી ગણાવી રહ્યા હતા એ આમ આદમી પાર્ટીને એમણે દેશને લૂંટવા માટેની પાર્ટી તરીકે ગણાવી હતી.હવે BTP ને આમ આદમી પાર્ટી સાથે એવું તે શું વાંકું પડ્યું કે ગઠબંધન તોડવા સુધીની વાત આવી ગઈ હશે, આ પ્રશ્ન હલ રાજકીય મોરચે ચર્ચાની ટોચ પર છે.તો એના માટે BTP ના છોટુભાઈ વસાવાની ભરૂચ જિલ્લાની ઝઘડિયા બેઠક અને એમના પુત્ર મહેશભાઈ વસાવાની નર્મદા જિલ્લાની ડેડીયાપાડા બેઠક પર નજર કરવી પડે.એક સર્વે મુજબ BTP અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધનનો સીધો ફાયદો આમ આદમી પાર્ટીને વધુ અને વધુ નુકશાન BTP ને વધુ થવાનો હતો.આ ગણિત BTP ને ગઠબંધનની જાહેરાત કર્યા પછી સમજાયું.ગુજરાતના આદિવાસી પટ્ટામાં જેટલું BTP નું વર્ચસ્વ છે એટલુ આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ નથી અને શહેરી વિસ્તારમાં જેટલુ આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ છે એટલું વર્ચસ્વ BTP નું નથી.આમ આદમી પાર્ટીનું મુખ્ય લક્ષ ગુજરાતનાં આદિવાસી પટ્ટા પર હતું.એટલે આમ આદમી પાર્ટી BTP ના ખભે હાથ મૂકી આદિવાસી પટ્ટામાં પોતનું વર્ચસ્વ જમાવવા માંગતી હતી, એની સામે BTP ને ગુજરાતનાં કાઠિયાવાડ અને શેહરી વિસ્તારમા કોઈ સ્વીકારશે નહિ બીજી બાજુ આમ આદમી પાર્ટી આદિવાસી પટ્ટામાં પોતાનો સિક્કો જમાવી દેશે એવી ભનક BTP ને આવી ગઈ હતી એટલે પણ આ ગઠબંધન તોડી પડાયું હોવું જોઈએ.
હવે BTP આગામી વિધાનસભાની ચૂંટણીમા ગઠબંધન કોની સાથે કરશે એ પ્રશ્ન અહીંયા ઉપસ્થિત થાય છે, BTP એ હવે ના છૂટકે કોંગ્રેસ સાથે ગઠબંધન કરવું જ પડશે, કોંગ્રેસ સાથેના ગઠબંધનનો સૌથી વધુ ફાયદો થશે કોંગ્રેસને અને BTP ને તો ફક્ત 2 જ બેઠક પર ફાયદો થતો હોવાનું હાલ તો દેખાઈ રહ્યું છે. અત્રે એ નોંધવું રહ્યું કે BTP ધારાસભ્ય પિતા-પુત્રની જોડીએ જો વિધાનસભામાં જવું હોય તો કોંગ્રેસ સાથે ગઠબંધન સિવાય બીજો કોઈ વિકલ્પ છે જ નહિ.BTP જો કોંગ્રેસ સાથે ગઠબંધન ન કરે તો નુકશાન BTP ને થવાનું છે, પરંતુ ગઠબંધન બાદ દક્ષિણ ગુજરાતની અલગ અલગ બેઠકો પર કોંગ્રેસ સામે જો BTP પોતાનો ઉમેદવાર ન ઉતારે તો એનો સીધો ફાયદો કોંગ્રેસને પણ 100 ટકા થવાનો જ છે.પણ હાલ તો કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાની ગરજ કોંગ્રેસ કરતા BTP ની વધારે છે, એટલે BTP જ સામે ચાલીને કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે એવું લાગી રહ્યું છે.
ડેડીયાપાડામાં ભાજપ અને કોંગ્રેસની લોક ચાહના વધુ છે જો કોંગ્રેસ, ભાજપ અને BTP વચ્ચે ત્રી-પંખીયો જંગ થાય તો જીત ભાજપ અથવા કોંગ્રેસની જ થાય.એવા સંજોગોમાં મહેશભાઈ વસાવાએ હારનો સ્વાદ ચાખવો પડે.ઝઘડિયામાં પણ એવી જ સ્થિતિ છે.છોટુભાઈ અને મહેશભાઈ વસાવાએ પોતાની બેઠક જીતવા માટે જ કોંગ્રેસ સાથે ગઠબંધન કરવું પડશે એવું રાજકીય મોરચે ચર્ચાઈ રહ્યું છે.તો બીજી બાજું BTP અને કોંગ્રેસ ગઠબંધનનો નર્મદા જિલ્લા કોંગ્રેસના કાર્યકરો સખત વિરોધ કરી રહ્યા છે.ફ્કત ડેડીયાપાડા અને ઝઘડિયા બેઠકને જીતવા ખાતર જ BTP એ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન તોડી પાડ્યું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ BTP ના છોટુભાઈ વસાવા અને મહેશભાઈ વસાવા સાથે જૂન મહિનામાં ગુજરાત કોંગ્રસના પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ એમનાં નિવાસસ્થાને બેઠક કરી હતી.અને ચૂંટણીના સમીકરણો મુદ્દે સઘન ચર્ચાઓ કરી હતી.ત્યારે જ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન તોડી પાડવાની સ્ક્રિપ્ટ લખાઈ ગઇ હતી.જો કે એ પેહલા BTP નું એક પ્રતિનિધિમંડળ દિલ્હી ખાતે અરવિંદ કેજરીવાલનું વિકાસ મોડલ જોવા ગયું હતું, ત્યારે પણ મહેશભાઈ વસાવાએ દિલ્હી મોડલના વખાણ કર્યા હતા, તો બીજી બાજુ છોટુભાઈ વસાવાએ દિલ્હી ખાતે કોંગ્રેસના સંગઠન મહામંત્રી કે.સી.વેણુગોપાલ સાથે એક ગુપ્ત બેઠક પણ કરી હતી.BTP એ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન તોડ્યા બાદ હાલમાં જ છોટુભાઈ વસાવાએ કોંગ્રેસનાં કેન્દ્રીય નેતા પવન ખેડા સાથે બેઠક કરી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. એટલે ભવિષ્યમાં BTP અને કોંગ્રેસના ગઠબંધનના એંધાણ પણ વર્તાઈ રહ્યાં છે.એ પણ નોંધવું રહ્યું કે BTP જો કોંગ્રેસ સાથે ગઠબંધન ન કરે તો ડેડીયાપાડા અને ઝઘડિયા બેઠક BTP માટે જીતવી લોઢાના ચણા ચાવવા સમાન બની રહેશે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી પેહલા BTP એ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન તોડી પાડ્યું, છોટુભાઈ વસાવાની કોંગ્રેસ નેતાઓ સાથે મુલાકાત એ બતાવે છે કે ભવિષ્યમાં BTP અને કોંગ્રેસ એક મંચ પર આવશે.તો બીજી બાજુ BTP હવે કોંગ્રેસ સાથે જ ગઠબંધન કરશે એવા એંધાણ વચ્ચે નર્મદા જિલ્લા કોંગ્રેસના કાર્યકરો ભારોભાર નારાજગી છવાઈ છે.નર્મદા જિલ્લા કોંગ્રેસનાં હોદ્દેદારો અને ચૂંટાયેલી પાંખના નેતાઓએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરને ટેલીફોનીક રજુઆત કરી હતી કે નર્મદા જિલ્લાના BTP સાથે જો ગઠબંધન થશે તો કોંગ્રેસને મોટું નુકશાન થશે.આ રજૂઆતને પગલે જગદીશ ઠાકોરે નર્મદા જિલ્લા કોંગ્રેસનાં કાર્યકરોને રૂબરૂ મુલાકાત માટે બોલાવ્યા છે.
વર્ષ 2017 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને BTP એ ગઠબંધન કર્યું હતું. ડેડીયાપાડા બેઠક પર BTP ના મહેશભાઈ વસાવા ગઠબંધનના ઉમેદવાર જાહેર થયા હતા.જ્યારે નાંદોદ બેઠક માટે પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશભાઈ વસાવાનું નામ છેલ્લે સુધી ફાઇનલ મનાતું હતું.પણ છોટુભાઈ વસાવાએ પી.ડી.વસાવાને ટીકીટ ફાળવવા કોંગ્રેસ મોવડી મંડળને રજુઆત કરી હતી.એટલે પી.ડી.વસાવાને BTP ના ક્વોટા માંથી કોંગ્રેસે ટીકીટ ફાળવી હતી.તો બીજી બાજુ ડેડીયાપાડા સાગબારામાં આ ગઠબંધનનો ભારે વિરોધ થયો હતો.આ વખતે પણ વિરોધ થવાની સંભાવનાઓ રહેલી છે.એટલે આ વખતે તો કોંગ્રેસ BTP નું ગઠબંધન થશે તો સ્થિતિ કંઇક અલગ જ હશે.
Advertisement