દસ હજારથી પણ વધુ યાયાવરી પક્ષીઓને છોડાવનાર બચાવનાર વ્યક્તિત્વ એટલે ગનીભાઈ. આખું નામ ગનીભાઈ સમા. નળસરોવરના પક્ષીઓની ડિરેક્ટરી. પક્ષીશાસ્ત્રને ઓર્નિથોલોજી કહેવામાં આવે છે અને પક્ષીશાસ્ત્રીને ઓર્નિથોલોજીસ્ટ. ભારતના સુલેમાન પટેલ જાણીતા પક્ષીવિદ હતા. પક્ષીવિદ્ બનવા માટે કોઈ ડિગ્રી નહીં પણ મનની શાંતિ, ધીરજ અને પ્રકૃતિનો બારીક અભ્યાસ. ગનીમાં આ ત્રણેય ગુણો કુદરતી છે.
Advertisement
Advertisement
ખૂબ જ નાની ઉંમરે નળસરોવરના ખોળામાં રમતાં એવા વેકરિયા ગામમાં બાળપણ વિત્યું એટલે સ્વાભાવિક છે કે રમકડાંની જેમ હોડી અને હલેસા મળી ગયા. આસપાસના અફાટ કુદરતમાં જીવતાં જાગતાં જેવા ઉડતાં રમકડાંઓ એટલે પક્ષીઓનો સહવાસ. ગનીભાઈ હવે આ જ દુનિયામાં એકાકાર થઈ જાય છે.
ગનીના મતે પક્ષીવિદ્દ હોવું એક કળા છે. કારણ કે આ શાસ્ત્ર તો છે જ પણ કુદરતી સહવાસથી જન્મતી કળા છે. ગનીભાઈ એક માણવા જેવા માણસ. તેમની સાથે એક દિવસ પણ ઓછો પડે. અત્યારે તો તે સરકારી ચોપડે બોટમેન તરીકે કામ કરે છે.
નળસરોવર ગયા ત્યારે અમને મિત્ર મનુભાઈ બારોટે ગનીભાઈની બોટમાં જવાની ખાસ સૂચના આપી. અમે સૂચનાનું પાલન કર્યું. પછી ખ્યાલ આવ્યો કે આ તો જીવતી જાગતી પક્ષીઓની ડિરેક્ટરી છે. બોટના હલેસા સાથે મૂરહેન, જકાના, કોર્મોરન્ટ, લેસર ફ્લેમિંગો, શેલ્ડક, ગ્રેટર પેલિકન, ડોમિસાઈલ ક્રેન, યુરેશિયન ક્રેન નજીક કે દૂર આવતા જાય અને તેની આદતો અને તેના રંગોના નાના નાના ભેદભાવો પણ ગનીભાઈ એક ચિત્રકારની જેમ તારવી નાંખે છે. આવા તો 300 જેટલા નળસરોવરના પક્ષીઓને તેઓ પ્રત્યક્ષ રીતે ઓળખએ છે. 100 ચોરસ કિલોમીટરના ઘેરાવમાં પથરાયેલા નળસરોવરમાં અનેકવાર આ વિદેશી પક્ષીઓ ક્યાંક ને ક્યાંક જાળમાં ફસાઈ જાય છે ત્યારે ગનીભાઈ રેસ્ક્યૂનું કામ કરે છે. આજ દિન સુધીમાં આવા દસ હજારથી વધુ રેસ્ક્યૂ વર્ક ગનીભાઈએ કર્યા છે. ગનીભાઈ સારા ટ્રેપર પણ છે. જ્યારે પણ નળસરોવરમાં સરકાર દ્વારા આ પક્ષીઓના પ્રવાસ અંગેના સંશોધન કરવામાં આવે છે ત્યારે તે પક્ષીઓના પગે રેડિયો ટ્રાન્સમિશનની રિંગ લગાવવાનું કામ કરે છે. વૈજ્ઞાનિકોની સૂચના અનુસાર તેમણે એક પ્રોજેક્ટના ભાગરૂપે ક્રેનને એક ઝૂંડમાંથી પકડીને રેડિયો ટ્રાન્સમિશનની રિંગ લગાવી હતી અને તેના પ્રવાસનું સંશોધન કર્યું તો ખ્યાલ આવ્યો કે આ પક્ષી છેક કઝાકસ્તાન સુધી પહોંચ્યું હતું. બીજા વર્ષે એ પક્ષી એ જ સમયે જ્યાંથી તેને પકડવામાં આવ્યું હતું ત્યાં જ આવીને બેઠું હતું. ગનીભાઈના મતે આ પક્ષીએ 4500 કિલોમીટરનો પ્રવાસ ખેડ્યો હતો. ગનીભાઈ કહે છે કે, “નળસરોવરમાં આવતા પક્ષીઓની અનેક ખાસીયતો છે. બારહેડેડ ગૂઝ હિમાલયથી નળસરોવર આવે છે. ફ્લેમિંગો એક જ એવું પક્ષી છે જે પોતાનું માથું ઊંધું કરીને ખાય છે. વેટલેન્ડનો ગારો ખાનારા ઘણાં પક્ષીઓ 4000 કિલોમીટરનો પ્રવાસ ખેડીને આવે છે.” અંગ્રેજીની મર્યાદાઓ નડવા છતાં પણ ગનીભાઈએ અનેક પક્ષીવિદો સાથે રહી રહીને આ સિદ્ધી હાંસલ કરી છે. ગનીભાઈના આ ઉમદા કાર્ય માટે તેમને વર્ષ 2022નો સાણંદ રત્ન એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે.
Advertisement