નવી દિલ્હી: 2002ના ગુજરાત રમખાણોની પીડિતા બિલ્કીસ બાનોએ સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરી છે. બિલ્કિસે 13 મેના રોજ આવેલા કોર્ટના આદેશ પર પુનર્વિચાર કરવાની માંગ કરી છે. આ આદેશના આધારે બિલ્કીસ પર સામૂહિક બળાત્કાર અને તેના પરિવારના સભ્યોની હત્યાના દોષિતોને મુક્ત કરવામાં આવ્યા હતા. આ મામલો આજે ચીફ જસ્ટિસ સમક્ષ મૂકવામાં આવ્યો હતો. આ બાબતને ધ્યાનમાં લઈને યોગ્ય બેન્ચ સમક્ષ મુકવાની ખાતરી આપી હતી.
Advertisement
Advertisement
13 મેના રોજ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અજય રસ્તોગી અને વિક્રમ નાથની બેન્ચે એક દોષિત રાધેશ્યામ શાહની અરજી પર ચુકાદો આપતા કહ્યું કે તેને 2008માં સજા થઈ હતી. તેથી, ગુજરાતમાં 2014માં બનાવેલા કડક નિયમો રિલીઝ માટે લાગુ નહીં થાય, પરંતુ 1992ના નિયમો લાગુ પડશે. 15 ઓગસ્ટના રોજ ગુજરાત સરકારે આ આધારે 14 વર્ષની સજા પામેલા 11 લોકોને મુક્ત કર્યા હતા. 1992ના નિયમોમાં આજીવન કેદની સજા પામેલા કેદીઓને 14 વર્ષ પછી મુક્ત કરવાની વાત કરવામાં આવી હતી, જ્યારે 2014માં લાગુ કરાયેલા નવા નિયમોમાં જઘન્ય ગુનાઓમાં સજા પામેલા કેદીઓને આ મુક્તિથી વંચિત રાખવામાં આવ્યા છે.
ઓર્ડર પાછો ખેંચવાની વિનંતી
બિલકિસ બાનો તરફથી દાખલ કરવામાં આવેલી રિવ્યુ પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે મહારાષ્ટ્રમાં ટ્રાયલ ચાલતી હતી ત્યારે ત્યાં પણ નિયમો લાગુ થવા જોઈએ ગુજરાતના નહીં. અત્યાર સુધી સુભાષિની અલી, રૂપરેખા વર્મા, મહુઆ મોઇત્રા સહિત ઘણા નેતાઓ અને સામાજિક કાર્યકર્તાઓ મુક્તિ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. તેમણે ગુજરાત સરકારના આદેશને પડકાર્યો હતો. આ અરજીઓ પર સુનાવણી ચાલી રહી છે. હવે બિલકિસ બાનો પોતે કોર્ટમાં આવી છે અને 13મી મેના રોજ આવેલા સુપ્રીમ કોર્ટના આદેશને પાછો ખેંચવાની માંગ કરી છે.
2002ની ઘટના
2002ના ગુજરાત રમખાણો દરમિયાન, દાહોદ જિલ્લાના રણધિકપુર ગામની બિલ્કીસ તેના પરિવારના 16 સભ્યો સાથે ભાગી ગઈ અને નજીકના છાપરવાડ ગામના ખેતરોમાં છુપાઈ ગઈ. 3 માર્ચ 2002ના રોજ 20થી વધુ તોફાનીઓએ ત્યાં હુમલો કર્યો હતો. 5 મહિનાની ગર્ભવતી બિલ્કીસ સહિત અન્ય કેટલીક મહિલાઓ પર બળાત્કાર થયો હતો. એટલું જ નહીં, બિલ્કીસની 3 વર્ષની પુત્રી સહિત 7 લોકોના મોત થયા હતા.
2008માં આજીવન કેદ
પીડિત પક્ષ પર દબાણ લાવવા માટે આરોપી તરફથી ફરિયાદ મળ્યા બાદ સુપ્રીમ કોર્ટે કેસને મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર કરી દીધો હતો. 21 જાન્યુઆરી 2008ના રોજ મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટે 11 લોકોને આજીવન કેદની સજા ફટકારી હતી. 2017માં બોમ્બે હાઈકોર્ટે સજાને યથાવત રાખી હતી.
Advertisement