પશ્ચિમ કચ્છનું પ્રવેશદ્વાર ગણાતું માંડવી દરિયાખેડુ ગુજરાતની યશગાથાનું મોરપિંછ છે. મહાભારતકાલીન ઋષિ માંડવ્યના નામ પરથી માંડવી તરીકે ઓળખાતું સમુદ્રતટ પર આવેલું આ નગર જહાજોના બાંધકામ માટે છેક આફ્રિકા અને ગ્રીસ જેવા યુરોપિય દેશો સુધી ખ્યાતિ ધરાવતું હતું. હિન્દ તરફ લઈ જતાં નવા જળમાર્ગની શોધમાં નીકળેલાં પોર્ટુગિઝ સાહસિક વાસ્કો દ ગામાને કાલિકટ સુધી પહોંચાડનારો દરિયાખેડુ કાનજી માલમ માંડવીનો હતો. ક્રાંતિસૂર્ય શ્યામજી કૃષ્ણ વર્મા અને દરિયાઈ સાહસકથાઓના લેખક ગુણવંતરાય આચાર્યનું આ ગામ નાં રળિયામણા દરિયાકાંઠા અને ભાતીગળ કચ્છી સંસ્કૃતિને લીધે પર્યટનનું કેન્દ્ર ગણાય છે. કચ્છ લોકસભા અંતર્ગત આવતા આ મતવિસ્તારને ચૂંટણી પંચે બેઠક ક્રમાંક 2 આપ્યો છે જેમાં માંડવી અને મુન્દ્રા શહેર-તાલુકાનો સમાવેશ થાય છે. કુલ નોંધાયેલ મતદારોની સંખ્યા 2,54,077 છે. બેઠકપુરાણ માંડવી (કચ્છ)
Advertisement
Advertisement
મિજાજઃ
જ્યારે ગુજરાતમાં કોંગ્રેસની સામેના વિકલ્પો નબળા હતા એવાં સાઠ-સિત્તેરના દાયકામાં પણ અહીં અનોખો રાજકીય મિજાજ જોવા મળતો હતો. પ્રથમ ચૂંટણીમાં જ સ્વતંત્ર પક્ષના ઉમેદવારને વિજેતા બનાવનાર માંડવીમાં જનસંઘના ઉમેદવાર તરીકે દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ જમણેરી વિચારધારાનો પાયો નાંખ્યો હતો. 1975થી 1998 સુધીની દીર્ઘ રાજકીય કારકિર્દી ધરાવતાં સુરેશ મહેતાએ કુલ પાંચ વખત આ બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ત્યારથી માંડવી ભાજપનો ગઢ ગણાતું રહ્યું છે. કોંગ્રેસને અહીં 42 વર્ષમાં માત્ર બે વખત જ સફળતા મળી છે.
રેકોર્ડબુક
વર્ષ | વિજેતા | પાર્ટી | સરસાઇ |
1998 | સુરેશ મહેતા | ભાજપ | 14524 |
2002 | છબીલ પટેલ | કોંગ્રેસ | 598 |
2007 | ધનજી સેંઘાણી | ભાજપ | 4165 |
2012 | તારાચંદ છેડા | ભાજપ | 8506 |
2017 | વિરેન્દ્રસિંહ જાડેજા | ભાજપ | 9046 |
કાસ્ટ ફેબ્રિક
રસપ્રદ બાબત એ છે કે ભાજપનો ગઢ હોવા છતાં આ વિસ્તારમાં મુસ્લિમોની સંખ્યા સૌથી વિશેષ આશરે 21% જેટલી છે. 13% દલિત મતદારો પણ નિર્ણાયક છે. 8% ક્ષત્રિયો અને 5% ગઢવીઓ પણ રાજકીય રીતે એકજૂટ વોટબેન્ક ગણાય છે. અહીં ચૂંટણી જીતવા માટે જ્ઞાતિ સંતુલન જાળવવાનું આગવું મહત્વ રહેલું છે. અન્યત્ર દલિત મતદારો કોંગ્રેસની વોટબેન્ક ગણાય છે પરંતુ માંડવીમાં એવું ભાગ્યે જ નોંધાયું છે. ગત ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંનેના ઉમેદવારો ક્ષત્રિય હતા ત્યારે મુસ્લિમ મતોના આધારે જીતી જવાની કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલની ગણતરી દલિત મતદારો અને ગઢવી, પાટીદાર સમુદાયે ઊંધી વાળી હતી.
આ પણ વાંચો: #બેઠકપુરાણ નાંદોદઃ મહેલોની વિરાસત અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની વર્તમાન ભવ્યતા વચ્ચે ખદબદતો જ્ઞાતિવાદ કોને ફળશે?
સમસ્યાઓઃ
વહાણવટાની જૂની જાહોજલાલી હવે સાવ પડી ભાંગી છે પરંતુ વડાપ્રધાન મોદીએ માંડવીને જહાજી બાંધકામનો સુવર્ણયુગ પાછો લાવવાનું વચન આપેલું છે જે હજુ ય કાગળ પરથી નીચે ઉતર્યું નથી. પર્યટન ક્ષેત્રે માંડવીનો વિકાસ થયો છે પરંતુ તેની કિંમત શહેરી મતદારોએ બેફામ ટ્રાફિક અને ગંદકીના સ્વરૂપે ચૂકવવી પડે છે. માંડવી ગામના રસ્તાઓ પહોળા કરવાની માંગણી વિવિધ વિવાદો ટાળવાના હેતુથી ખોરંભે ચડતી રહે છે. સ્થાનિક સ્તરે રોજગારીની કોઈ મોટી તકો ન હોવાથી મોટાભાગના શિક્ષિત યુવાઓ અન્યત્ર સ્થળાંતર કરવા મજબૂર બને છે.
વર્તમાન ધારાસભ્યનું રિપોર્ટકાર્ડ
ગત ચૂંટણીમાં આ બેઠક પરથી જીતેલાં વિરેન્દ્રસિંહ જાડેજા દબંગ નેતા તરીકેની છબી ધરાવે છે. અગાઉ રાપર બેઠક પરથી ચૂંટણી હારી ગયા પછી તેમને આ બેઠક પરથી તક મળી હતી. પરંતુ એમાં જીતવા છતાં આ વખતે બીજી વાર તક મળે એવી સંભાવના ઓછી છે. તેમનાં સ્થાને પક્ષ પ્રતિભાશાળી મહિલા ઉમેદવારને અથવા યુવાન ચહેરાને તક આપે એવી શક્યતા વધુ જણાય છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ ભાવનગર (પશ્ચિમ): બે ટર્મથી જીત અપાવતા જીતુભાઈની હેટ્રિક સામે ક્ષત્રિયવટનો પડકાર
હરીફ કોણ છે?
કોંગ્રેસ તરફથી આ બેઠક મોટાભાગે શક્તિસિંહ ગોહિલ નક્કી કરે એ ઉમેદવારને મળે એવી ચર્ચા સ્થાનિક સ્તરે અને કોંગ્રેસમાં પ્રદેશસ્તરે સંભળાઈ રહી છે. જિજ્ઞેશ મેવાણી સમગ્ર કચ્છના દલિત મતદારોને કોંગ્રેસ તરફ વાળવાની કોશિષ કરે છે એ જોતાં આ બેઠક કોંગ્રેસ મુસ્લિમ-દલિત સમીકરણ વધુ મજબૂત બનાવે એવાં ઉમેદવારને તક આપશે.
ત્રીજું પરિબળઃ
આ બેઠક પર આમઆદમી પાર્ટીના ઉમેદવાર કૈલાસ ગઢવી બહુ જ નિર્ણાયક પરિબળ બનશે. કોંગ્રેસના પ્રવક્તા તરીકે સમગ્ર ગુજરાતમાં જાણીતા કૈલાસભાઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. કોંગ્રેસ છોડીને આપમાં જોડાયા પછી લગભગ એક વરસથી અહીં ખાસ્સી મહેનત કરી રહ્યા છે. તેઓ નિશ્ચિતપણે ગેમ ચેન્જર બનશે, પણ એ ફટકો કોને વાગશે એ કહેવું મુશ્કેલ છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ નડિયાદઃ ભાજપના ગઢમાં પાંચ ટર્મની દેસાઈગીરી કોંગ્રેસ આ વખતે તોડશે?
Advertisement