મોટા શહેરોના વિસ્તારો વિકસવાના નિયમિત ક્રમ મુજબ, એક વિસ્તાર ભરચક થાય એટલે પાડોશનો બીજો વિસ્તાર વધુ વિકાસ પામે. મણિપુર, ગોધાવી જેવા ગામો બોપલના વિકાસના પરિણામે હવે રહેણાંક વિસ્તાર તરીકે વિકસી રહ્યા છે. જ્યારે ઠક્કરબાપાનગર એંશીના દાયકાથી છૂટીછવાઈ રહેણાંક સોસાયટીઓ ધરાવતો મુખ્યત્વે પશુપાલકો, માલધારીઓનો વિસ્તાર ગણાતો હતો. બાપુનગર અને નિકોલ વિસ્તારે છેલ્લાં વીશ વર્ષમાં હરણફાળ ભરી તેનો લાભ ઠક્કરબાપાનગરને પણ મળ્યો અને હવે આ વિસ્તાર પણ રહેણાંક અને ટ્રેડિંગ બિઝનેસ માટે લોકપ્રિય બનતો જાય છે. નવા સીમાંકન પછી અસ્તિત્વમાં આવેલી આ બેઠક અગાઉ બાપુનગર, રખિયાલ બેઠકમાં સમાવિષ્ટ થતી હતી. હવે આ વિધાનસભા બેઠક અંતર્ગત મહાનગરપાલિકાના ચાર વોર્ડના કુલ 2,23,432 મતદારો નોંધાયેલાં છે. વિસ્તાર અને વસ્તી બંને દૃષ્ટિએ આ બેઠક પ્રમાણમાં નાની છે.
Advertisement
Advertisement
મિજાજઃ
આ બેઠક પર યોજાયેલી બંને ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જંગી સરસાઈથી જીત્યા હતા. બંને ચૂંટણીમાં ભાજપના ઉમેદવારે 60થી 65% મત મેળવીને હરીફ કોંગ્રેસ પર હાવી થયેલાં રહ્યા હતા. પાટીદાર અનામત આંદોલન વખતે પોલીસની કાર્યવાહી દરમિયાન મૃત્યુ પામનાર યુવાન આ વિસ્તારનો જ હતો છતાં ભાજપના ઉમેદવારે અહીં નોંધપાત્ર જીત મેળવી હતી. અહીં બિલ્ડર લોબીનું ભારે પ્રભુત્વ હોવાથી ભાજપતરફી બિલ્ડર લોબી ભાજપના ઉમેદવારને જીતાડવા પૂરી તાકાત કામે લગાડતી હોવાની છાપ પ્રચિલત છે.
રેકોર્ડબુક
વર્ષ | વિજેતા | પાર્ટી | સરસાઇ |
2012 | વલ્લભ કાકડિયા | ભાજપ | 49,251 |
2017 | વલ્લભ કાકડિયા | ભાજપ | 34,088 |
આ પણ વાંચો: #બેઠકપુરાણ નરોડાઃ ભાજપના ગઢમાં AAP કી કસમ
કાસ્ટ ફેબ્રિક
આશરે 80,000 પાટીદાર અને 60,000 દલિત તેમજ 60,000 ઓબીસી મતદારો ધરાવતા મત વિસ્તારમાં સૌરાષ્ટ્રના લેઉવા પટેલોનો દબદબો છે. અહીં ઓબીસી સમાજ પણ મુખ્યત્વે સૌરાષ્ટ્રનો છે. હીરા ઉદ્યોગ, એમ્બ્રોઈડરી અને ગૃહ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઓબીસી મતદારો ભાજપના કમિટેડ વોટર મનાય છે. બંને પક્ષ અહીં સૌરાષ્ટ્ર લેઉવા પાટીદારને જ ઉમેદવાર બનાવે એ સંજોગોમાં દલિત અને ઓબીસી સમીકરણ પણ મહત્વનું બને છે.
સમસ્યાઓઃ
જાણે કોઈ નીતિનિયમ કે ધારાધોરણ હોય જ નહિ એ રીતે અહીં આડેધડ બાંધકામો થતાં રહે છે. પાલિકાની પૂર્વમંજુરી, બીયુ પરમિશન કે પ્લાન મુજબ બાંધકામ કરવાની કોઈ દરકાર જ લેવાતી નથી તેનું સીધું પ્રમાણ એ છે કે ઈમ્પેક્ટ ફી ભરીને ગેરકાયદે બાંધકામને કાયદેસર કરાવવામાં સમગ્ર અમદાવાદમાં આ વિસ્તાર મોખરે છે. ગેરકાયદે બાંધકામોના કારણે આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા, સરકારી જમીનો કે જાહેર માર્ગો પર દબાણ અને પાણીના નિકાલની સમસ્યા મુખ્ય ગણાય છે. આ દરેક સમસ્યાઓ માટે બિલ્ડર લોબીની સરકારી ભ્રષ્ટાચાર સાથેની સાંઠગાંઠ કારણભૂત હોવાનું સૌ કોઈ જાણે છે પરંતુ મતદાન કરતી વખતે દરેક સમસ્યાઓ જાણે વરાળ થઈને ઊડી જાય છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ અમરાઈવાડીઃ કોંગ્રેસના મજબૂત ઉમેદવાર અને AAPની રેવડીથી ભાજપને ટેન્શન
વર્તમાન ધારાસભ્યનું રિપોર્ટકાર્ડ
ભાજપના ટોચના નેતા અને પૂર્વ વાહન વ્યવહાર મંત્રી વલ્લભા કાકડિયા અહીં મજબૂત જનસંપર્ક ધરાવે છે. વયના કારણે કાકડિયાને રિપિટ કરાયા નથી પરંતુ તેમનું અબાધિત વર્ચસ્વ સૌ કોઈ સ્વીકારતું હોવાથી બેઠક જીતાડવાની જવાબદારી ભાજપે તેમને જ સોંપી છે. ભાજપના ઉમેદવાર કંચનબેન રાદડિયા અ.મ્યુ.કોર્પોરેશનમાં ચૂંટાયેલાં હતાં અને હવે પાટીદાર મહિલા તરીકે ભાજપે તેમને વિધાનસભામાં પ્રમોટ કર્યા છે. આ બેઠક પર પહેલી વાર મહિલા ઉમેદવાર હોવાથી મહિલા મતદારોનું સમર્થન મેળવવા અંગેનો પક્ષનો આશાવાદ અસ્થાને નથી. જોકે કંચનબેન કાસ્ટ ફેક્ટર ઉપરાંત વલ્લભ કાકડિયાના સહયોગ પર આધારિત ગણાય છે.
હરીફ કોણ છે?
કોંગ્રેસે આ પ્રતિષ્ઠિત બેઠક પર વિજય પટેલને ઉમેદવારી આપીને જંગને રસાકસીભર્યો બનાવવાનો પ્રયાસ કર્યો છે. સૌરાષ્ટ્ર પાટીદાર સમાજ સાથે સંકળાયેલ વિજય પટેલ જોકે ગત ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઈ માંગુકિયાની માફક પ્રચાર અભિયાનમાં તામઝામ કરવાને બદલે ડોર ટૂ ડોર સંપર્ક પર વધુ મદાર રાખતાં હોવાથી મત વિસ્તારમાં કોંગ્રેસનું ખાસ હવામાન બનતું જણાતું નથી.
આ પણ વાંચો: #બેઠકપુરાણ નિકોલઃ AAP માટે વકરો એટલો નફો, પણ AAPનો વકરો એ ભાજપનું નુકસાન
ત્રીજું પરિબળઃ
આપના ઉમેદવાર તરીકે સંજય મોરી સૌરાષ્ટ્રના છે પરંતુ ઓબીસી સમુદાય પર આધારિત છે. અહીં હાડોહાડ જ્ઞાતિવાદી સમીકરણો આધારિત મતદાન થતું હોવાથી આમઆદમી પાર્ટીના ઉમેદવાર ખાસ અસર ઉપજાવી શકે તેવું જણાતું નથી.
Advertisement