રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝ, ઈંગરસોલ રેન્ડ, લ્યુબી પમ્પ્સ, દિશમાન ફાર્મા, પેપ્સિકો, અરવિંદ મિલ્સ, ઉમિયા મિલ્સ, નિર્માણ ટેક્સ્ટાઈલ્સ જેવી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની કંપનીઓના સરનામામાં જે કોમન છે એ નરોડા છે. અમરાઈવાડી અને વટવા સ્મોલ અને મિડલ સ્કેલ ઈન્ડસ્ટ્રિઝના હબ ગણાય છે તો નરોડા લાર્જ સ્કેલ મેન્યુફેક્ચરર કંપનીઓનો વિસ્તાર છે. 1960માં ગુજરાતના વિભાજન પછી રાજ્યની ઔદ્યોગિક નીતિનું ઘડતર થયું ત્યારે મુંબઈ હાઈ-વે પર આવેલ વડોદરાથી અંકલેશ્વર સુધીના બેલ્ટને કેમિકલ ઈન્ડસ્ટ્રિઝના ડેવલપમેન્ટ માટે યોગ્ય ગણવામાં આવ્યો. એ જ રીતે દિલ્હી હાઈ-વે પર આવેલ નરોડા વિસ્તારને એન્જિનિયરિંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વિકસાવવામાં આવ્યો. કાલુપુર રેલવે સ્ટેશન, ઈન્ટરનેશનલ એરપોર્ટથી નજીક અને હાઈ-વે મારફત દિલ્હી અને મુંબઈ બંને સાથે કનેક્ટિવિટી ધરાવતો આ વિસ્તાર નવી સદીમાં રહેણાંક વિસ્તાર તરીકે પણ ઝડપભેર વિકસી ચૂક્યો છે. દેશના વિભાજન વખતે પાકિસ્તાનથી આવેલાં સિંધી સમુદાયને નરોડા અને સરદારનગર વિસ્તારમાં જગ્યા ફાળવવામાં આવી ત્યારથી આ વિસ્તાર સિંધી સમાજના કેન્દ્ર તરીકે જાણીતો છે. નરોડા વિધાનસભા મતવિસ્તાર અંતર્ગત મહાનગરપાલિકાના ત્રણ વોર્ડ અને આસપાસના કેટલાંક ગામોના કુલ 2,64,314 મતદારો નોંધાયેલાં છે.
Advertisement
Advertisement
મિજાજઃ
વિભાજનની ભયાવહતાનો પ્રત્યક્ષ અનુભવ કરી ચૂકેલાં સિંધી સમુદાયની આ વિસ્તારમાં બહુમતી હોવાથી અહીં ભાજપનો કાયમી દબદબો રહ્યો છે. ભાજપના પાયાના નેતા લાલકૃષ્ણ અડવાણી પોતાને ‘નરોડા કે લાલ’ ગણાવતા હતા. અહીં ભાજપના ઉમેદવારો અહીં જંગી સરસાઈથી જીતતા આવ્યા છે. 2007માં ડો. માયાબહેન કોડનાનીએ 1,80,000 મતની ગંજાવર સરસાઈ મેળવીને રેકોર્ડ સર્જ્યો હતો જે ગુજરાત વિધાનસભાનો ઓલટાઈમ હાઈએસ્ટ માર્જિન ગણાય છે.
રેકોર્ડબુક
વર્ષ | વિજેતા | પાર્ટી | સરસાઇ |
1998 | માયાબહેન કોડનાની | ભાજપ | 74,854 |
2002 | માયાબહેન કોડનાની | ભાજપ | 1,11,095 |
2007 | માયાબહેન કોડનાની | ભાજપ | 1,80,442 |
2012 | નિર્મલાબહેન વાધવાણી | ભાજપ | 58,352 |
2017 | બલરામ થવાણી | ભાજપ | 60,142 |
આ પણ વાંચો: #બેઠકપુરાણ અમરાઈવાડીઃ કોંગ્રેસના મજબૂત ઉમેદવાર અને AAPની રેવડીથી ભાજપને ટેન્શન
કાસ્ટ ફેબ્રિક
આશરે 40,000 સિંધીઓ અહીં નિર્ણાયક ગણાય છે. ભાજપની કમિટેડ વોટબેન્ક હોવાથી અહીં હરહંમેશ સિંધી ઉમેદવારને જ ભાજપે પ્રાધાન્ય આપ્યું છે. પછીના ક્રમે 25,000 જેટલાં પાટીદાર, 30,000 દલિત અને 32,000 જેટલાં પરપ્રાંતિયો પણ અહીં નિર્ણાયક ગણાય છે. કોંગ્રેસે કેટલીક વાર ભાજપની સિંધી વોટબેન્ક સામે પાટીદાર, દલિત અને પરપ્રાંતિય સમીકરણ બનાવવાના પ્રયાસો કર્યા છે પરંતુ તેને મતદારોએ જાકારો આપ્યો છે. મુસ્લિમ સમુદાયનું પ્રમાણ અહીં નહિવત્ત છે.
સમસ્યાઓઃ
પોશ વિસ્તાર તરીકે મણિનગર સાથે હરીફાઈમાં હોવા છતાં નરોડા વિસ્તારમાં માળખાગત સુવિધાઓના પ્રશ્નો યથાવત છે. ચોમાસામાં રસ્તાઓ, સોસાયટીઓ જળબંબાકાર થઈ જાય એ કાયમી સમસ્યા છે. રખડતાં ઢોરના મુદ્દે હાઈકોર્ટે દરમિયાનગીરી કરવી પડે છતાં નિરાકરણ આવતું નથી. હાઈવેથી અંદરની સોસાયટીઓના બિસ્માર રસ્તાઓની ફરિયાદ પણ કાયમી છે. માયાબહેન કોડનાની પછી ચૂંટાયેલાં દરેક જનપ્રતિનિધિ નિયમિત જનસંપર્ક જાળવવામાં ઉદાસિન હોવાની સ્થાનિકોની ફરિયાદ છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ નિકોલઃ AAP માટે વકરો એટલો નફો, પણ AAPનો વકરો એ ભાજપનું નુકસાન
વર્તમાન ધારાસભ્યનું રિપોર્ટકાર્ડ
ભાજપના ધારાસભ્ય બલરામ થાવરાણી તેમના તોરીલા મિજાજ અને ઉધ્ધત વર્તનના કારણે સમગ્ર કાર્યકાળ દરમિયાન સતત વિવાદાસ્પદ રહ્યા હોવાથી તેમની ટીકિટ કપાવાનું નિશ્ચિત મનાતું હતું. તેમના સ્થાને ભાજપે ડો.પાયલ કુકરાણીની પસંદગી કરી છે. યુવાન તબીબ મહિલા તરીકે પાયલબહેન અહીં થાવરાણી સામેની નારાજગી આસાનીથી ધોઈ નાંખશે એવી અપેક્ષા ખોટી નથી. મ્યુનિ. કોર્પોરેટરના દીકરી હોવાથી પાયલબહેનને રાજકીય ગોઠવણો અને બૂથ મેનેજમેન્ટમાં ખાસ મુશ્કેલી પડે તેમ નથી.
હરીફ કોણ છે?
કોંગ્રેસે આ બેઠક ગઠબંધનના સાથી પક્ષ એનસીપીને ફાળવી છે. એનસીપીએ પ્રથમ નિકુલસિંહ તોમરને ટીકિટ આપી હતી પરંતુ ચૂંટણી લડવી માટે મ્યુનિ. કોર્પોરેટર તરીકે રાજીનામું આપવું પડે એ મંજૂર ન હોવાથી તોમરે ઉમેદવારીનો ઈનકાર કર્યો. એ પછી એનસીપીએ અહીં મેઘરાજ ડોડવાણીને મેદાનમાં ઉતાર્યા છે. ઉમેદવારોની આ ફેરબદલ જ એનસીપીનો આ બેઠક જીતવાનો આત્મવિશ્વાસ કેટલો નબળો હોવાનું દર્શાવે છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ બાપુનગર: કોંગ્રેસે દર્શાવેલ ‘હિંમત’ પછી હવે પાટીદારોનો ઝુકાવ નિર્ણાયક
ત્રીજું પરિબળઃ
એનસીપીના નબળા ઉમેદવાર સામે ભાજપની ખરી લડાઈ આમઆદમી પાર્ટીના ઓમપ્રકાશ તિવારી સાથે છે. તિવારી આ વિસ્તારના જૂના ખેલાડી છે. ગત ચૂંટણીમાં તેઓ કોંગ્રેસના ઉમેદવાર તરીકે પચાસ હજારથી વધુ મત મેળવી શક્યા હતા. ધારાસભ્ય બનીને જ જંપીશ એવાં જાહેર સોગંદ ખાઈ ચૂકેલા તિવારી અહીં પરપ્રાંતિયોમાં સારી છાપ ધરાવે છે. મતવિસ્તારમાં આપની હવા પણ નોંધપાત્ર છે અને તિવારીના જનસંપર્ક પણ વ્યાપક છે. એટલે પોતાની કસમ પૂરી કરવા માટે તિવારી ગત ચૂંટણી કરતાં પણ વધુ મક્કમ હરીફાઈ આપે એવી શક્યતા છે.
Advertisement