મૂળ સુરત એ જો સોનાની મૂરત હોય તો છેલ્લાં ચાલીશ વર્ષમાં વિકસેલા વિસ્તારો પૈકી કતારગામને હીરાની મૂરત ગણવો પડે. આશરે ત્રણસો વર્ષ પહેલાં હીરાના વેપાર માટે બગદાદથી અહીં આવેલાં યહુદી વેપારી જોસેફ સિમાને બાર વર્ષ સુધી પોતાનો કરીને રાખનારૂં કતારગામ આજે પણ જોસેફ સિમાએ બાંધેલ યહુદી દેવળની નિશાની સાચવીને બેઠું છે. રોટલો અને ઓટલો આપવાની પરંપરા નિભાવતા સુરતના કતારગામમાં આશરે ચારસોથી વધુ હીરાના કારખાનાં ધમધમે છે. ઉચ્ચ મધ્યમવર્ગના હીરા વ્યવસાયીઓના રહેણાંક વિસ્તાર તરીકેની તેની સાખ છે. નવા સીમાંકન પછી અસ્તિત્વમાં આવેલી આ બેઠક અંતર્ગત સુરત તાલુકાના ગામો ઉપરાંત મહાનગરપાલિકાના પાંચ વોર્ડ પણ સમાવિષ્ટ છે. કુલ 2,77,541 મતદારો અહીં નોંધાયેલાં છે.
Advertisement
Advertisement
મિજાજઃ
આ બેઠક પર સૌરાષ્ટ્રના પાટીદારો અને પ્રજાપતિ સમુદાયનો સંખ્યાત્મક પ્રભાવ છે અને એ મોટાભાગે ભાજપનો ચુસ્ત સમર્થક રહ્યો છે. કોંગ્રેસને અહીં સ્થાનિક સ્તરે નોંધપાત્ર સંગઠન કે નેતૃત્વનો અભાવ નડે છે. વેપારી વિસ્તાર હોવાથી શાસકપક્ષને અનુકૂળ વલણ અહીં વિશેષ જોવા મળે છે. મધ્યમવર્ગીય વિસ્તાર વરાછાની માફક અહીં આક્રમક બળવાખોરી ઓછી અનુભવાય છે. ગત ચૂંટણીમાં પાટીદાર આંદોલન વખતે પણ કતારગામે ભાજપ તરફની વફાદારી જાળવી રાખી હતી. જોકે પાલિકાની ચૂંટણીમાં અહીં આમઆદમી પાર્ટીએ પગપેસારો કર્યો એ પછી હવે ભાજપને અહીં ફફડાટ ઊભો થયો છે.
રેકોર્ડબુક
વર્ષ | વિજેતા | પાર્ટી | સરસાઇ |
2012 | નાનુભાઈ વાનાણી | ભાજપ | 43,272 |
2017 | વિનોદ મોરડિયા | ભાજપ | 79,230 |
કાસ્ટ ફેબ્રિક
આશરે 85,000 પાટીદાર અહીં સૌથી પ્રભાવશાળી મનાય છે જે પૈકી મોટાભાગના અમરેલી, ભાવનગર જિલ્લા સાથે સંકળાયેલાં છે. એ ઉપરાંત બોટાદ, ગઢડા પંથકના વરિયા પ્રજાપતિ સમુદાયની સંખ્યા પણ 70,000 જેટલી છે અને એ પણ એટલું જ મહત્વનું પરિબળ ગણાય છે. આશરે 35,000 જેટલાં પરપ્રાંતિયો છે પરંતુ તેમનું મતદાન મોટાભાગે કારખાના માલિકોના પ્રભાવ મુજબ થતું હોય છે. એ સિવાય 20,000 કોળીપટેલ અને 15,000 મૂળ સુરતીઓ છે. જોકે મુખ્ય જંગ પાટીદાર અને પ્રજાપતિ સમુદાયના ઉમેદવારો વચ્ચે હોય છે. બંને સમાજનો બહુ મોટો વર્ગ ભાજપનો સમર્થક મનાય છે.
આ પણ વાંચો: બેઠકપુરાણ ઉધના: ઉમેદવાર બદલીને ભાજપે મિજાજ બદલી નાંખ્યો છે
સમસ્યાઓઃ
શહેરી વિસ્તાર હોવાથી અહીં ટ્રાફિકની સમસ્યા સવિશેષ છે. ફ્લાયઓવર સિટી હોવા છતાં આંતરિક વિસ્તારોમાં ટ્રાફિક જામ નીવારી શકાતો નથી. પીવાલાયક પાણીની સમસ્યા પણ બોલકી છે. સતત અહીં બહારથી લોકો આવી રહ્યાં હોવાથી ભાગોળ વિસ્તાર વિકસાવવા માટે યોગ્ય યોજના ઘડવાની તીવ્ર આવશ્યકતા છે.
વર્તમાન ધારાસભ્યનું રિપોર્ટકાર્ડ
ભાજપના વર્તમાન ધારાસભ્ય વિનુ મોરડિયા ઉર્ફે વિનુ નિંગાળાને ભાજપે ફરીથી ટીકિટ આપી છે. હીરા વ્યવસાય સાથે સંકળાયેલા વિનુ મોરડિયા સૌરાષ્ટ્રના લેઉવા પાટીદાર છે. દબંગ છબી ધરાવવા ઉપરાંત શહેરી વિકાસ જેવા મહત્વના મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી રહી ચૂક્યા છે. આથી બિલ્ડર લોબીમાં પણ તેમની વગ ઘનિષ્ઠ હોવાનું કહેવાય છે. જોકે મોરડિયાને આ બેઠક પર આંતરવિરોધ પણ નડી શકે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.
આ પણ વાંચો: #બેઠકપુરાણ વરાછા (સુરત શહેર): 14 મહિનાના જેલવાસનો ભાજપને 5 વરસ માટે ફટકો પડશે?
હરીફ કોણ છે?
કોંગ્રેસે અહીં પ્રજાપતિ સમાજના કલ્પેશ વરિયાને મેદાનમાં ઉતાર્યા છે. હીરા અને બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલ હોવા ઉપરાંત પ્રજાપતિ સમાજમાં પણ સારી છબી ધરાવે છે. પોતાના સમાજના મત અકબંધ રાખીને પરપ્રાંતિય, કોળીપટેલ સમુદાયના મતો મેળવવા એ તેમના માટે બહુ મોટો પડકાર બનવાનો છે. સ્થાનિક સંગઠનના અભાવમાં તેમણે પોતાના બળ પર બૂથ મેનેજમેન્ટ કરવું પડશે એ બાબત પણ અડચણરૂપ ગણાય છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ કરંજ (સુરત શહેર): ભરશિયાળે ભાજપને પરસેવો તો વળશે જ
ત્રીજું પરિબળઃ
આમઆદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ અહીંથી ઉમેદવારી નોંધાવીને આ બેઠકને ફાઈવસ્ટાર બનાવી દીધી છે. હવે સમગ્ર રાજ્ય અને દેશની આ બેઠક પર નજર રહેશે. આક્રમક સ્વભાવના ઈટાલિયા અહીં મહાનગરપાલિકાની ચૂંટણીના સમયથી સક્રિય રહે છે. પ્રત્યેક સોસાયટીઓમાં તેમનાં સંપર્ક છે. પાટીદાર સમુદાયના ભાજપતરફી મતોમાં મોટી ફાચર મારવા ઉપરાંત તેમણે અન્ય સમુદાયના મત મેળવવાનો પડકાર ઝીલવો પડશે. એકંદરે આ બેઠક પર બહુ મજબૂત જંગ જામશે એ નિશ્ચિત છે.
Advertisement