અમદાવાદ-મુંબઈ ધોરી માર્ગ પર આવેલ કામરેજના વિકાસને સૌરાષ્ટ્રવાસીઓના સુરત પ્રયાણ સાથે સીધો સંબંધ છે. એંશીના દાયકાના આરંભે વતનથી વિખૂટા પડીને રોજગારની આશાએ સુરત આવતાં સૌરાષ્ટ્રવાસીઓ માટે ગેટ વે ઓફ સુરત ગણાતું કામરેજ પગ મૂકવાનો, શ્વાસ લેવાનો અને રોજગાર શોધવાનો પહેલો વિસામો ગણાતું હતું. ગુજરાતના વિભાજન વખતે મૂળભૂત રીતે હળપતિ આદિવાસી સમાજ, મુસ્લિમો અને છૂટાછવાયા પરપ્રાંતિયોનો વિસ્તાર ગણાતું કામરેજ હવે સૌરાષ્ટ્રના વતની પાટીદારોનો ગઢ ગણાય છે. કુલ 5,46,360 જેટલી ગંજાવર મતદાર સંખ્યા ધરાવતી આ બેઠક જનરલ કેટેગરીમાં સમાવિષ્ટ છે જેમાં કામરેજ તાલુકા ઉપરાંત ચોર્યાસી તાલુકાના છ ગામોનો સમાવેશ થાય છે.
Advertisement
Advertisement
મિજાજઃ
સૌરાષ્ટ્રવાસીઓ અહીં સ્થાયી થઈને રાજકીય જાગૃતિ કેળવતાં થયાં ત્યાં સુધી આ બેઠકનો કોઈ સ્થાયી મિજાજ ન હતો પરંતુ છેલ્લાં બે દાયકાથી પાટીદારોના અડીખમ સમર્થનને લીધે ભાજપનો ગઢ ગણાય છે. કિંગમેકર પાટીદારો છેલ્લી બે ચૂંટણીથી અહીં પોતાના જ ઉમેદવારનો આગ્રહ રાખતાં થયાં હોવાથી દરેક રાજકીય પક્ષોએ સૌરાષ્ટ્રવાસી લેઉવા પટેલને જ ટીકિટ આપવી પડે છે. સંખ્યાત્મક ઉપરાંત આર્થિક, સામાજિક દરેક સ્તરે પાટીદારોનો પ્રભાવ અન્ય સમુદાયોનો રાજકીય ઝુકાવ ઘડવામાં નિર્ણાયક બને છે. જોકે વરાછા રોડની માફક આ બેઠક પણ તેનાં જાગૃત મતદારોના કારણે ચૂંટાતાં પ્રતિનિધિઓને ખડે પગે રાખી શકે છે.
રેકોર્ડબુક
વર્ષ | વિજેતા | પાર્ટી | સરસાઇ |
1998 | રમણભાઈ રાઠોડ | કોંગ્રેસ | 2,087 |
2002 | પ્રવિણભાઈ રાઠોડ | ભાજપ | 3,892 |
2007 | ભારતીબહેન રાઠોડ | ભાજપ | 12,676 |
2012 | પ્રફુલ પાનશેરિયા | ભાજપ | 61,371 |
2017 | વી.ડી.ઝાલાવડિયા | ભાજપ | 28,191 |
કાસ્ટ ફેબ્રિક
આશરે સવા ત્રણ લાખ જેટલાં પાટીદારો અહીં સૌથી વધુ પ્રભાવક છે. એ સિવાય 50,000 જેટલાં સ્થાનિક મૂળનિવાસી હળપતિ સમુદાય, 55,000 ઓબીસી અને 70 હજાર જેટલાં સુરતીઓ અહીં નિર્ણાયક ગણાય છે. ભાજપ, કોંગ્રેસ ઉપરાંત નવોદિત આમઆદમી પાર્ટી પણ અહીં પાટીદાર ઉમેદવાર અને પાટીદાર મતદાર પર જ નિર્ભર છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ લિંબાયત (સુરત શહેર): AAP, AIMIM નક્કી કરશે ભાજપ, કોંગ્રેસનું ભાવિ
સમસ્યાઓઃ
સુરત શહેરમાં ફ્લાયઓવર વડે ટ્રાફિકનું નિરાકરણ લાવવાનો દાવો કરાય છે પરંતુ એવો લાભ અનેક માગણીઓ છતાં કામરેજને મળ્યો નથી. પરિણામે અહીં દરેક ચાર રસ્તાઓ પર પીક અવર્સમાં ટ્રાફિક જામની સમસ્યા સૌથી વધુ કનડે છે. ગામડાંઓમાં આરોગ્ય સેવા ખાડે ગયેલી છે. પીવાલાયક ચોખ્ખા પાણીના પ્રશ્નો પણ બહુ બોલકા છે. કામરેજની સરખામણીએ સુરતના લિંબાયત જેવા વિસ્તારોને વધુ લાભ મળતો હોવાનો કચવાટ પણ વ્યાપક છે.
વર્તમાન ધારાસભ્યનું રિપોર્ટકાર્ડ
ભાજપના વી.ડી. ઝાલાવડિયા રેતી ખનનના વિવાદમાં સપડાયા હોવા ઉપરાંત સ્થાનિક મતદારો સાથે સંઘર્ષમાં ઉતરીને અળખામણા બન્યા હોવાથી ભાજપે તેમની ટીકિટ કાપી છે અને 2012ની ચૂંટણીમાં જંગી માર્જિનથી જીતેલા પ્રફુલ પાનશેરિયાને મેદાનમાં ઉતાર્યા છે. જોકે પાનશેરિયાની ઉમેદવારી જાહેર થઈ એ સાથે જ તેમની સામે વિરોધ તીવ્ર બનવા લાગ્યો છે. ખાસ કરીને પાટીદાર આંદોલન વખતની તેમની ભૂમિકા સામે સ્થાનિકોમાં નારાજગી તેમને નડી શકે છે. એ સિવાય સ્વચ્છ છબી અને મજબૂત જનસંપર્ક પાનશેરિયાના જમા પાસા ગણવા પડશે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ મજુરા (સુરત શહેર): હર્ષ સંઘવીની સોનાની સુરતમાં લોઢાની મેંખ મારવી હજુ મુશ્કેલ
હરીફ કોણ છે?
કોંગ્રેસે આ બેઠક પર નામાંકિત બિલ્ડર નિલેશ કુંભાણીને મેદાનમાં ઉતાર્યા છે. ગત ચૂંટણીમાં જો કુંભાણી હોત તો ભાજપને પડકાર આપી શક્યા હોત એવી વ્યાપક છબીને લીધે કોંગ્રેસે આ વખતે ભૂલ સુધારી જણાય છે. કોંગ્રેસના સ્થાનિક સંગઠન ઉપરાંત પોતાની સામાજિક સંસ્થાઓનું સારું એવું નેટવર્ક ધરાવતા હોવાથી કુંભાણી ભાજપને પડકાર આપવા સક્ષમ મનાય છે.
ત્રીજું પરિબળઃ
સૌથી મહત્વનું પરિબળ અહીં આમઆદમી પાર્ટીના ઉમેદવાર રામ ધડુકને ગણવા પડશે. ગત ચૂંટણીમાં પણ અહીંથી આપના ઉમેદવાર રહી ચૂકેલા રામ ધડુક સુરતમાં આપના પાયાના પથ્થર ગણાય છે. સળંગ સાત વર્ષથી તેઓ ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે. આપની સૌથી પહેલી ઉમેદવાર યાદીમાં તેમનું નામ જાહેર થયું ત્યારથી તેમણે જનસંપર્ક આદરી દીધો છે. પાટીદાર આંદોલન વખતની સક્રિયતા, કોરોનાકાળમાં તેમની લોકોપયોગી સેવા અને પાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત કરાવીને આપના નવા નિશાળિયાઓને જીતાડવાની આવડત તેમનો બહુ મોટો પ્લસ પોઈન્ટ ગણાય છે. રામ જો પાટીદાર સમાજ ઉપરાંત અન્ય સમુદાયના મત મેળવી જશે તો ભાજપના ગઢમાં ફાચર મારે એવી પૂરી શક્યતા છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ ઓલપાડ: જંગી સરસાઈના કેસરિયા ખ્વાબ સામે હવે બેઠક જાળવવાનો પડકાર
Advertisement