બ્રિટિશ કાળમાં 9 તોપની સલામીનો દરજ્જો ધરાવતું સંતરામપુરનું રજવાડું આમ તો ઝાલોદનું કુટુંબી રાજ્ય કહેવાય. ધાર (મધ્યપ્રદેશ)ના રાજવી જાલમસિંહે ભીલ રાજ્ય પર આક્રમણ કરીને તેને ઝાલોદ બનાવ્યું. તેમાંથી છૂટા પડેલાં સંત અને લીમદેવ નામના રાજકુમારોએ સંતરામપુરની સ્થાપના કરી. બ્રિટિશ શાસન દરમિયાન સંતરામપુર નજીક માનગઢ હિલ પર આદિવાસીઓનો સામુહિક હત્યાકાંડ થયો હતો એ જગ્યા આજે અહીં શ્રદ્ધાકેન્દ્ર ગણાય છે. મધ્ય-પૂર્વ ગુજરાતના મહિસાગર જિલ્લામાં આવેલ બેઠક ક્રમાંક 123 ધરાવતી સંતરામપુર વિધાનસભા બેઠક અંતર્ગત સંતરામપુર શહેર સહિત તાલુકાના 109 ગામો તેમજ કડાણા તાલુકાનો સમાવેશ થાય છે. દાહોદ લોકસભા બેઠક અંતર્ગત આવતી આ બેઠકમાં કુલ 2,31,788 મતદારો નોંધાયેલાં છે.
Advertisement
Advertisement
મિજાજઃ
ગુજરાત રાજ્યની રચના પછીની સૌ પ્રથમ ચૂંટણીને બાદ કરતાં 2007 સુધી આ બેઠક જનરલ કેટેગરીમાં હતી. નવા સીમાંકન બાદ તેને અનુસુચિત જનજાતિ માટે અનામત કરવામાં આવી છે. મોટાભાગે કોંગ્રેસના ઉમેદવારો અહીંથી જીતતા રહ્યા છે. આ બેઠકની રસપ્રદ વિશેષતા એ છે કે અહીંથી બબ્બે વખત શિક્ષણમંત્રી મળ્યાં છે. ત્રણ વખત આ બેઠક પરથી જીતેલાં દિગ્ગજ નેતા પ્રબોધકાંત પંડ્યા ચીમનભાઈ પટેલની સરકારમાં શિક્ષણ મંત્રી હતા અને હાલના ધારાસભ્ય ડો. કુબેર ડિંડોર વર્તમાન સરકારમાં રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી છે.
રેકોર્ડબુક
વર્ષ | વિજેતા | પાર્ટી | સરસાઇ |
1998 | ડો. માનસિંહ ભમાત | કોંગ્રેસ | 10,971 |
2002 | પ્રબોધકાંત પંડ્યા | ભાજપ | 33,030 |
2007 | પરંજયાદિત્યસિંહજી | કોંગ્રેસ | 8,807 |
2012 | ગેંડલભાઈ ડામોર | કોંગ્રેસ | 25,654 |
2017 | કુબેરભાઈ ડીંડોર | ભાજપ | 6,424 |
કાસ્ટ ફેબ્રિક
70% જેટલી આદિવાસી સમુદાયની વસ્તી ધરાવતા આ વિસ્તારમાં ડામોર, ડિંડોર, ભમાત, ભાભોર એવી પેટાજાતિઓનું વર્ચસ્વ છે. આ સિવાય અહીં કોળી, માછી અને દલિત સમુદાય પણ ઠીકઠાક છે. સવર્ણોમાં ક્ષત્રિયો અને બ્રાહ્મણોની વસ્તી નોંધપાત્ર છે પરંતુ તેમનું રાજકીય વજુદ પાલિકા, પંચાયતોની ચૂંટણી પૂરતું મર્યાદિત રહે છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ મહેમદાવાદઃ વિખ્યાત ભમ્મરિયા કૂવામાં ડૂબેલી કોંગ્રેસ આ વખતે બહાર નીકળી શકશે?
સમસ્યાઓઃ
આ બેઠકના બબ્બે ધારાસભ્યો શિક્ષણ મંત્રી બન્યાં હોવા છતાં અહીં સરકારી કોલેજ નથી એ મોટી વિડંબણા છે. એ ઉપરાંત એન્જનિયરિંગ કે મેડિકલ કોલેજનો પણ અભાવ છે. ઉચ્ચ શિક્ષણ અને રોજગારી મેળવવી હોય તો વડોદરા કે અમદાવાદ જવું પડે એ સ્થાનિક યુવાઓની મજબૂરી છે. સ્થાનિક સ્તરે મોટા ઉદ્યોગો નથી. નજીકમાં ગુજરાતનો બીજા નંબરનો સૌથી મોટો કડાણા ડેમ હોવા છતાં અહીં સિંચાઈની સમસ્યા છે.
વર્તમાન ધારાસભ્યનું રિપોર્ટકાર્ડ
કુબેરભાઈ ડિંડોર તલોદની કોલેજમાં પ્રાધ્યાપક છે. પીએચડી સુધીનું શિક્ષણ ધરાવે છે. સહ્રદયી અને મિલનસાર છબી ધરાવતા કુબેરભાઈને ભાજપે કોંગ્રેસની આ બેઠક પર કાયમી કબજો જમાવવા તમામ છૂટો દોર આપેલો છે. એ મુજબ કુબેરભાઈ સ્થાનિક તાલુકા પંચાયત અને પાલિકા કબજે કરવામાં સફળ પણ રહ્યા છે. સંતરામપુર ગામમાં તેમનું વર્ચસ્વ છે પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં એવું કહી શકાય તેમ નથી. ઉપરાંત ડામોર પેટાજાતિ વિપરિત મતદાન કરવા ટેવાયેલી છે એમને હજુ તેઓ મનાવી શક્યા નથી. છતાં ભાજપમાંથી તેમની દાવેદારી નિશ્ચિત મનાય છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ છોટાઉદેપુરઃ કોંગ્રેસી વેવાઈઓના ઝગડામાં ગઢ તોડવા ભાજપ આશાવાદી
હરીફ કોણ છે?
અહીં કોંગ્રેસમાંથી ગત ચૂંટણીમાં સ્થાનિક સંગઠનને નારાજ કરીને ગેંડાલભાઈને ટીકિટ આપી હતી જેને લીધે કોંગ્રેસનો સાંકડા માર્જિનથી પરાજય થયો હતો. આ વખતે પણ ગેંડાલભાઈ દાવેદારી કરી રહ્યા છે. એ ઉપરાંત ધીરજભાઈ ડામોર, કોકિલાબહેન ડામોર અને ડો. યોગેશ પગી પણ મુખ્ય દાવેદાર ગણી શકાય. કોંગ્રેસ આ વખતે આદિવાસીઓની પેટાજાતિના સમીકરણો સંતુલિત કરી શકે તો તેનાં માટે ગુમાવેલી બેઠક ફરીથી અંકે કરવાની તક છે.
ત્રીજું પરિબળઃ
આમઆદમી પાર્ટીએ અહીં સારો એવો પગપેસારો કરી લીધો છે. વડોદરા ખાતે યોજાતી અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાની રેલીઓમાં આ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકોને લઈ જવામાં સંગઠનને સફળતા મળી હતી. આપના દાવેદારોમાં ડો.કલ્પેશ સંગાડા અને શિવાની ભાભોરના નામ મુખ્ય ગણાય છે. અલબત્ત, આમઆદમી પાર્ટીના ઉમેદવાર મુખ્યત્વે કોંગ્રેસને નડે એવી શક્યતા પણ સ્થાનિક સ્તરે ચર્ચાય છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ નાંદોદઃ મહેલોની વિરાસત અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની વર્તમાન ભવ્યતા વચ્ચે ખદબદતો જ્ઞાતિવાદ કોને ફળશે?
Advertisement