ભારત સરકાર દ્વારા આગામી અઠવાડિયે એક ખાસ ટ્રેકિંગ સિસ્ટમની શરુઆત કરાશે. આ સિસ્ટમ દ્વારા દેશભરના લોકો પોતાના ખોવાયેલા અથવા ચોરાયેલા મોબાઈલને બ્લોક કરી શકશે અથવા તો તેને ટ્રેક કરી શકશે.
ટેકનોલોજી ડેવલપમેન્ટ બોડી સેન્ટર ફોર ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિમેટ્રિક્સ (C-dot) દિલ્હી, મહારાષ્ટ્ર, કર્ણાટક અને પૂર્વોત્તર ક્ષેત્ર સહિત કેટલાક ટેલિકોમ સર્કલ્સમાં સેન્ટ્રલ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિટી રજિસ્ટર (CEIR) સિસ્ટમને પાયલોટ પ્રોજેક્ટના ભાગરુપ ચલાવી રહ્યું છે.
ટેલિકોમ વિભાગના અધિકારીએ કહ્યું કે, હવે સિસ્ટમને સમગ્ર ભારતમાં ચાલુ કરી દેવાય તેમ શક્ય બન્યું છે. CEIR સિસ્ટમને 17 મેના રોજ સમગ્ર ભારતમાં શરુ કરી દેવાશે.
નવી જે ટ્રેકિંગ અને બ્લોકિંગ સિસ્ટમ અમલી બનશે તે અંગે સીડોટના મુખ્ય કાર્યપાલક અધિકારીએ કોઈ જવાબ આપ્યો ન હતો પરંતુ હવે તેને આ ત્રિમાસિક ગાળા દરમિયાન જ સમગ્ર ભારતમાં શરુ કરી દેવાશે. આ સિસ્ટમને પગલે લોકો તેમના ખોવાયેલા કે ચોરાયેલા ફોનને ટ્રેક કરી શકશે અને બ્લોક પણ કરી શકશે.
સરકારે ભારતમાં મોબાઈલ વિક્રેતાઓને વેચાણ પહેલા ઈન્ટરનેશનલ મોબાઈલ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિટી (IMEI)ની સ્પષ્ટતા કરવી ફરજિયાત કરી દીધું છે. મોબાઈલ નેટવર્ક પાસે મંજૂર IMEI નંબરોની યાદી હશે જેના મારફત તે પોતાના નેટવર્કમાં અનધિકૃત મોબાઈલ ફોનના પ્રવેશની જાણકારી મેળવી લેશે.
Advertisement