ત્રિપુરામાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી બાદ થયેલી હિંસાની તપાસ કરવા ગયેલી સંસદીય ટીમ પર શુક્રવારે સિપાહીજાલા જિલ્લામાં હુમલો થયો હતો. તે દરમિયાન કેટલાંક લોકોએ કથિત રૂપે ‘જય શ્રી રામ’ના નારા લગાવતાં કાફલાની કેટલીક ગાડીઓની તોડફોડ કરી હતી. જોકે, આ હુમલામાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી.
Advertisement
Advertisement
ઉલ્લેખનીય છે કે સંસદીય દળમાં કોંગ્રેસ અને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી)ના સાંસદો સામેલ હતા.
કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધ્યું
કોંગ્રેસ મહામંત્રી જયરામ રમેશે સંસદીય ટીમ પર થયેલા હુમલાને લઈને ભાજપ પર નિશાન સાધ્યું છે.
તેમણે આ ઘટનાનો વીડિયો શેર કરતાં ટ્વીટ કર્યું, ‘ત્રિપુરાના વિશાલગઢ અને મોહનપુરમાં ભાજપાએ કોંગ્રેસ નેતાઓના પ્રતિનિધિમંડળ પર હુમલો કર્યો. પ્રતિનિધિમંડળની સાથે ગયેલી પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી.’
તેમણે આગળ લખ્યું, ‘ભાજપા ત્યાં એક વિજયરેલી કરી રહી છે. આ પાર્ટી પ્રાયોજીત હિંસાની જીત છે.’
સંસદીય ટીમે તેનો કાર્યક્રમ અટકાવ્યો
CPI(M)ના ત્રિપુરા એકમના સેક્રેટરી અને પૂર્વ મંત્રી જિતેન્દ્ર ચૌધરીએ કહ્યું કે વિશાલગઢના નેહલચંદ્ર નગરમાં હુમલાને કારણે સંસદીય ટીમે તેના બાકીના બહારના પૂર્વનિર્ધારિત કાર્યક્રમોને સ્થગિત કરવાની ફરજ પડી છે.
ઉલ્લેખનીય છે કે ટીમમાં લોકસભાના 4 અને રાજ્યસભાના ત્રણ સાંસદોનો સમાવેશ થાય છે. તેઓ પશ્ચિમ ત્રિપુરા, સિપાહીજાલા અને ગોમતી જિલ્લામાં હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે ગયા છે.
ઘટનામાં 3 લોકોની ધરપકડ
પોલીસે જણાવ્યું કે સાંસદો સ્થાનિક ધારાસભ્યો અને નેતાઓની સાથે વિશાલગઢના નેહલચંદ્ર નગરમાં એક અનિર્ધારિત મુલાકાતે ગયા હતા. જ્યાં તેમની વિરુદ્ધ સૂત્રોચ્ચાર થયો હતો. એક પોલીસ અધિકારીએ કહ્યું કે પોલીસ ટીમે તરત જ પ્રતિક્રિયા આપતાં પ્રતિનિધિમંડળને સહીસલામત બચાવી લીધું હતું અને કોઈને પણ ઈજાના અહેવાલ નથી. 2-3 ગાડીઓને નુક્સાન થયું છે. જ્યારે 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે.
Advertisement