વડગામ : જિજ્ઞેશ મેવાણીના કારણે વડગામ બેઠક ગુજરાત ચૂંટણી 2022 (Gujarat Election 2022) માટે પણ હોટ સીટ માનવામાં આવી રહી છે. 2017માં જિજ્ઞેશ મેવાણીએ અપક્ષમાં ઉભા કરીને વડગામની સીટ જીતી હતી. જોકે, તે વખતે કોંગ્રેસે વડગામમાં પોતાનો કોઈ ઉમેદવાર ઉભો રાખ્યો નહતો. કોંગ્રેસનો ગઢ ગણાતી આ બેઠક પર અપક્ષ ઉમેદવાર જિગ્નેશ મેવાણીએ (Jignesh Mevani) વિજય મેળવી નવો દાખલો બેસાડ્યો હતો. જિજ્ઞેશ મેવાણી પાછલા પાંચ વર્ષ બીજેપી પર પ્રહાર કરવાની એક પણ તક ચૂક્યા નથી, તેવામાં તેમને હરાવવા માટે બીજેપીએ શામ-દામ-દંડની રણનીતિ અપનાવી છે.
Advertisement
Advertisement
150 પ્લસના ટાર્ગેટ સાથે ચૂંટણી જંગનો એલાન કરનાર ભાજપે (BJP) કોંગ્રેસના (Congress) ગઢમાં ગાબડું પાડવા માઇક્રો પ્લાન તૈયાર કર્યો છે. જેમાં ખાસ કરીને વડગામ બેઠકને ગમે તેમ કરીને કોંગ્રેસ પાસેથી આંચકી લેવાનું પ્લાનિંગ બનાવવામાં આવ્યું છે. સ્વભાવિક રીતે કહીએ તો 2017 કરતાં 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ઘણા બધા સમીકરણોમાં ફેરફાર આવ્યો છે. તેથી જિજ્ઞેશ મેવાણીને તો પોતાની સીટ બચાવવા માટે મહેનત કરવી પડશે, પરંતુ સાથે-સાથે બીજેપીને તેના કરતાં પણ વધારે મહેનત કરવી પડી શકે છે.
ઉમેદવારોની જાહેરાત થઇ નહતી, ત્યારે જ એવી ચર્ચા થઇ રહી હતી કે, વડગામમાં જિજ્ઞેશ મેવાણીને હરાવવા માટે મણી ભાઇ વાઘેલાના ટિકિટ આપવામાં આવી શકે છે. બન્યું પણ એવું જ. બીજેપીએ મણીભાઇને મેદાનમાં ઉતારીને એક નવી જ ચાલ ચલી દીધી છે. તો આમ આદમી પાર્ટીએ પણ દલિત નેતાને મેદાનમાં ઉતાર્યો છે, તો AIMIMના રાષ્ટ્રીય પ્રમુખ અસદુદ્દીન ઔવેસીએ પણ વડગામ સીટ પર રસ દાખવીને પોતાનો ઉમેદવાર ઉભો કર્યો છે.
અસદુદ્દીન ઔવેસીની પાર્ટી AIMIMને ભારતીય જનતા પાર્ટીની બી ટીમ કહેવામાં આવી રહી છે. વડગામમાં કોંગ્રેસના મતોની ટકાવારી ઓછી કરવા માટે ઔવેસીએ પોતાનો ઉમેદવાર ઉભો રાખ્યો હોવાનું મતદારો માની રહ્યાં છે. તેથી વડગામમાં AIMIM કંઇ વધારે ભૂમિકા ભજવતી નજરે પડી રહી નથી. વડગામના એક મતદાતા જાવેદ ભાઇ જણાવે છે કે, AIMIMએ માત્ર કોંગ્રેસના મત તોડવા માટે પોતાનો ઉમેદવાર ઉભો છે, તે વડગામના મુસ્લિમ મતદાતાઓ જાણી ગયા છે, તેથી આ વખતે તેમના સાથે છેતરપિંડી કરી શકાશે નહીં.
જોકે, આ તમામ રાજકીય પક્ષોના વડગામમાં ધામા નાંખવાના કારણે ક્યાંકને ક્યાંક જીતના સમીકરણ અસ્પષ્ટ થઇ ગયા છે. કોંગ્રેસ-ભાજપ ઉપરાંત આમ આદમી પાર્ટી વડગામમાં અથાગ મહેનત કરી રહી છે. ઓબીસી અને ઉચ્ચ જ્ઞાતિના અનેક મોટા ગજાના લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઇ ચૂક્યા છે. તો AIMIMનો ઉમેદવાર બીજા તો કોઈના નહીં પરંતુ જિજ્ઞેશ મેવાણીના ત્રણેક હજાર વોટ તોડી શકે છે, તેવી માહિતી પણ સામે આવી રહી છે.
તો બીજી તરફ આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને બીજેપી બંનેના વોટ તોડવાનો ગજો ધરાવે છે. જોકે, તે કોના વધારે વોટ તોડે છે, તે બાબત બીજેપી અને કોંગ્રેસની જીત નક્કી કરશે. એક વાત તો નક્કી છે કે, આ સીટ પર બીજેપી અથવા કોંગ્રેસ બંનેમાંથી ગમે તે એક પક્ષનો ઉમેદવાર જીત મેળવશે. 2022ની ચૂંટણીમાં આપ અને AIMIMના ઉમેદવારો માત્ર વોટ તોડવાની કામગીરી સુધી સીમિત રહેશે. 2022ની ચૂંટણી પછી આમ આદમી પાર્ટીનું ભવિષ્ય વડગામની સીટ પરથી નક્કી થશે. આ પહેલા પગલામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારે સારૂ પર્ફોમન્સ આપ્યું તો આગળ તેમના માટે રસ્તાઓ ખુલશે.
વડગામના વધુ એક મતદાતા રઘુ ભાઇ ચૌધરી જણાવે છે કે, આ વખતે આમ આદમી પાર્ટીના ઉમેદવારને તક આપવી જોઈએ. તેમના અનુસાર, અરવિંદ કેજરીવાલે દિલ્હી અને પંજાબમાં સારી કામગીરી કરી હોવાથી તે પાર્ટીના ઉમેદવારને વડગામ સીટ પરથી જીતાડીને એક નવી જ રાહ ચિંધવી જોઈએ.
આ વખતે વડગામ સીટ જીતવી તમામ ઉમેદવારો માટે અઘરૂ બની શકે છે. કેમ કે મતદાતાઓનું વલણ અને વિચારવાની ઢબ બદલાયેલી જોવા મળી રહી છે.
જિજ્ઞેશ માટે પડકાર રૂપ મણી ભાઈ
મણીભાઈ વાઘેલા છેલ્લા 35 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. તાલુકાથી લઇ જિલ્લા સુધી અનેક હોદ્દાઓ પર તેમણે સેવા આપેલી છે. 2012માં ભાજપના કેબિનેટ મંત્રીને હરાવી વડગામ બેઠક પરથી તેઓ વિજેતા બની ધારાસભ્ય બન્યા હતા.
2017માં પણ વડગામ બેઠક પરથી મેન્ડેડ આપવાનું વચન આપ્યું હતું. જોકે, કોંગ્રેસે વડગામ બેઠક પર અપક્ષ ઉમેદવાર જીગ્નેશ મેવાણીને ટેકો આપ્યો હતો. તેથી અંતે નારાજ થઇને તેમને કોંગ્રેસને અલવિદા કહી દીધું હતું. રાજકીય બહોળુંઅનુભવ ધરાવતા મણીભાઈ વાઘેલા એક સક્ષમ ઉમેદવાર છે. વડગામ સીટથી તેઓ ખુબ જ સારી રીતે પરિચિત પણ છે. તેવામાં જિજ્ઞેશ મેવાણી માટે તેઓ એક મોટા પડકાર રૂપ સાબિત થઇ શકે છે.
ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની અતિ મહત્વની વિધાનસભા બેઠક વડગામ (SC) દલિત ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી છે. વડગામ વિધાનસભા બેઠકમાં વડગામ તાલુકા ઉપરાંત પાલનપુર તાલુકાના 32 ગામોનો સમાવેશ થાય છે.
વડગામ વિધાનસભા બેઠક વડગામ તાલુકો, પાલનપુર તાલુકાના હાથીદ્રા, કુમ્પર, ગોઢ, ધાંગધા, ખાસા, હોડા, ગલવાડા, સગ્રોસણા, ભાગળ (જગાણા), માણકા, ગોળા, મેરવાડા (રતનપુર), વગદા, જગાણા, વાસણા (જગાણા), બાદરપુરા (કાલુસણા), સરીપડા, પટોસણ, સલ્લા, સાસમ, ટાકરવાડા, ટોકરીયા, સેદરાસણા, અસ્માપુરા (ગોદા), ખામોડિયા, જાસલેની, બદરગઢ, કાણોદરનું પ્રતિનિધિત્વ કરે છે.
બીજેપી-કોંગ્રેસની સ્થિતિ શું છે?
2022 વિધાનસભાની ચૂંટણીમાં વડગામની સીટ અનિશ્ચિતત્તાઓ તરફ ધકેલાઇ ગઇ છે. કોઈપણ એક પાર્ટી જીતનો દાવો કરે તે યોગ્ય ગણાશે નહીં. કેમ કે વડગામ સીટના હાર-જીતના સમીકરણોમાં ધરખમ ફેરફાર આવ્યો છે. જોકે, રાજકીય નિષ્ણાતોના મતે તમામ બદલાયેલા સમીકરણો વચ્ચે પણ વડગામની સીટ પર કોંગ્રેસની જીતની ટકાવારી સૌથી વધારે રહેશે.
બીજેપીએ મણીભાઇને વડગામમાં ઉતારીને બાજી પોતાના પક્ષમાં કરવાની કોશિશ કરી છે અને એવું બની પણ શકે છે. કેમ કે વડગામના મતદાતાઓએ મણીભાઇ વાઘેલાને પહેલા પણ પસંદ કરીને જીતાડ્યા હતા. તેમણે આ વિધાનસભા સીટ માટે અનેક કામો પણ કરેલા છે. તેવામાં તેઓ લોકો સુધી તેમના કામોને લઇને પણ મત માંગી શકે છે. આ સીટ પર બીજેપીની પરંપરાગત વોટ બેંક પણ કંઇ નબળી નથી. તેવામાં મણીભાઇ વાઘેલા યોગ્ય દિશામાં મહેનત કરે તો તેમને તેનો ફળ મળી શકે છે.
જ્ઞાતિ જાતિના સમીકરણ શું કહે છે ?
વડગામ બેઠક પર યુવા નેતા જીગ્નેશ મેવાણી ચૂંટાયેલા જનસેવક છે. આ બેઠક પર સતત બે ટર્મ સુધી કોઈ ઉમેદવાર વિજેતા થયો હોય તેવું બે વખત બન્યું છે. 2017ના આંકડા મુજબ વડગામ (SC) બેઠકમાં કુલ 2,39,275 મતદારો છે. જેમાં 1,26,696 પુરુષ ઉમેદવાર અને 1,12,579 મહિલા ઉમેદવાર છે. આ બેઠક પરના જાતીય સમીકરણ પર નજર કરતાં ખ્યાલ આવે કે, વિધાનસભામાં 25.9 મુસ્લિમ, 15.5 દલિત, 9.5 ઠાકોર, 16.4 ચૌધરી, 5.6 ટકા રાજપૂત, 25.9 અન્ય જાતિનું પ્રભુત્વ છે.
ગત 2017ની ચૂંટણી સમયે આ બેઠક પર વિજેતા થયેલા જીગ્નેશ મેવાણીને 95,447 મત મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર ચક્રવર્તી વિજયકુમાર હરખાભાઈને 75,801 મત મળ્યા હતા. બંને ઉમેદવાર વચ્ચે 20 હજાર મતનો તફાવત હતો. હવે વડગામ વિધાનસભા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મણીભાઈ વાઘેલા ભાજપ તરફથી ઉમેદવાર બનતા સમીકરણ બદલાઇ ચૂક્યા છે. તો આપ અને AIMIM ગૂંચવણભરી સ્થિતિ ઉભી કરી દીધી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
આ બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવે તેનું કારણ પણ મુસ્લિમ, દલિત અને ઠાકોર મતદારો છે. ભાજપ માત્ર બે વખત જ આ બેઠક જીતવામાં સફળ રહ્યું છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય તાજેતરમાં ભાજપમાં જોડાયા છે અને અપક્ષ વિજેતા જિગ્નેશ મેવાણીને હવે કોંગ્રેસ સાથે છે ત્યારે આ બેઠક પર 2022ની ચૂંટણીમાં ખરાખરીનો જંગ જોવા મળશે.
Advertisement