તુંવર મુજાહિદ: અમદાવાદ જામા મસ્જિદના શાહી ઈમામે મુસ્લિમ મહિલાઓને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. શાહી ઇમામ શબ્બીર અહેમદે ધર્મની અજ્ઞાનતા દર્શાવતો નિવેદન આપીને મહિલાઓના અસ્તિત્વને જ નકારી દીધો છે. કમનસીબે, ભારતીય મુસ્લિમ મહિલાઓને સ્ત્રી અને મુસ્લિમ હોવાના બેવડા ગેરલાભનો સામનો કરવો પડી રહ્યો છે. ઇમામ શબ્બીર અહેમદે મુસ્લિમોને ધર્મના ઉંધા ચશ્મા પહેરાવતા કહ્યું છે કે, ચૂંટણીમાં મહિલાઓને ટિકિટ આપવી તે ધર્મના વિરૂદ્ધ છે. તે ઉપરાંત ઇમામે તેમની પુરૂષપ્રધાન વિચારધારાને થોપતા કહ્યું કે, શું આપણા સમાજમાં પુરૂષોની કોઈ કમી છે?
Advertisement
Advertisement
આ નિવેદન એવું છે, જે માત્ર ચૂંટણ પુરૂતું સીમિત નથી. તેમનો આ નિવેદન મહિલાઓની સ્વતંત્રતા ઉપર તરાપ ગણી શકાય છે. શાહી ઇમામે પોતાના નિવેદન પરથી પોતાની ધાર્મિક અજ્ઞાનતા પણ પ્રગટ કરી છે, અહેમદ સિદ્દીકીએ કહ્યું- જ્યારે ઇસ્લામની વાત આવે છે, તો હું કહેવા માંગુ છું કે અત્યારે લોકો અહીં (મસ્જિદ) નમાઝ અદા કરી રહ્યા છે, પરંતુ તમને ત્યાં એક પણ સ્ત્રી નજરે પડી હશે નહીં. ઇસ્લામમાં નમાઝનું મહત્વ સૌથી વધુ છે. ઇસ્લામમાં મહિલાઓ માટે આ રીતે લોકોની સામે આવવું યોગ્ય હોત તો તેમને મસ્જિદમાં પ્રતિબંધિત કેમ કરવામાં આવી?
શાહી ઇમામ શબ્બીર અહેમદ સિદ્દીકીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, “મહિલાઓને મસ્જિદમાંથી શા માટે પ્રતિબંધિત કરવામાં આવી? કારણ કે ઇસ્લામમાં મહિલાઓનું એક અલગ સ્થાન છે. તેથી જે પણ પાર્ટી મહિલાઓને ટિકિટ આપે છે, તેઓ ઇસ્લામ વિરુદ્ધ બળવો કરી રહી છે. તેમનું આ કૃત્ય ઇસ્લામ વિરુદ્ધ છે. શું ત્યાં પુરૂષો નથી કે તમે સ્ત્રીઓને લાવી રહ્યા છો. તેનાથી આપણો ધર્મ નબળો પડશે.”
અજ્ઞાનતા ધરાવતા મોલાનાઓ જ પોતાની રીતે મનગઢત ધાર્મિક સ્ટોરીઓ રચી કાઢતા હોય છે. તેથી જ મુસ્લિમ સમાજ સતત પાછળ ધકેલાતો આવ્યો છે. મુસ્લિમ સમાજના ઉચ્ચ પદ પર બેસેલા ધાર્મિક મોલાનાઓની ધાર્મિક સંકૂચિતતાના કારણે ભારતીય મુસ્લિમ મહિલાઓ દેશના કર્મચારીઓમાં વ્યવહારીક રીતે અદ્રશ્ય થઇ રહી છે. ખરેખર તો મુસ્લિમ મહિલાઓના વિરૂદ્ધમાં કરવામાં આવતા આવા નિવેદનો મુસ્લિમ સમાજ અને ઈસ્લામ બંનેને કમજોર કરી રહ્યાં છે. મૌલાના અને મુલ્લાઓ જ ઈસ્લામની વ્યાખ્યા બદલી નાંખી છે અને તેને ખુબ જ સંકૂચિત બનાવી દેવામાં આવ્યો છે.
વર્ષોથી સંકૂચિત દ્રષ્ટિકોણ તરફ ધકેલાઇ રહેલા ઇસ્લામની ભારતમાં તો ખુબ જ ખરાબ સ્થિતિ છે. મૌલવી અને ઇમામોના ફતવાઓના કારણે ઇસ્લામ સાથે જોડાયેલા માણસો પોતાનો અને સમાજનો વિકાસ કરવાની જગ્યાએ વિનાશ તરફ ધકેલાઇ રહ્યાં છે. ઇસ્લામમાં ફેલાયેલા કુરિવાજો અને મુસ્લિમ લોકો દ્વારા ધર્મ વિરૂદ્ધના કરવામાં આવતા ખરાબ બે નંબરન ધંધાઓને બંધ કરવાના ફતવાઓ બહાર પાડવાની જગ્યાએ ઇસ્લામની આડમાં મહિલાઓને સતત દબાવવાનું કામ કરવામાં આવ્યું છે. મુસ્લિમ સમાજમાં વર્ષોથી મહિલાઓને બીજા તબક્કાની માનવામાં આવતી રહી છે. એક પુરૂષને જેટલી આઝાદી આપવામાં આવે છે, તેનાથી 50 ટકા આઝાદી પણ મહિલાને નથી? શું સ્ત્રી માનવજાતમાં આવતી નથી? તેના પોતાનું જીવન તે પોતાની રીતે જીવવાનો કોઈ અધિકાર નથી? સ્ત્રીના પણ પોતાના સ્વપ્ન હોય છે, તો શું તેઓ તેને પુરૂ કરવા માટે કોઈ કામ પણ કરી શકે નહીં?
મુસ્લિમ સમાજમાં સ્ત્રીને બીજા તબક્કાનું જીવન આપવા પાછળ અજ્ઞાની અને ઢોંગી મૌલવીઓ સૌથી મોટી ભૂમિકા ભજવી છે. જે એક દિવસ આખા સમાજનું વિનાશ નોતરશે. દેશમાં અંદાજે 70 મિલિયન શિક્ષિત મુસ્લિમ મહિલાઓ છે. ભારતનો મહિલા શ્રમ દળ સહભાગિતા દર (LFPR) સતત ઘટી રહ્યો છે. કારણ આવા મુલ્લાઓના નિવેદનો છે. મુસ્લિમ સમાજમાં આમ પણ શિક્ષણ ઓછું છે, તેમાંય મહિલાઓમાં તો નજીવો છે. તેવામાં અભણ મુસ્લિમ પુરૂષોમાં મૌલવીઓના ભાષણો જ તેમના માટે સર્વેસર્વા હોય છે અને તેનું પરિણામ મહિલાઓને ભોગવવું પડે છે.
સિદ્દીકીએ ચૂંટણીમાં મુસ્લિમ મહિલાઓને ટિકિટ આપવાને ઈસ્લામને કમજોર પાડવાનું ષડયંત્ર ગણાવ્યું છે. લો બોલો..! હવે તે અંગે તથ્ય દર્શાવવાનું કહેશો તો કદાચ શાહી ઈમામ આપી શકશે નહીં. વિશ્વની મહિલાઓ ચાંદ અને મંગળ સુધી પહોંચીને દુનિયાને રસ્તો બતાવી રહી છે પરંતુ મુસ્લિમ મહિલાને ટિકિટ આપવાથી ઈસ્લામ કમજોર થઇ જઇ રહ્યું છે, ગજબ છે બાકી!!
પ્રશ્ન તો તે પણ ઉદ્દભવી રહ્યો છે કે, મહિલાઓને ટિકિટ આપવાથી ઇસ્લામ કેવી રીતે કમજોર થઇ જઇ રહ્યો છે? કદાચ બાંગ્લાદેશમાં ઈસ્લામનું કંઇક અલગ રૂપ હોઇ શકે છે કેમ કે, ત્યાં એક મુસ્લિમ મહિલા આખા દેશનું પ્રતિનિધિત્વ કરી રહી છે. બાંગ્લાદેશમાં શેખ હસીના વર્તમાનના પીએમ છે, તો તેઓ શું ઈસ્લામને કમજોર કરી રહ્યાં છે. શું ઈસ્લામમાં મહિલાઓને બંધક બનાવીને રાખવાનું કહેવામાં આવ્યું છે? શાહી ઈમામના નિવેદન પરથી તો ઉપરોક્ત તમામ પ્રશ્નોના જવાબ મળવા જ જોઇએ, કેમ કે નિવેદન કંઇક તે તરફ જ સંકેત કરી રહ્યું છે. તે ઉપરાંત શાહી ઇમામે હિઝાબને બચાવવા માટે મહિલાઓની સ્વતંત્રતા છીનવવાની વાત પણ કરી છે. તેમની સંકૂચિત દ્રષ્ટિ અનુસાર, મહિલાઓ સાર્વજનિક સેવાઓ અને સરકારી સેવાઓમાં જશે તો ઇસ્લામ હિઝાબને બચાવી શકશે નહીં.
ઉલ્લેખનિય છે કે, કર્ણાટકમાં હિજાબ પહેરવાને લઇને આંદોલન થયો પરંતુ મુસ્લિમ દેશ ઇરાકમાં હિઝાબને ત્યજવાને લઇને આંદોલનો થઇ રહ્યાં છે. બંનેમાં દેશોના આંદોલનમાં એક બાબત સામ્યતા ધરાવે છે? બંને દેશોમાં મહિલાઓએ પોતાની સ્વતંત્રતા માટે આંદોલન કર્યા છે. ઈરાકમાં હિઝાબને છોડવાના આંદોલનમાં અત્યાર સુધી અનેક મહિલાઓએ કુરબાની આપી દીધી છે. કેમ કે તેઓ સ્વતંત્ર રીતે જીવવા માંગે છે તો ભારતમાં હિઝાબ પહેરવાની સ્વતંત્રતાને લઇને મહિલાઓએ આંદોલનો કર્યા હતા.
જામા મસ્જિદની દેખરેખ કરનારી સંસ્થા અમદાવાદ સુન્ની મુસ્લિમ વક્ફ કમિટી છે અને આ કમેટી દ્વારા જ આવા અજ્ઞાની મૌલાનાઓને શાહી ઇમાન જેવી પદવી આપી દીધી છે. પ્રશ્ન તે ઉભો થાય છે કે, શું આવી રીતના નિવેદનથી મુસ્લિમ વક્ફ કમિટી પણ સંમત છે, જો તે સહમત નથી તો શું તેઓ ઇમામ વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરશે ખરી? શું અમદાવાદની મુસ્લિમ સંસ્થાઓ શાહી ઇમામના નિવેદનને ટેકો આપી રહ્યાં છે કે તેમના વિરૂદ્ધ છે?
Advertisement