અમદાવાદ: અમદાવાદ મેટ્રો ટ્રેનના સમયમાં મુસાફરોની સંખ્યા વધતા ફેરફાર કરવામાં આવ્યો છે. અમદાવાદ મેટ્રો હવે 30 જાન્યુઆરી પછી સવારના 7 વાગ્યાથી શરૂ થશે જે રાત્રે 10 વાગ્યા સુધી દોડશે. અમદાવાદીઓને હવે 15 કલાક મેટ્રો ટ્રેનની સેવા મળશે. મેટ્રો ટ્રેનનો સમય સવારે 9 વાગ્યાથી બદલીને 7 વાગ્યાનો કરવામાં આવ્યો છે.
Advertisement
Advertisement
અમદાવાદ મેટ્રોને થયો ફાયદો
અમદાવાદ મેટ્રોને શરૂ થયે ત્રણ મહિના ઉપર સમય થઇ ગયો છે. આ દરમિયાન મેટ્રોની આવકમાં પણ વધારો થયો છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી પશ્ચિમ વિસ્તારમાં નોકરી તેમજ કોલેજ માટે આવતા લોકોએ સૌથી વધુ મેટ્રોનો ઉપયોગ કર્યો છે. મેટ્રોનો દરેક રૂટ હાઉસફુલ જઇ રહ્યો છે ત્યારે નોકરિયાત વર્ગ અને કોલેજીયનોની માંગને લઇને મેટ્રોના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
30 જાન્યુઆરી પછી સમય બદલાશે
અમદાવાદ મેટ્રોના સમયનો ફેરફાર 30 જાન્યુઆરી પછી બદલાશે. અત્યારે મેટ્રો સવારે 9 વાગ્યાથી શરૂ થાય છે. 30 જાન્યુઆરી પછી તે સવારે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ચાલશે. 30 જાન્યુઆરીથી મેટ્રો ટ્રેનની ફ્રિકવન્સીમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. દર 15 મિનિટે મેટ્રો ટ્રેન મળી રહેશે.
વસ્ત્રાલ ગામથી થલતેજ રૂટ પર સૌથી વધુ મુસાફર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 સપ્ટેમ્બરે અમદાવાદમાં મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી હતી. મેટ્રો શરૂ થયાના શરૂઆતના જ 70 દિવસમાં 31.20 લાખ મુસાફરોએ મુસાફરી કરી હતી જેને કારણે મેટ્રો રેલ કોર્પોરેશનને 70 દિવસમાં જ 5 કરોડથી વધુની આવક થઇ હતી. વસ્ત્રાલ ગામથી થલતેજ સુધીના ઇસ્ટ-વેસ્ટ કોરિડોર પર મુસાફરી કરનારા લોકોએ મેટ્રોનો સૌથી વધુ લાભ લીધો હતો. બીજી તરફ APMCથી મોટેરા રૂટ પર નોર્થ-સાઉથ કોરિડોરમાં 8.42 લાખ પેસેન્જરે મુસાફરી કરી છે.
મેટ્રોમાં નોકરીયાત મુસાફરોની સંખ્યા વધી
અમદાવાદમાં દરરોજ નોકરીએ જનારા લોકો સામાન્ય રીતે AMTS અને BRTS બસનો ઉપયોગ કરતા હતા. જોકે, મેટ્રો શરૂ થતા મુસાફરી કરવામાં પણ સારૂ રહે છે અને નોકરીયાત વર્ગનો સમય પણ બચે છે. મેટ્રોમાં રોજ અપડાઉન કરતા લોકો માટે ટ્રાવેલ કાર્ડ શરૂ કરવામાં આવ્યુ છે. ઓક્ટોબરમાં 11675 લોકોએ ટ્રાવેલ કાર્ડ ખરીદ્યુ હતુ. નવેમ્બરમાં આ સંખ્યા વધી હતી અને 17255 લોકોએ ટ્રાવેલ કાર્ડ ખરીદ્યુ હતુ જ્યારે ડિસેમ્બરમાં 18699 લોકોએ ટ્રાવેલ કાર્ડ ખરીદ્યુ છે. મેટ્રોમાં ટ્રાવેલ કાર્ડની સંખ્યા સતત વધી રહી છે.
Advertisement