આસામમાં હિમંત બિસ્વા સરકારે બે વર્ષમાં જાહેરાતો પાછળ પાણીની માફક રૂ.130.59 કરોડ વાપર્યા છે. અગાઉની સરકારની સરખામણી કરવામાં આવે તો સર્વાનંદ સોનોવાલની સરકારે પાંચ વર્ષના પોતાના કાર્યકાળમાં વિજ્ઞાપનો પાછળ રૂ.125.6 કરોડનો ખર્ચ કર્યો હતો. હિમંત બિસ્વા સરમાના નેતૃત્વ હેઠળની આસામ સરકારે વિધાનસભામાં આ માહિતી આપી હતી.
Advertisement
Advertisement
અપક્ષ ધારાસભ્યએ પૂછ્યો સવાલ
માહિતી અને જનસંપર્ક મંત્રી પીયૂષ હજારિકાએ અપક્ષ ધારાસભ્ય અખિલ ગોગોઈના એક પ્રશ્રના જવાબમાં કહ્યું કે મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાની વર્તમાન સરકારે 2021-22 અને 2022-23માં જાહેરાતો માટે તેમના વિભાગને કુલ રૂ.132 કરોડ ફાળવ્યા છે. માહિતી પ્રમાણે માહિતી અને જનસંપર્ક વિભાગ (DIPR)એ ગત બે નાણાંકીય વર્ષમાં અત્યાર સુધી વિવિધ મીડિયામાં રૂ.130.59 કરોડના વિજ્ઞાપનો જારી કર્યા છે. હજારિકાએ ઉમેર્યું કે પૂર્વ મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલના કાર્યકાળમાં ભાજપા સરકારે DIPRને રૂ.132.3 કરોડ ફાળવ્યા હતા.
2016-17 થી 2020-21 સુધી તમામ સરકારી જાહેરાતો પાછળ કુલ રૂ. 125.6કરોડનો ખર્ચ થયો હતો. સોનોવાલ હાલ કેન્દ્ર સરકારમાં પ્રધાન છે. મંત્રી પીયૂષ હજારિકાએ કહ્યું કે આ વિજ્ઞાપનો અખબારો, પત્રિકાઓ, ટીવી ચેનલો, એફએમ રેડિયો અને અન્ય મીડિયામાં આપવામાં આવ્યા હતા. 2016માં આસામમાં ભાજપા સત્તા પર આવ્યા પછી જાહેરાતો પાછળ રૂ.256.19 કરોડ ખર્ચવામાં આવ્યા છે.
અથડામણની પણ વિગતો અપાઈ
આ અગાઉ વિધાનસભામાં માહિતી અપાઈ કે 2021માં હિમંત બિસવા આસામના મુખ્યમંત્રી બન્યા તે પછી અત્યાર સુધીમાં 66 આરોપીઓ અથડામણમાં માર્યા ગયા છે. આ ઉપરાંત, 158નું પોલીસ અટકાયતમાં મૃત્યુ થયું છે. એચઆઈયુડીએફ ધારાસભ્ય અશરફુલ હુસૈનના એક પ્રશ્રના લેખિત જવાબમાં મુખ્યમંત્રી હિમંત બિસ્વાએ કહ્યું કે 10 મે 2021થી 28 ફેબ્રુઆરી, 2023 દરમિયાન પોલીસ સાથે થયેલી અથડામણોમાં 35 આરોપીઓએ જાન ગુમાવ્યા છે અને અન્ય 12 ઘાયલ થયા હતા. તેમણે જણાવ્યું કે આ ઉપરાંત પોલીસ ફાયરિંગમાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 146 અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
Advertisement