ગુુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી (જીએનએલયુ) દ્વારા ગુજરાતના આર્ટવર્કના કારીગરો માટે વર્કશોપ આયોજન કરાયું હતું. વર્કશોપમાં લુપ્ત થઇ રહેલી માતાની પછેડી, પેથાપુર પ્રિન્ટિંગ બ્લોક્સ અને સાદેલી આર્ટવર્કના ૩૩ કારીગરો દ્વારા પોતાની આર્ટવર્કના કલાજ્ઞાનને લોકો સુધી પહોંચાડયું હતું. વર્કશોપમાં માતાની પછેડી વિશે ભાનુભાઇ ચિતારાએ કહ્યું કે, માતાની પછેડી એ કાપડ પર દેવીનું ચિત્ર આલેખવાની હસ્તકલા છે અને તે ૪૦૦ વર્ષથી વધારે જૂની છે. માતાની પછેડીમાં દેવીનું ચિત્ર તૈયાર કરવામાં આવે છે. પહેલાના સમયમાં જે- તે પરિવારના લોકો મંદિરમાં ન જઇ શકતા હોય તેવા લોકો જ્યાં હોય ત્યાંથી દેવીની પૂજા કરી શકે અને પ્રવાસીઓ પોતાની સાથે પછેડી પ્રવાસમાં લઇ જઇને દેવીની પૂજા કરી શકે તે આશયથી વસ્ત્ર ઉપર સોય જેવા પાતળા પોઇન્ટવાળી વાંસની લાકડી અને કુદરતી રંગોનો ઉપયોગથી માતાનું ચિત્ર તૈયાર કરવામાં આવે છે. માતાની પછેડી તૈયાર કરવામાં ઘણો સમય લાગે છે. આ હસ્તકલા લુપ્ત થઇ રહી છે જેને બચાવવા માટે અમે અથાગ પ્રયત્ન કરીએ છીએ. માતાની પછેડીની હસ્તકલાને લઇને તાજેતરમાં ભારત સરકાર તરફથી પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે જે અમારા માટે ગર્વની વાત છે. તેમજ કારીગરો જુનાગઢની કેસર કેરી, કચ્છની શાલ, પાટણના પટોળા જેવા ગુજરાતના સત્તર ઉત્પાદનોને જીઆઇ ટેગ મળ્યો છે. હસ્તકલાના કારીગરો માટે પણ જીઆઇ ટેગ મેળવવું ફાયદાકારક છે. જીઆઇ ટેગ ઉત્પાદનોને સ્થાનિક ક્ષેત્ર સાથે ઓળખ આપવાનું કામ કરે છે અને જીઆઇના મૂળ સ્થાન સાથે ન જોડાયેલા લોકો રજિસ્ટર્ડ જીઆઇ ઉત્પાદનોનું ઉત્પાદન, વેચાણ અથવા માર્કેટિંગ કરતા અટકાવે છે. ટેગનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થઇ શકે છે એટલે જીઆઇ ટેગ સ્થાનિક કલાને રક્ષણ અને ઇન્ટરનેશનલ લેવલે પ્રોત્સાહન આપવામાં મહત્વનો ભાગ ભજવે છે.
Advertisement
Advertisement
Advertisement