અમદાવાદઃ ગુજરાત સરકારે રાજ્યના તમામ બ્રિજોની પરિસ્થિતિ અંગે ગુજરાત હાઇકોર્ટમાં એફિડેવિટ રજૂ કરી હતી. સરકારે રજૂ કરેલી આ એફિડેવિટમાં કુલ 63 જેટલા બ્રિજને સમારકામ કરવાની જરૂરિયાત હોવાનો ખુલાસો થયો છે. તેમાં લગભગ 40 બ્રિજને સામાન્ય રિપેરિંગ કરવાની જ્યારે 23 બ્રિજને મેજર રિપેરિંગની જરૂર હોવાનું જણાવાયું છે. રાજ્યમાં આવેલા બ્રિજોના રિપેરિંગની જરૂરિયાત હોવાનું સરકારે જ સ્વીકાર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી ઝૂલતા પુલની ઘટના બાદ અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ પણ ચર્ચામાં આવ્યો છે. ત્યારે તાજેતરમાં જ અમરેલીના રાજુલામાં બ્રિજ ધરાશાયી થવાની ઘટના બની હતી.
Advertisement
Advertisement
અર્બન ડેવલપમેન્ટના 63 બ્રિજનું રિપેરિંગ બાકી
સરકારે રજૂઆત કરી કે, અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ હેઠળ આવતા 63 બ્રિજને સમારકામની જરૂર છે. તે પૈકી 16 બ્રિજ નગરપાલિકા અને 47 બ્રિજ કોર્પોરેશનની હદમાં આવેલા છે. 29 બ્રિજનું રિપેરિંગ કામ ચાલી રહ્યું છે. 33 બ્રિજનું કામ પૂર્ણ થઈ ગયું છે.
અમદાવાદ, સુરત સહિત અન્ય શહેરોના બ્રિજનું સમારકામ જરૂરી
મોરબીમાં બનેલી બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય સરકારે હાઈકોર્ટમાં રાજ્યના બ્રિજોની હાલની સ્થિતિ અંગે જવાબ રજૂ કરવાનો હતો તેને અનુલક્ષીને સરકારે આ એફિડેવિટ રજૂ કરી હતી. તેમાં જણાવ્યા પ્રમાણે અમદાવાદમાં આવેલા12 બ્રિજ પૈકી 10 બ્રિજને સામાન્ય અને બે બ્રિજને વધુ રિપેરિંગની જરૂર છે. સુરતના 13 બ્રિજ પૈકી નવ બ્રિજને વધારે રિપેરિંગની જ્યારે 4 બ્રિજને સામાન્ય રિપેરિંગની જરૂર હોવાનું સરકારે સ્વીકાર્યું છે. આ ઉપરાંત, વડોદરામાં 4, જૂનાગઢમાં 7 અને રાજકોટના 1 બ્રિજના રિપેરિંગની જરૂરિયાત છે. ગાંધીનગરમાં બનેલા એક પણ બ્રિજને હાલ રિપેરિંગની જરૂર ન હોવાની સ્પષ્ટતા એફિડેવિટમાં કરાઈ છે.
મોટા પુલોનું રિપેરિંગ જરૂરી, યુદ્ધના ધોરણે કરવા હાઈકોર્ટની તાકીદ
25 જાન્યુઆરીએ ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે મોરબી બ્રિજની સ્થિતિ વિશે જવાબ રજૂ કર્યો હતો. તે દરમિયાન જયસુખ પટેલના વકીલે કોર્ટમાં વળતર આપવાની પણ તૈયારી દેખાડી હતી. અલબત્ત હાઈકોર્ટે નોંધ્યું હતું કે, જે મોટા બ્રિજનું સમારકામ જરૂરી છે તેનું સમારકામ સરકાર યુદ્ધના ધોરણે કરાવે.
બ્રિજ તૂટે તો જવાબદારી કોની?
મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટના મામલે થયેલી સુઓમોટોની સુનાવણીમાં સરકારે એવો ઘટસ્ફોટ કર્યો હતો કે, શહેરી વિસ્તારમાં કોઈ પુલ તૂટે તો તે દુર્ઘટના માટે કોની જવાબદારી રહેશે તે અંગે કોઈ સ્પષ્ટ નીતિ અમલમાં નથી. પરંતુ, સરકાર તેની નીતિ ટૂંક સમયમાં અમલમાં લાવશે. કોર્ટે બીજો સવાલ કર્યો કે, ગ્રામ્ય વિસ્તારોમાં કે જિલ્લા કક્ષાએ તમામ બ્રિજના રિપેરિંગ સહિતની જવાબદારી કોની છે ? સરકારે તેના જવાબમાં કહ્યું કે, રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટની માર્ગદર્શિકા લાગુ પડતી નથી. સરકારે સોગંદનામામાં સ્પષ્ટ જણાવ્યું કે, મ્યુનિસિપાલિટીની હદમાં આવો કોઈ બનાવ બને તો તેની જવાબદારી નક્કી કરતી કોઈ નીતિ અમારી પાસે નથી આ સાથે સરકારે તમામ બ્રિજની વિગતો દર્શાવતું પત્રક રજૂ કર્યું હતું.
દિલ્હીની સરખામણીમાં ઓછું વળતર
મોરબી દુર્ઘટનાના પીડિતોએ વળતરની રકમ ઓછી હોવાના મામલે પણ અરજી કરી હતી. તેમાં રજૂઆત કરાઈ છે કે, સરકારે 10 લાખ વળતર ચૂકવવા જાહેરાત કરી છે, પરંતુ વળતરની આ રકમ ખૂબ ઓછી છે. દિલ્હીમાં વળતરની રકમ રૂ.1 કરોડ હોય છે. ગુજરાત સરકાર ખૂબ નજીવું વળતર ચૂકવે છે. અરજીની સુનાવણી દરમિયાન પીડિત પરિવારો વહેલી સવારથી જ કોર્ટ બહાર આવી ગયા હતા.
Advertisement