ગુજરાતની ભવાઈ પરંપરા દિવસે ને દિવસે ઓસરતી જાય છે. જૂજ મંડળીઓના કલાકારો પણ હવે આર્થિક ભીંસને ધ્યાનમાં રાખીને મોબાઈલ એન્ટરટેઈન્મેન્ટ તરફ ઝૂકી રહ્યા છે એ સ્વાભાવિક છે.
Advertisement
Advertisement
પરંતુ જ્યારે ગુજરાતની આ લોકકલાનો વારસો તેની ટોચે હતો ત્યારે અમૃત કેશવ નાયકે 19મી સદીની શરુઆતના સમયે શેક્સપિરિયન કોમેડીને ઉર્દુમાં ભાષાંતરિત કરીને કલકત્તામાં શેક્સપિરિયન નાટકો જેવા કે હેમલેટ અને રોમિયો-જૂલિયટને ભજવ્યા હતા.
ભવાઈ અને જૂની રંગભૂમિ સાથે વર્ષોથી સંકળાયેલા અને ગુજરાતી જૂના નાટકોના સંશોધક રમેશ પાંચોટિયાએ ગુજરાતના ભવાઈ વારસા અને જૂના નાટકો પર ખૂબ કામ કર્યું છે. જેના સંદર્ભે તેમણે જણાવ્યું હતું કે ગુજરાતી લોક સંસ્કૃતિનો વારસો આજના સમય કરતાં પણ ઘણો વિશાળ અને ઊંડાણપૂર્વકનો છે. અમૃત કેશવ નાયકે પારસી નાટકોમાં પણ ખૂબ કામ કર્યું. બીમારે ગુલ, હાતિમતાઈ, ખૂને નાહક, બઝ્મેફાની જેવા નાટકો જોવા માટે લોકો દૂર દૂરથી આવતા.
આજે આપણે જે પ્રકારે એક ભાષામાંથી બીજી ભાષાના પ્રયોગો જોઈએ છીએ અથવા તો બોલીવુડની ફિલ્મોનું રુપાંતરણ જોઈએ છીએ તે વાત નવી નથી.
ગુજરાતમાં 1877માં જન્મેલા અમૃત કેશવ નાયક એક એવી નાટ્ય પ્રતિભા હતી જેનો પરિચય આખા દેશના ધૂરંધરોએ તેમના નાટકો થકી જોયો હતો.
રોમિયો એન્ડ જુલિયટનું ઉર્દુમાં નાટ્ય રુપાંતરણ કરીને તેને ‘મુરિદે શક’ અને હેમલેટનું ‘બઝમે ફાની’ના નામે ઉર્દુમાં રુપાંતરણ કરવામાં આવ્યું હતું.
અમદાવાદના કાલુપુર વિસ્તારના તરગાળાવાડમાં જન્મેલા અમૃત કેશવ નાયકમાં નાનપણથી નાટ્યકલા પ્રત્યે અનોખી ઉર્જા હતી. તેમણે અન્યભાષાઓની જેમ ઉર્દુની કેળવણી પણ લીધી હતી. એ સમયે ઓછા ભણતર સાથે પણ અમૃત કેશવ નાયક એક સારા અદાકાર, સારા ગાયક અને એક સારા દિગ્દર્શક પણ હતા. તેમણે અંગ્રેજીનું જ્ઞાન અને ઉર્દુનું જ્ઞાન મેળવીને એ સમયે ‘વિન્ટર્સ ટેલ’નું ‘શહિદેનાઝ’માં રૂપાંતરણ કર્યું હતું. તેમના નાટકો માત્ર ગુજરાતમાં જ નહીં પરંતું ઉત્તરપ્રદેશના શહેરો અને કલકત્તામાં પણ ભજવાતા હતા. એ સમયની સૌથી પહેલી ગ્રામોફોનમાં ઝળકતા સ્વર કિન્નરી ગૌહર બાઈનું નામ ટોચ પર હતું.
રમેશભાઈ પાંચોટિયા જણાવે છે કે અમૃત કેશવ નાયકની અભિનય કળાથી આખા ઉત્તર ભારતને પોતાના કંઠે ઘેલુ કરનારી ગૌહર બાઈ પણ પ્રભાવિત થયા હતા. ગૌહર બાઈ સાથેના અતૂટ આકર્ષણને કારણે અમૃત કેશવ નાયકે ઉર્દુ ભાષા થકી શેક્સપિરિયન નાટકોની શહેરોમાં પ્રસ્તુતિ કરી હતી. ગૌહર બાઈ મૂળ આઝમગઢના હતા અને તેમની ગ્રામોફોનની ડિસ્ક એક જમાનામાં ખૂબ જાણીતી હતી.
અમૃત કેશવ નાયકનો એ સમયે એટલું મોટું નામ હતું કે એ વખતે તેમણે તેમની આવકમાંથી કાળુપુર વિસ્તારમાં એક લાઈબ્રેરી બનાવી હતી જેથી વિવિધ સમાજના વિદ્યાર્થીઓ વાંચી શકે.
તેમની નાટ્યયાત્રામાં અંગ્રેજીમાંથી રુપાંતરિત અનેક નાટકો જેવા કે ‘મુરિદે શક (વિન્ટર્સ ટેલ), મારે આસ્તિન (મેઝર ફોર મેઝર), અસિરે હિર્સ (શેરિડનનો પિંજારો), શહીદે નાઝ, મીઠા ઝહર (સિમ્બલાઈન)’નો સમાવેશ થાય છે. આ ઉપરાંત અનેક નાટકો તેમણે હિન્દી અને ગુજરાતી ભાષામાં પ્રસ્તુત કર્યા.
તેમનું નાટક ‘ઝહરી સાપ’ એટલું ખ્યાતિ પામ્યું હતું કે વર્ષો સુધી તેના શૉ ચાલુ રહ્યા. ‘ઝહરી સાપ’ના શૉની વ્યસ્તતાના પરિણામે 18મી જુલાઈ 1907ના રોજ એક શૉમાં અમૃત કેશવ નાયક ચાલુ શોમાં બેભાન થઈ પડી ગયા અને માત્ર 31 વર્ષની નાની વયે તેઓ આ ફાની દુનિયા છોડીને ચાલ્યા ગયા. ‘પરદેશી સૈયા નૈના લગાકે દુઃખ દે ગયે, સર પર ગાગર ધર કર, દિલે નાદાન કો હમ સમજાતે જાયેંગે, ’ જેવી ગૌહર જાન સાથેની ઠુમરી આજે પણ અનેક સિનિયર સિટીઝનોના માનસમાં રમતી રહે છે. તેઓ ‘શિવશંભુ શર્માના ચિકા’ તરીકે જાણીતા હતા.
આજે એન્ટરટેઈન્મેન્ટ ઈન્ડસ્ટ્રીઝ પૂર જોશમાં ચાલી રહી છે ત્યારે ત્વરિત રુપાંતરણ અને મહેનત વિનાના કોપી પેસ્ટના જમાનામાં અમૃત કેશવ નાયક જેવા ઉચ્ચ કોટિના કલાકારોના સ્મરણો કાળુપુરના તરગાળાવાડના મકાનોમાં સચવાયેલા પડ્યા છે.
Advertisement