ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ રાજકીય પક્ષો રેવડીની લહાણી કરવામાં લાગ્યા છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 2 દિવસના ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન કેજરીવાલે વધુ એક ગેરંટી આપી હતી.
Advertisement
Advertisement
અરવિંદ કેજરીવાલે કહ્યુ કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા પછી પંચાયત સરપંચને મહિને 10 હજાર માનદ વેતન આપવામાં આવશે. દરેક ગ્રામ પંચાયતના સરપંચ અને પંચાયત બોડીને ગ્રામના વિકાસમાં વાર્ષિક 10 લાખ ગ્રાન્ટ આપવામાં આવશે.
અરવિંદ કેજરીવાલે રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન ભાજપ પર પ્રહાર કર્યા હતા.
કેજરીવાલે કહ્યુ, જે લોકો એમ કહેશે કે અમે આદમી પાર્ટીને મત આપીશું તો તેમના પર ભાજપ હુમલો કરાવશે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી પર મોટા સ્તર પર હુમલો કરાવશે પરંતુ અમારે સંયમ રાખવાનો છે, મીડિયાને ડરાવીને રાખ્યુ છે, મીડિયાને કહ્યુ કે આમ આદમી પાર્ટીના કાર્યક્રમ ના બતાવવા. આજે સાંજે 7 વાગ્યે ગણપતિ બાપાની આરતી કરવા સુરત આવી રહ્યો છું તો સુરતવાસીઓ ઉમટી પડજો.
હારના ડરથી ભાજપ હુમલો કરાવે છે- કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે કહ્યુ કે, સુરતમાં મનોજ સોરઠિયા પર હુમલો કરવામાં આવતા તેમનું માથું વચ્ચેથી ફાટી ગયું છે. માથામાં કેટલાય ટાંકા આવ્યા છે, તેમનો વાંક શું હતો, તે તો ગણપતિ બાપાના એક પંડાલમાં ઉભા હતા અને પૂજા કરતા હતા, તે સમયે અમુક લોકો આવ્યા અને ભગવાનની મૂર્તિની સામે હુમલો કર્યો હતો. આ ગુજરાત, દેશ કે આપણી સંસ્કૃતિના સંસ્કાર નથી, આનાથી લોકોમાં રોષ છે, બધી જગ્યાએ આ લોકોને ડરાવી રહ્યા છે. ભાજપ દ્વારા હુમલો ક્યારે કરવામાં આવે છે જ્યારે હારવાનો ડર લાગી ગયો હોય.
Advertisement