અમદાવાદ/સુરતઃ રાજ્યમાં મંગળવારથી એટલે કે આવતી કાલથી ધોરણ ૧૦ અને ૧૨ની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ શરૂ થઇ રહી છે. આવતી કાલે ધોરણ ૧૦નું પ્રથમ પેપર ભાષાનું, ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં નામાનાં મૂળતત્ત્વો, ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના ભૌતિક વિજ્ઞાન વિષયની પરીક્ષા લેવાશે. આવતીકાલથી શરૂ થતી પરીક્ષાના ભાગરૂપે આજે વિદ્યાર્થીઓ પોતાનો પરીક્ષા ખંડ અને નંબર જોવા માટે પરીક્ષા કેન્દ્રોની શાળાઓમાં ઊમટી પડયા હતા. શિક્ષણ બોર્ડ દ્વારા આ પરીક્ષાને લગતી તમામ તૈયારીને આખરી ઓપ અપાઇ દેવાયો છે.
Advertisement
Advertisement
રાજ્યભરમાં ધોરણ-૧૦માં ૯.૫૦ લાખ, ધોરણ-૧૨માં ૬.૭૫ લાખ વિદ્યાર્થી પરીક્ષા આપશે
રાજ્યભરમાં ધોરણ-૧૦માં ૯.૫૦ લાખ, ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૧.૧૦ લાખ અને સામાન્ય પ્રવાહમાં ૫.૬૫ લાખ વિદ્યાર્થી પરીક્ષા આપશે. અમદાવાદ શહેર અને ગ્રામ્યમાંથી ૧.૯૧ લાખથી વધુ વિદ્યાર્થી પરીક્ષા આપશે. શહેરનાં ૩૭૦ કેન્દ્રમાં ધો.૧૦ના ૬૧,૪૭૫ ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહના ૯,૪૨૦ જ્યારે કોમર્સના ૩૭,૪૯૧ વિદ્યાર્થી પરીક્ષા આપશે. પરીક્ષાના પ્રશ્નપત્રો પણ શહેરમાં આવી ગયા છે. આ પ્રશ્નપત્રોને સુરક્ષા બંદોબસ્ત સાથે સ્ટ્રોંગ રૂમમાં પહોંચાડી દેવામાં આવ્યા છે.
અમદાવાદ – સૂરતની જેલના કેદી પરીક્ષા આપશે
આ વિદ્યાર્થીઓની સાથે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલના ૫૯ કેદીઓ પણ પરીક્ષા આપશે. જેમાં ૩૭ કેદી ધોરણ ૧૦ની અને ૨૨ કેદી ધોરણ ૧૨ની પરીક્ષા આપશે. તેઓ આવતીકાલથી શરૂ થઈ રહેલી ધો.10 અને ધો.12ની બોર્ડ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. વધુમાં, સૂરતની લાજપોર જેલમાં સજા ભોગવી રહેલા 27 કેદી પણ પરીક્ષા આપશે. જેલ દ્વારા સંચાલિત સ્કૂલમાં આ કેદીઓ બોર્ડની પરીક્ષા પાસ કરવા માટે સખત મહેનત કરી રહ્યા છે. તેના માટે જેલ પ્રશાસન પણ આ કેદીઓને યોગ્ય વ્યવસ્થા પૂરી પાડવા તથા સારું શિક્ષણ પૂરું પાડવાના પ્રયાસો કરી રહ્યું છે. સિનિયર જેલરે કહ્યું કે છેલ્લાં આઠ મહિનાથી 27 કેદીઓ બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. તેમાં 14 કેદી ધો.10ની અને 13 કેદી ધો.12ની પરીક્ષા આપશે. લાજપોર જેલમાં જ તેમની પરીક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે.
હેલ્પ લાઈન કન્ટ્રોલ રૂમ કાર્યરત
આગામી ૨૯ માર્ચ સુધી ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષા લેવાશે. આ માટે હેલ્પ લાઇન કન્ટ્રોલ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. તે સવારના ૭થી રાતના ૮ વાગ્યા દરમિયાન કાર્યરત રહેશે. બોર્ડનો ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર ૧૮૦૦૨૩૩૫૫૦૦ છે અને જીવન આસ્થા હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર ૧૮૦૦૨૩૩૩૩૩૦ છે. સ્ટેટ કન્ટ્રોલ રૂમ સંપર્ક નંબર ૯૯૦૯૯૩૮૭૬૮ અને ૦૭૯-૨૩૨૨૦૫૩૮ છે. વધુમાં, પરીક્ષા કેન્દ્રો પર જતા વિદ્યાર્થીનાં વાહનને ટ્રાફિક સમસ્યા ન નડે તે માટે પોલીસે બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. શહેરમાં અનેક જગ્યાએ મેટ્રોનું કામ ચાલતું હોવાથી કેટલાંક ડાઇવર્ઝન અપાયાં છે. પોલીસે ખાસ પોઇન્ટ ઊભા કરીને સ્ટાફને ગોઠવી દીધો છે. ત્યારે ટ્રાફિકમાં ફસાઈ ગયેલા વિદ્યાર્થીને જરૂર પડે જલદીથી પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડી શકાય તેવી વ્યવસ્થા પણ કરાઈ છે.
રાઇટરને પરીક્ષા ખંડમાં બેસવા દેવા મંજૂરી
કોઇક કારણસર પરીક્ષામાં લખી ન શકે તેવા વિદ્યાર્થીઓએ રાઇટરની માગણી કરી હતી. તેવા વિદ્યાર્થીની ચકાસણી કરીને તેમને માટે રાઇટરની મંજૂરી આપવામાં આવી છે. ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા માટેની તૈયારીઓ તંત્રએ પૂર્ણ કરી છે. બોર્ડની પરીક્ષામાં હોલ ટિકિટ ભૂલી ગયા હોય તેવા વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત ન રહે તે માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે. તેવા વિદ્યાર્થીઓની સ્કૂલમાં સંપર્ક કરીને મોબાઇલ પર ટિકિટ મગાવીને તેમને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે. અત્યાર સુધી વિદ્યાર્થી હોલ ટિકિટ ભૂલી જાય કે કોઇ કારણસર હોલ ટિકિટ ગુમ થઇ હોય કે ફાટી જાય તો તેમને પરીક્ષામાં બેસવા દેવાતા ન હતા. જેને લીધે વિદ્યાર્થીનું વર્ષ બગડતું હતું.
Advertisement