નવી શિક્ષણ નીતિના અમલને લઈને ગુજરાતના શિક્ષણમંત્રીએ ટ્વિટ કર્યું હતું. તેમણે ટ્વિટર પર કહ્યું હતું કે, વિદ્યાર્થીઓને પોતાના રસ અને વલણ અનુસાર શિક્ષણ આપવામાં આવશે. તે ઉપરાંત ધોરણ 6થી 8માં 10 દિવસ બેગલેસ શિક્ષણ મળશે. 10 દિવસ વિદ્યાર્થીઓને વિવિધ પ્રવૃતિ તરફ વળાશે. બાળકોને પોતાના રસ અને વલણની ઓળખ કરાવાશે. શિક્ષણમંત્રીના જણાવ્યા પ્રમાણે સ્કૂલમાં વિદ્યાર્થીઓ 10 દિવસ બેગ લીધા વગર સ્કૂલે આવશે. આ 10 દિવસ દરમિયાન વિદ્યાર્થીઓને વ્યવસાયિક વિષયોની પ્રેક્ટીકલ તાલીમ અપાશે.
Advertisement
Advertisement
નવી શિક્ષણ નીતિ પ્રમાણે વિદ્યાર્થીઓને સુથારીકામ, મેટલ વર્ક, બાગકામ, માટીકામ સહિતની પ્રવૃત્તિઓ સ્કૂલમાં શીખવવામાં આવશે. આ ઉપરાંત રાષ્ટ્રીય સ્મારકો અને સંગ્રહાયલોની પણ મુલાકાત કરવા માટે લઈ જવામાં આવશે.બેગલેસ દિવસોને સમગ્ર વર્ષ દરમિયાન કળાને લગતી વિવિધ પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહિત કરાશે. શિક્ષકો અને બાળકો સરેરાશ રોજ 6 કલાક સ્કૂલમાં વિતાવે છે. જેને જોતા વર્ષ દરમિયાન 1 હજાર કલાકથી વધુ સ્કૂલમાં વિતાવે છે. આ કાર્યક્રમ માટેની પ્રવૃત્તિઓ માટે શાળાના સમયના 10 દિવસ અથવા તો 60 કલાક ફાળવવા જોઈએ તેવું સુચન નવી શિક્ષણનીતિમાં કરવામાં આવ્યું છે.
સ્કૂલના સત્રના પ્રથમ અને બીજા ભાગમાં પાંચ-પાંચ દિવસ આ પ્રવૃત્તિનું આયોજન કરી શકાશે. આ કાર્યક્રમનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને મનોરંજક સ્થિતીમાં વિવિધ પ્રવૃત્તિઓ તરફ ઉજાગર કરવાનો છે. શિક્ષકો આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓના રસ અને વલણને જાણી શકશે. આ દરમિયાન કોઈ પણ વિદ્યાર્થીને કોઈ ગુણ અથવા ગ્રેડ આપવામાં આવશે નહીં. શિક્ષક આંતરિક મૂલ્યાંકન કરી શકે છે અને વિદ્યાર્થીઓ દ્વાર પ્રાપ્ત કરેલા શિક્ષણનો આંતરિક રેકોર્ડ પણ રાખી શકે છે.
Advertisement